શામ, દામ, દંડ અને ભેદ. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને અને કોંગ્રેસ ભાજપના ધારાસભ્યોને હરાવવા માટે જાત જાતના વ્યૂહ અને પેંતરા ઘડી રહ્યું છે. જેમાં કોંગ્રેસમાં પહેલી તુટ પડી છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા જ પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતા કોંગ્રેસની ઉઁઘ હરામ થઈ ગઈ હતી. ત્યારે ભાજપમાં પણ આંતરિક વિખવાતનો દાવાનળ અવાર નવાર તણખા રૂપે બહાર આવી જાય છે. કોંગ્રેસ આવાજ ભાજપના નારાજ ધારાસભ્યોના સંપર્કમાં હોવાનું બહાર આવતા ભાજપની વ્યૂહ રચના અવળી ન પડે તે માટે ભાજપ ધંધે લાગી ગઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.
કોણ કોણ છે ભાજપના નારાજ ધારાસભ્ય
સાવલી અને ગોધરામાં છે નારાજગી
ક્રોસ વોટીંગ કરે તો ભાજપનો ખેલ બગડે
ભાજપમાં નારાજ ધારાસભ્યોમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદાર અને ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીનો સમાવેશ થતો હોવાની ચર્ચા છે. સોમવારે બપોર બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બંધ બારણે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે બેઠક કરી હોવાનો પણ ગણગણાટ છે. સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે, આ વખતે ભાજપના ધારાસભ્યો જ છેલ્લે ભાજપને છેહ દેશે.
ભાજપ થયુ સાબદુ
આ ખબર પડતાં જ ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ ઇનામદારને પોતાની સાથે જ રહેવા કહી દીધું છે. આ ઉપરાંત ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી પણ કોંગ્રેસ સાથે સંપર્કમાં છે. આ સિવાય અન્ય બે ધારાસભ્યો પણ પાર્ટીથી નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.
શું કહે છે સીકે રાઉલજી?
રાજ્યસભા ચૂંટણીમાં રસાકસી જોવા મળી રહી છે. ત્યારે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ મહત્વનું નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે મારે કોઇ નારાજગી નથી અને હું ક્રોસ વોટિંગ પણ નથી કરવાનો. મેં પ્રજાના 600 કરોડના કામ કર્યાં છે. અને સવારથી લઇ સાંજ સુધી હું વિધાનસભામાં જ રહું છું. તેથી સંપર્ક કરવાનો કોઇ સવાલ જ નથી.