હાલ કોરોનાને લઇને લૉકડાઉન 4.0 લાગૂ કરવામાં આવ્યું છે. આ લૉકડાઉન દરમિયાન 8 લાખ શ્રમિકો વતન મોકલવામાં આવ્યા હોવાનું સરકાર જણાવી ચૂકી છે. આ બધા વચ્ચે રાજ્યના શ્રમિકો મુદ્દે હાઇકોર્ટમાં મોટો ખુલાસો થયો છે. હાઈકોર્ટમાં શ્રમિકોને વતન મોકલવાની માગવાળી અરજી મામલે રાજ્ય સરકારે 140 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજમાં મોટો ખુલાસો થયો છે.
ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારનો જવાબ
સરકારે HCમાં રજૂ કરેલા દસ્તાવેજમાં મોટો ખુલાસો
22.5 લાખના દાવા સામે કાગળ પર માત્ર 7512 જ શ્રમિકો
હાલ કોરોના વાયરસના કારણે લૉકડાઉનની પરિસ્થિતિમાં રાજ્યમાંથી લાખો શ્રમિકો પોતાના વતન પરત ફર્યા છે. ત્યારે રાજ્ય સરકાર 22.5 લાખ જેટલા શ્રમિકો હોવાનો દાવો કરી ચૂકી છે. જોકે આ દાવા સામે કાગળ પર માત્ર 7512 શ્રમિકો જ હોવાનો મોટો ખુલાસો થયો છે.
રાજ્યમાં 22.5 લાખ શ્રમિકો, પરંતુ ચોપડે માત્ર 7512ની નોંધણી: રાજ્ય સરકાર
શ્રમિકો મામલે હાઇકોર્ટમાં અરજી મુદે રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે જેમાં જણાવાયુ છે કે રાજ્યમાં 22.5 લાખ શ્રમિકો હોવાનો સરકારે દાવો કર્યો છે. ત્યારે સામે સરકારી ચોપડે માત્ર 7512 જ નોંધાયેલા શ્રમિકો હોવાનુ હાઇકોર્ટમાં સામે આવ્યું છે
સરકાર ચોપડે નોંધાયેલા શ્રમિકોને જ મળશે માઇગ્રન્ટ એક્ટનો લાભઃ રાજ્ય સરકાર
સરકારી ચોપડે નોંધાયેલા કામદારોને જ માઇગ્રન્ટ વકર્સ એક્ટનો લાભ મળશે. જેથી ન નોંધાયેલા શ્રમિકો માટે આ એક મોટું નુકશાન છે. બીજી તરફ 8 લાખ જેટલા શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યા છે. સરકારે વધુમાં જણાવ્યું કે શ્રમિકોને વતન મોકલવા માટે રેલવે જ સારો વિકલ્પ હતો. બસમાં મોકલવા વાયેબલ સોલ્યુશન ન હોવાની સરકારે રજૂઆત કરી છે.
હાઇકોર્ટમાં કરેલી રજૂઆત
હાઈકોર્ટે કહ્યું હતું કે શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે રાજ્ય સરકાર જરૂરી પગલાં લે. સાથે જ હાઇકોર્ટમાં માઈગ્રન્ટ વર્કર, કોરોના વૉરિયર્સ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે લેવાતા પગલા મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ બહારના શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવા 8500 એસ.ટી. બસો દોડાવવાની માંગ સાથે અરજી કરી છે.