5 જુલાઈએ ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે બંને બેઠકોની ચૂંટણી અલગ-અલગ યોજવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે. બહુમતીનાં જોરે ભાજપ રાજ્યસભાની બંને બેઠકો જીતી જાય તેવી શક્યતા સર્જાઈ છે. ત્યારે કોંગ્રેસે આ મામલે ભાજપ અને ઈલેકશન કમિશનનાં મિલિભગતનાં આરોપો કર્યા છે.
5મી જુલાઈએ ગુજરાતની રાજ્યસભા (Gujarat Rajya Sabha) ની બેઠક પર ચૂંટણી યોજાશે. ગુજરાતમાં અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની લોકસભામાં જીત થતા બંનેની રાજ્યસભાની સીટ ખાલી થઇ છે. શનિવારનાં રોજ તેનાં માટે નોટિફિકેશન રજૂ કર્યું. પરંતુ તેની સાથે જ તેમાં પેચ ફસાઇ ગયો છે. પંચે ભલે ચૂંટણીની તારીખ નક્કી કરી છે. તેની સીધી અસર ગુજરાતની બે સીટો પર થઈ છે. જેમાં કોંગ્રેસને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે.
રાજ્યસભાની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, બહુમતી હોવાથી અમે બંને બેઠકો જીતી જઈશું. તો કોંગ્રેસનાં નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ ઈલેકશન કમિશનની મદદથી ચૂંટણી જીતવા માગે છે તેવો આક્ષેપ કર્યો હતો.
કેન્દ્રીય ચૂંટણીપંચે (Election Commission) બંને બેઠકોની ચૂંટણીની પ્રક્રિયા એક સાથે પરંતુ મતદાન અલગ અલગ યોજવાનું જાહેરનામું બહાર પાડતા ગુજરાતમાં પ્રથમ વખત એક જ દિવસે થનારી ચૂંટણી બે અલગ અલગ ચૂંટણી ગણાશે. જેનો સીધો લાભ ભાજપને ધારાસભ્યોની બહુમતીને કારણે મળી શકે છે.
કોંગ્રેસનાં આરોપ પ્રમાણે ભાજપનાં ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે બે બેઠક જાળવવામાં ચૂંટણી પંચે જ રસ્તો સરળ કરી દીધો છે. જો, બે બેઠકની ચૂંટણીનું મતદાન એક જ સાથે કરીને એક જ ચૂંટણી ગણી હોત તો ભાજપને બે બેઠક જાળવવા માટે કોંગ્રેસનાં ધારાસભ્ય તોડવા પડત. પણ હવે કોંગ્રેસનાં ધારાસભ્યો તોડવા નહીં પડે કે ક્રોસ વોટીંગ કરાવવાની પણ જરૂરિયાત નહીં રહે.
સંખ્યાબળનાં હિસાબથી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 61 વોટ જોઇએ. એક જ બેલેટ પર ચૂંટણીથી ઉમેદવાર એક જ વોટ નાંખી શકશે. 71 ધારાસભ્ય હોવાથી કોંગ્રેસ એક સીટ સરળતાથી જીતી લેત. પરંતુ ચૂંટણીપંચનાં નોટિફિકેશન પ્રમાણે ધારાસભ્ય અલગ-અલગ વોટ કરશે. આથી દરેક ધારાસભ્યને બે વખત વોટ કરવાની તક મળશે. ભાજપ પાસે 100 ધારાસભ્ય છે. આથી, ભાજપ બે વખત વોટ કરીને બંને ઉમેદવારોને જીતાડી શકે છે.
ચૂંટણીપંચે જે જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં માત્ર પ્રક્રિયા એકસાથે કરવાની છે. બેઠક દીઠ ચૂંટણી અલગ થશે. એટલે માત્ર બહુમતની ફોર્મ્યુલા અમલી બનશે. તમામ MLA બંને ઉમેદવારને અલગ અલગ પ્રેફરન્સ વોટ આપી શકશે. ભાજપનાં એક ઉમેદવારને 100 પ્રેફરન્સ વોટ મળી શકે અને બીજા ઉમેદવારને પણ તેટલા જ પ્રેફરન્સ વોટ મળશે. જેની સામે કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખે તો પણ તેને કોંગ્રેસ પાસે ઉપલબ્ધ અલ્પેશ ઠાકોર સહિત 71 ધારાસભ્યોનાં જ મત મળી શકે. આમ, બંને બેઠકો બહુમતીથી ભાજપને સહેલાઈથી જીતી જાય તેમ છે.
ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીનાં જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે 18મી જૂને જાહેરનામું બહાર પડશે. 25મી સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 26મીએ ફોર્મની ચકાસણી થશે. 28મી સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. 5મી જુલાઇએ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે અને 5 જુલાઈએ જ સાંજે 5 વાગ્યે મત ગણતરી કરીને પરિણામ જાહેર કરાશે.
તો ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને મેદાનમાં ઊતારે તેવી શક્યતા છે. જ્યારે ભાજપ ગુજરાતની બે સીટ પૈકી એક સીટ પર વિદેશ મંત્રી એસ.જયશંકરને રાજ્યસભા મોકલશે તેવું મનાય રહ્યું છે. આમ, ચૂંટણીપંચનાં નોટિફિકેશનને આધારે જોતાં કોંગ્રેસનાં હાથમાંથી રાજ્યસભાની બાજી સરી જતી હોય તેવું લાગે છે. ત્યારે હવે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં દરવાજો ખખડાવી શકે છે.