સાધ્વીઓ સાથે દુષ્કર્મ મામલે રોહતકની સુનારિયા જેલમાં છેલ્લા 23 મહિનાથી સજા કાપી રહેલા રામ રહીમને હવે પોતાની ખેતાવાડી યાદ આવી છે, ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત સિંહે કૃષિકાર્ય માટે જામીન માગ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર પાસે મગાયો જવાબ
ઉલ્લેખનીય છે કે, રોહતક જેલના અધિક્ષક દ્વારા આ મામલે સિરસાના ઉચ્ચ અધિકારી પાસેથી રિપોર્ટ માગ્યો છે, જેમાં પૂછવામાં આવ્યું છે કે, શું કેદી ગુરમીત રામ રહીમ સિંહને જામીન આપવા યોગ્ય રહેશે કે નહીં..? પત્ર અનુસાર આ વિષયના સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્ર જવાબ આપશે.
વકીલે પત્ર લખી કરી માગણી
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ, રામ રહીમના વકીલે જેલ અધિક્ષકને પત્ર લખીને જામીનની માંગણી કરી છે. ત્યારબાદ રોહતક જેલના અધિક્ષકે નાયબ કમિશનર સિરસાને પત્ર લખ્યો હતો.
આપને જણાવી દઇએ કે, પત્રમાં જામીન માટે માગવામાં આવેલ રિપોર્ટમાં ડેરા પ્રમુખ પર CBI કોર્ટ દ્વારા પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા મામલે દોષી જાહેર કરવામાં આવેલ તથા આ સિવાય પણ અન્ય 2 મામલે તેને દોષી જાહેર કરવામાં આવી સજા ફટકારવામાં આવી હતી.
જેલમાં શાકભાજીની ખેતી કરી રહ્યો છે રામ રહીમ
બે સાધ્વીઓ સાથે દુષ્કર્મ મામલે સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહિમને જેલમાં શાકભાજીની ખેતી કરવી ખૂબ પસંદ આવી રહી છે. ગુરમીતે જેલમાં દોઢ ક્વિન્ટલ બટાકાની ખેતી કરી છે. જેલની 1000 યાર્ડની જમીનમાં ગુરમીતે ચારથી પાંચ લીલાં શાકભાજી પણ વાવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે તે જેલમાં ભારે મહેનતથી શાકભાજીની ખેતી કરી રહ્યો છે.
જોકે જેલમાં કરવામાં આવેલા કાર્યમાં ગુરમીતને હજુ સુધી કોઇ મહેતાણું મળ્યું નથી કેમકે કોર્ટે તેના તમામ ખાતાઓ સીલ કરી રાખ્યા છે. એવામાં જેલમાં ગુરમીતનો ખર્ચ પરિજનો દ્વારા અપાયેલા રૂપિયાથી ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સાધ્વીઓ સાથે દુષ્કર્મ મામલામાં ગુરમીતને CBIની સ્પેશિયલ કોર્ટે 25 ઓગસ્ટ 2017ના દિવસો દોષી જાહેર કર્યો હતો.