રાજ્યમાં મગફળીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. કચ્છના ગાંધીધામમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીમાંથી માટી નિકળી છે. શાંતિ ગોડાઉનમાં મગફળીમાંથી માટી નિકળવાનું કૌભાંડ સામે આવ્યુ છે ત્યારે રાજ્યમાં ખૂબ મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે.
સમગ્ર કૌભાંડની વાત કરવામાં આવે તો વેપારીઓને મગફળી વેચતા સમયે કૌભાંડ સામે આવ્યું છે. મગફળીમાંથી ફોફા, કાંકરા અને મોટા પથ્થર મળી આવ્યા છે. જેને લઈને બહુચર્ચિત મગફળી કૌભાંડમાં સરકારના પાપનો ઘડો ફુટ્યો છે. ગુજરાત કીસાન કોંગ્રેસ દ્વારા મગફળીના ગોડાઉન પર જનતા રેડ કરવામાં આવતા કૌભાંડ સામે આવ્યુ છે.
સૌરાષ્ટ્ર માર્કેટીંગ યાર્ડ વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણી અને ખેડુત આગેવાન રતનસિંહ ડોડીયા સહિતના આગેવાનોએ જનતા રેડ કરતા મગફળીનું મોટુ કૌભાંડ ઝડપાયું છે. ત્યારે જે રીતે સરકાર કૌભાંડ ભીનું સંકેલવા પ્રયાસ કરતી હતી એ અને અત્યારે સામે આવેલી હકીકતો પરથી તો એવુ લાગે છે કે સરકાર દ્વારા જ આ કૌભાંડીઓને છાવરવામાં આવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, વર્ષ 2016-17માં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટા કૌભાંડો થયા હતા. મગફળી સાથે ધુળ, ઢેફા, કાંકરા, ફોફા કાંધુ વગેરે ભેળવી વેપારીઓ તથા સરકારના મળતીયાઓએ ખુબ મલાઈ તારવી લઈ મોટુ કૌભાંડ કર્યું હતું. જોકે, સરકાર દ્વારા ગણ્યા ગાંઠ્યા આરોપીઓને ઝડપીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભાજપનો પાપનો ઘડો ફૂટ્યોઃ પાલ આંબલીયા
આંબલીયાએ કહ્યું કે, વિરોધ પક્ષના નેતાઓએ પહેલા પણ કહ્યુ હતુ આ કૌભાંડ છે. પરંતુ સરાકારે કોઇ પણ પ્રકારનુ ધ્યાન ન આપ્યું. સરકારે મગન ઝાલાવાડીયાની ધરપકડ કરી ભીનુ સંકેલીયુ. નિવૃત જજોની સમીતી બનાવી ખોટા વાયદા આપ્યા. જે ગોડાઉનને તાળા માર્યા હતા તેમાથી જ કૌભાંડ બહાર આવ્યું. ભાજપનો પાપનો ઘડો ફૂટ્યો. ગાંધીધામના ગોડાઉનમાંથી કૌભાડં બહાર આવ્યું છે. મગફળીની ગુણીમાંથી 500 ગ્રામ સુધીના પથ્થર નિકળ્યા. સરકારે સાથે મળીને હજારો કરોડનુ કૌભાંડ કર્યુ. 2017માં ખરીદાયેલી મગફળીની તપાસ કરવામાં આવે.