ગુજરાતમાં કોરોનાને કારણે મૌકૂફ રહેલી રાજ્યસભાની ચૂંટણી હવે યોજાવાની છે ત્યારે એકવાર ફરીથી બંને પક્ષ મેદાને આવ્યા છે. કોરોના સંકટ પહેલા ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા એડીચોટીનું જોર લગાવ્યું હતુ અને તે સફળ પણ થયા હતા જેને પગલે કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને રાજસ્થાનના જયપુરમાં રિસોર્ટમાં લઈ ગયુ હતુ. પણ કોરોના ક્રાઈસિસે ચૂંટણી પાછી ઠેલી હતી જે હવે 19 જૂનના રોજ યોજાવાની છે. ત્યારે જીતનું ગણિત સમજવું જરૂરી છે.
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.
રાજ્યસભા ચૂંટણી જાહેર થયા બાદ 15 માર્ચે કોંગ્રેસના પાંચ ધારાસભ્ય એવા પ્રવીણ મારૂ, મંગળ ગાવિત, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા અને સોમા ગાંડા પટેલે રાજીનામા આપ્યા હતા. હાલ કોંગ્રેસનું વિધાનસભામાં 68નું સંખ્યાબળ છે, જ્યારે ભાજપનું સંખ્યાબળ 103 છે. ભાજપના ત્રણેય ઉમેદવારને જીતવા 35 મત લેખે 105 મત જોઇએ
મતોની ગણતરી અને ગણિત
મતોના ગણિત પ્રમાણે દરેક ઉમેદવારને જીતવા એકડાના 36 મત જોઈએ. ભાજપના ત્રણેય ઉમેદવારને જીતવા માટે કુલ 105 મત જોઇએ અને તેમની પાસે હાલ 103 ધારાસભ્યો હોઇ ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા 5 મત ખૂટે છે.
હાલ કોંગ્રેસ પાસે 68 ધારાસભ્યો છે અને તેમના બન્ને ઉમેદવારને જીતવા 72 મત જોઇએ અને તેથી તેમના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને જીતવા માટે પણ ચાર મત ખૂટે છે. પરંતુ અપક્ષના મત તેમને મળે તેમ હોવાથી તેમને માત્ર ત્રણ મતની તૂટ છે. પણ બગડાના બધાં મત તેમને મળી જાય તો કોંગ્રેસના ઉમેદવાર સોલંકીના જીતવાની શક્યતા વધી જાય કારણ કે તેઓને ભાજપના ઉમેદવાર કરતાં એકડાના બે વધુ મત મળે છે.
મહત્વનું છે કે, કોરોના વાયરસના કારણે રાજ્યસભાની ચૂંટણીને મુલતવી રાખવામાં આવી હતી. 10 રાજ્યોની 37 સીટો પર ઉમેદવાર બિનહરીફ થયા હતા. જ્યારે હવે 7 રાજ્યોની 18 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે.
શું કહે છે બંધારણ?
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે