અમદાવાદના વેજલપુરની સોસાયટીના રિડેવલપમેન્ટનો મુદ્દો HC સુધી પહોંચ્યો હતો
HCએ 11 બ્લોક તોડી પાડવા અને 78 ફ્લેટ માલિકો માટે નવી ઇમારતો બાંધવાની મંજૂરી આપી
હાઈકોર્ટના ચુકાદાથી વેજલપુર વિસ્તારમાં 52 વર્ષ જૂની જર્જરિત ઈમારતોમાં આવેલી વિવેકાનંદનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો થઇ ગયો છે. હાઇકોર્ટે સોસાયટીને હાલના 11 બ્લોક તોડી પાડવા અને 78 ફ્લેટ માલિકો માટે નવી ઇમારતો બાંધવાની મંજૂરી આપી દીધી છે.
શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના 75%થી વધુ ફ્લેટ માલિકોએ રિડેવલપમેન્ટ માટેની સંમતિ આપી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ પણ નવા બાંધકામ માટે વિકાસ પરવાનગી આપી હતી. પરંતુ 78 ફ્લેટ માલિકોમાંથી 4 ફ્લેટ માલિકોએ વાંધો ઉઠાવતા આ કેસ હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.
હાઇકોર્ટે 11 બ્લોક તોડી પાડવા અને 78 ફ્લેટ માલિકો માટે નવી ઇમારતો બાંધવાની મંજૂરી આપી
આથી, આ કેસમાં ગુજરાતના હાઇકોર્ટના જસ્ટિસ સંગીતા વિષેએ ગુજરાત ઓનરશિપ ફ્લેટ્સ એક્ટની કલમ 41A હેઠળ રિડેવલપમેન્ટ માટેની નિર્ધારિત શરતો પૂરી થાય છે તેની ખાતરી કર્યા બાદ સ્વામી વિવેકાનંદનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને હાલના 11 બ્લોક તોડી પાડવા અને 78 ફ્લેટ માલિકો માટે નવી ઇમારતો બાંધવાની મંજૂરી આપી દીધી છે.
આ કેસમાં હાઇકોર્ટે 4 ફ્લેટ માલિકો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓને ફગાવી દીધા દીધા અને સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો છે કે, "જો પ્રક્રિયામાં કોઈ વિકૃતિ હશે તો તેની પર યોગ્ય ઓથોરિટી દ્વારા પગલાં લેવાના રહેશે. જનરલ બોડીના નિર્ણય સામે કોઈ પડકારની ગેરહાજરીમાં, વિકાસ પરવાનગી પણ, ખાનગી ઉત્તરદાતાઓ રિડેવલપમેન્ટ સામે વાંધો ધરાવતા ચાર પરિવારોની દલીલ ખોટી ગણાશે."
વિરોધ કરી રહેલા ચાર પરિવારોને HCએ આપ્યો ફ્લેટ ખાલી કરવાનો આદેશ
હાઈકોર્ટે પુનર્વિકાસ પ્રક્રિયાનો વિરોધ કરી રહેલા ચાર પરિવારોને તેમના ફ્લેટ ખાલી કરવા તેમજ આઠ અઠવાડિયાના સમયમાં પુનર્વિકાસ માટે તેમનો કબજો સોંપવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં હાઈકોર્ટે બહુમતીનો મત સ્વીકાર્યો કે જો રિડેવલપમેન્ટની દરખાસ્ત સ્વીકારવામાં આવશે તો તમામ સભ્યોને તેમના પોતાના ખિસ્સામાંથી કોઈપણ રકમ ખર્ચ્યા વિના ત્રણ વર્ષમાં એક મોટું મકાન મળશે. અસંમત સભ્યો ઓછાં હોવાથી રિડેવલપમેન્ટ સ્ટેન્ડ માટે કલમ 41Aની જરૂરિયાત પૂર્ણ થઈ. તદુપરાંત AMCની વિકાસ પરવાનગી પણ સ્થાને છે.