ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા આજે રાજ્યવ્યાપી હડતાળ કરવામાં આવી છે. અચોક્કસ મુદતની હડતાલમાં રાજ્યના 11000 તલાટીઓ આજે સંપૂર્ણ કામગીરીથી અળગા રહ્યા છે. રાજ્યભરના 11 હજાર જેટલા તલાટીઓ આજથી અનિશ્ચિતકાલીન હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા ઘણા સમયથી તલાટીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકારને અનેકવાર રજૂઆત કરી રહ્યા છે.
પરંતુ સરકાર તરફથી માંગણીઓનો કોઈ ઉકેલ આવતો નથી. જેના કારણે હવે તલાટી મહામંડળ હડતાળ પર ઉતરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જૂની પેન્શન યોજના પંચાયત અને મહેસૂલના જોબચાર્ટ એક તલાટીને એક ગામ સોંપવુ સહિતની એવી અનેક માંગો સાથે તલાટીઓ હડતાળ પર ઉતર્યા છે.
ત્યારે ગાંધીનગર તાલુકા પંચાયતના તલાટીઓ પણ વિરોધ નોંધાવ્યો હતો. પગારની વિસંગતતા સહિતના પ્રશ્નોનેને લઈને તલાટીઓએ ઓફિસની ચાવીઓ અને સિક્કા જમા કરાવીને વિરોધ કર્યો હતો. તાલુકા પંચાયતના 64 જેટલા તલાટીઓએ ચાવી અને સિક્કાઓ ઓફિસમાં જમા કરાવ્યા હતા. તલાટીઓ દ્વારા સિક્કા જમા કરાવવામાં આવતા દસ્તાવેજોના કામને અસર થઈ છે.
મહેસાણાના 419 તલાટી હડતાળમાં જોડાયા
મહેસાણા જીલ્લાના ૪૧૯ જેટલા તલાટીઓ પણ આ હડતાળમાં જોડાયા છે. પડતર માંગણીઓ પૈકી ઉચ્ચતર પગાર ધોરણ વિસ્તરણ અધિકારીની બઢતી અંગે સરકારના પરિપત્રની શરત નંબર ૪ ૫ ૬ રદ્દ કરવી. ૨૦૦૪ની ભરતી થયેલ તલાટી કમ મંત્રીની નોકરી સળંગ ગણવી. મહેસુલી કામગીરીનો બહિષ્કાર કરવો અલગ જોબચાર્ટ માટે સ.ઈ.ની જગ્યા અપગ્રેડ થતા વિસ્તરણ અધિકારીની પંચાયતનું પ્રમોશન આપવામાં આવે છે. જેમાં આંકડા અનુસાર આઈઆરડીમાં સમાવેશ કરી બઢતી આપવી.
ખેડા જિલ્લાના 400 તલાટીઓ હડતાળ પર
ખેડા જિલ્લાના 400 પંચાયત તલાટીઓની હડતાળ પડી હતી. તલાટીઓની હડતાલને પંચાયતના અન્ય કર્મીઓનુ સમર્થન મળ્યુ છે. જિલ્લાના 800થી વધુ ગામોના કામો અટવાયા હતાં. વહીવટીતંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન કરવામાં આવતા રોષ થયો છે. મહેમદાવાદના સેવાદળ ખાતે તલાટીઓ એકઠા થયા હતાં. પડતર માંગણીઓને લઈને તલાટીઓએ સુત્રોચ્ચાર કર્યા હતાં. મહેમદાવાદ નડિયાદ ઠાસરામાં ઝોન વાઇસ ધરણા યોજ્યા હતાં.
મોરબી વાંકાનેર હળવત માળીયા અને ટંકારાના તલાટીઓ હડતાળ પર
પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની માંગ સાથે આજે મોરબી જીલ્લાના 245 તલાટી કમ મંત્રી ધરણા કરી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. જેમાં મોરબી વાંકાનેર હળવદ માળીયા અને ટંકારા તાલુકાના તલાટીઓએ આજે તાલુકા પંચાયતના સભા ખંડ ખાતે ધરણા કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જ્યાં સુધી પોતાની માંગણી સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખશે.
થરાદ તા.પંચાયતના 54 તલાટીઓ હડતાલ પર
તો આ તરફ બનાસકાંઠામાં પણ તલાટીઓનો વિરોધ જોવા મળ્યો હતો. જિલ્લાના 87 ગ્રામપંચાયતના 54 જેટલા તલાટીઓ પોતાના રૂટીન કામકાજથી અડગા રહ્યા હતા. તલાટીઓની હડતાલને કારણે લોકોના કામ અટવાતા લોકોમાં રોષની લાગણી અહીં જોવા મળી હતી.
અરવલ્લી જિલ્લાના 221 તલાટીઓ હડતાળ પર
અરવલ્લી જિલ્લાના 221 તલાટીઓ હડતાળપર ઉતરી ગયા છે. વિવિધ માગોને પગલે અચોક્કસ મદ્દતની હડતાળ પર ઉતર્યા છે. 320 ગ્રામ પંચાયતના તલાટીઓ હડતાળ પર ઉતર્યા છે. આ તમામ તલાટીઓ તાલુકા મથક પર હડતાળ પર ઉતર્યા છે.
વડોદરામાં તલાટીઓનો વિરોધ 8 તાલુકાના 465 તલાટીઓ અડગ
ત્યારે વડોદરા જિલ્લાના આઠ તાલુકાના 465 તલાટીઓ પણ વિરોધમાં જોડાયા છે. સરકાર સામે વર્ષોથી વિવિધ પડતર માગણીઓ અંગે રજૂઆત કરી હોવા છતા કોઈ નિરાકરણ ન આવતા તલાટીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે જોવું એ રહ્યું કે સરકાર તલાટીઓની માગ પૂર્ણ કરે છે કે વિરોધ યથાવત રહે છે.
CMને ટેકો જાહેર કરતો લખ્યો પત્ર
રાજકોટ તલાટી મંત્રીની હડતાળ મામલે હવે જિલ્લા સરપંચ મંડળે હડતાલને ટેકો જાહેર કર્યો છે. જિલ્લા સરપંચ મંડળે ટેકો જાહેર કરી આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.
તલાટીની કામગીરી શિક્ષકોને સોંપી
બનાસકાંઠાના દિયોદરમાં તલાટી કમ મંત્રીની હડતાળ મામલે ભેંસાણ પ્રાથમિક શાળાના આચાર્યએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખ્યો છે. દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ તલાટીની કામગીરી શિક્ષકોને સોંપી હતી. આ મામલે પ્રાથમિક શાળાના આચાર્યએ તાલુકા વિકાસ અધિકારીને પરિપત્ર રદ્દ કરવા માટે પત્ર લખ્યો હતો. મહત્વનુ છે કે હાલમાં વિદ્યાર્થીઓની પરીક્ષાએ ચાલી રહી છે. પરીક્ષાઓ હોવાના કારણે શિક્ષકો તેમા વ્યસ્ત છે. ત્યારે ગ્રામસભાની કામગીરી સોંપવામાં આવતા શિક્ષકોમાં રોષ જોવા મળ્યો છે.