ઘર વપરાશમાં થતો પાણીનો બગાડ અને પાણીની ચોરી અટકાવવાને લઇને રાજ્ય સરકાર કાયદો લાવી રહી છે. રાજ્યમાં પાણીની તંગી મોટું સંકટ બની રહી છે. ત્યારે નહેરોમાંથી પાણીની ચોરી અટકાવવા રાજ્ય સરકાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં ઘર વપરાશ પાણી પુરવઠા સંરક્ષણ વિધેયક લાવવા જઇ રહી છે. જેમાં પાણી ચોરીને અટકાવવા રાજ્ય સરકાર સુધારા વિધેયક લાવશે. સુધારા વિધેયકમાં પાણી ચોરીના કેસમાં સજા અને દંડમાં વધારો કરાયો છે. 3 મહિનાથી 2 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઇ કરવામાં આવી છે. દંડની રકમ 10 હજારથી વધારીને 2 લાખ રૂપિયાની જોગવાઇ કરાઇ છે.
નહેરમાંથી થતી પાણી ચોરી અટકાવવા રાજ્ય સરકાર કડક બીલ લાવશે. જેમાં નહેરને ગાબડુ પાડીને નુકસાન પહોંચાડવાના કિસ્સામાં 2 વર્ષની સજા થઇ શકે છે. સાથે 10 હજારથી 2 લાખ સુધીનો દંડ પણ થઇ શકે છે.
પ્રદૂષિત પાણી છોડનારને એક વર્ષની કેદ અને 50 હજારનો દંડ થઇ શકે છે. પરવાનગી કરતા વધુ પાણી ખેંચવા બદલ પણ કાર્યવાહી થશે. સાથે નહેરમાં પશુઓને લઇ જનારને પણ 3 મહિનાની કેદ અને 10 હજારનો દંડ ફટકારવામાં આવશે.
ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક ગૃહમાં લવાશે. પાણીચોરી, અનધિકૃત જોડાણના ગુના ચલાવવા વિશેષ કોર્ટની રચના થશે.
રાજ્યમાં વોટર એપેલેટ ઓથોરિટીની રચના કરવામાં આવશે. ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા સૌરક્ષણ વિધેયક લવાશે. વિતરણ વ્યવસ્થાને નુકસાન કરનારને 2 વર્ષની સજાની જોગવાઇ કરાઇ છે. પાણી બગાડ કરનારને 1 લાખના દંડની જોગવાઇ કરવામાં આવી છે. હેતુ ફેર પાણી ઉપયોગ કરનારને 20 હજારનો દંડ ફટકારવામાં આવશે. ગેરકાયદે જોડાણ લેનારને 3થી 20 હજારનો દંડ ફટકારાશે. જ્યારે 3થી 5 વર્ષ સુધીની સજાની જોગવાઇ કરવામાં આવી છે. બલ્ક પાઇપ લાઇનમાં જોડાણ લેનારને 5 હજારથી 1 લાખનો દંડની જોગવાઇ. આ બિલને વિધાનસભા સત્રના અંતિમ દિવસોમાં રજૂ કરવામાં આવશે.