15 વર્ષ બાદ ઈકા ક્લબ કાંકરીયા ખાતે છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટના આયોજનમાં ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે.
અમિત શાહ ગુજરાત આવશે
સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આવશે
ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું કરશે ઉદ્ઘાટન
ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમ તેમ કેન્દ્રના નેતાઓના ગુજરાત પ્રવાસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે. અમદાવાદમાં છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું ઉદ્ઘાટન કરશે. 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું આયોજન કરવામાં આવ્યું છે. 15 વર્ષ બાદ ઈકા ક્લબ કાંકરીયા ખાતે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં અમિત શાહ ગુજરાત આવશે. 19 રાજ્યોના 1 હજાર 31 અધિકારી અને જેલ કર્મચારી ભાગ લેશે.
ગત પ્રવાસમાં NFSUના કાર્યક્રમમાં આપી હતી હાજરી
ગત 28 ઓગસ્ટનના પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા NFSU કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સેન્ટર ફોર ટ્રેનિંગ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસ અને સેન્ટર ઓફ એક્સેલન્સ ડિએનએ ફોરેન્સિક, સાયબર સિક્યોરિટી, ઇન્વેસ્ટિગેટિવ એન્ડ ફોરેન્સિક સાયકોલોજીનું પણ ઉદ્ઘાટન કરાયું. જેના સંબોધનમાં શાહે કહ્યું હતું કે આઇપીસી-સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં નજીકના ભવિષ્યમાં જ કેટલાક જરૂરી સુધારાઓ કરવા જઈ રહ્યા છે જેના થકી દેશભરની ક્રિમિનલ જસ્ટીસ ડિલિવરી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને કન્વીક્સન રેટનો ગ્રાફ ઉપર આવશે. જે પૈકીનો એક મહત્વપુર્ણ સુધારો એ હશે કે ગંભીર ગુનાઓ કે જેમાં છ વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય તેવા ગુનાઓમાં "ફોરેન્સિક તપાસ" ફરજિયાત કરવામાં આવશે. જેનાથી આવા જઘન્ય ગુનાઓમાં દોષ સિદ્ધિનો દર વધારવામાં મદદ મળશે તેમ જ તપાસની નિષ્પક્ષતા અને પારદર્શિતા પણ વધશે આ માટે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને ફોરેન્સિક સાયન્સ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવશે.
ફોરેન્સિક લેબોરેટરીઓ ઊભી થશે
વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરતા શાહે ઉમેર્યું હતું કે, આ યુનિવર્સિટી જે ગતિએ દરેક પરિમાણોથી વિકાસ કરી રહી છે તે જોતાં આ યુનિવર્સિટી વિશ્વભરમાં નંબર-૧ સ્થાન પર પહોંચશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી તેમણે કહ્યુ કે, માત્ર ભારત દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ફોરેન્સિક એક્સપર્ટની જરૂરિયાત છે ત્યારે આ યુનિવર્સિટી નિષ્ણાતો પૂરા પાડવાનું મહત્વપૂર્ણ કામ કરશે તેવો મને વિશ્વાસ છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના સહયોગથી ભોપાલ, ગોવા, ત્રિપુરા, મણીપુર સહિતના રાજ્યોમાં ફોરેન્સિક લેબોરેટરી તૈયાર કરી દેવામાં આવી છે જ્યારે પુણે, કર્ણાટક સહિતના અનેક રાજ્યો સાથે આ પ્રક્રિયા ચાલી રહી છે. ૭૦થી વધુ દેશોએ એનએફએસયુ સાથે એગ્રીમેન્ટ કરી સ્વીકૃતિ પ્રદાન કરી છે તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.
દરેક જિલ્લામાં 75 તળાવની કામગીરી શરૂ કરી
ગત 28 ઓગસ્ટના રોજ અમિત શાહે તેમના મત વિસ્તારમાં કલોલના વડસર ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જેડવા તળાવના નવીનીકરણ અને બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તળાવમાં વોકિંગ ટ્રેક, ચિલ્ડ્રન એરીયા સહીતનો સમાવેશ કરવામાં આવશે. આ સાથે ઓપન જિમ એરિયા, જળચર પ્લાન્ટસેશન એરિયાનો સમાવેશ છે. આ પ્રસંગે અમિત શાહે સભાને સંબોધતા જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના દરેક જિલ્લામાં 75 તળાવની કામગીરી શરૂ કર્યું છે. ગાંધીનગરમાં નક્કી કર્યું છે કે 3 એકરથી મોટા તળાવ હોય તેને સુંદર બનાવવાના છે. આઝાદી પછી ક્યાંય તળાવોની જાળવણી નથી થઈ. પાણીના સ્તર નીચે જવા લાગ્યા હતા. ગાંધીનગર લોકસભામાં 3 એકરથી મોટા જેટલા તળાવ હોય તેને 10 વર્ષમાં સુંદર બનાવવાનું કામ કરાશે તેવી પણ જાહેરાત કરી હતી.