હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાજ્યભરમાં આ વર્ષે વરસાદ અંદાજે 140 ટકા જેટલો વરસ્યો છે. ભારે વરસાદના પગલે રાજ્યમાં ઘણા જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન જોવા મળ્યું છે. ત્યારે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની આવતીકાલની તારીખ જાહેર કરાઇ હતી. જોકે હવે ખરીદી પ્રક્રિયા 26 ઓક્ટોબરે શરુ કરાશે.
મગફળી ખરીદીને લઈને મોટા સમાચાર
આવતીકાલથી શરૂ નહીં થાય ટેકાના ભાવે ખરીદી
26 ઓક્ટોબરે શરૂ થશે ખરીદી
મગફળીની ખરીદીને લઇને ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આવતીકાલ(21 ઓકટોબર)થી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં નહીં આવે. હવે 26 ઓક્ટોબરથી મગફળીની ખરીદી શરૂ થશે. જેમાં 1055 પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે મગફળીની પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે. દરેક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળીની ખરીદી કરાશે.
વરસાદના કારણે મગફળીની ખરીદી 5 દિવસ મોકૂફ રાખવામાંઃ જયેશ રાદડિયા
મગફળી ખરીદી મુદ્દે મંત્રી જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલથી રાજ્યમાં મગફળીની ખરીદી નહીં થાય શરૂ. મગફળીની ખરીદી 5 દિવસ મોકૂફ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે. હવે 26 ઓક્ટોબરથી મગફળીની ખરીદી શરુ કરાશે. 139 માર્કેટયાર્ડ સેન્ટર પર ખરીદી થનારી હતી. જે વિસ્તારમાં વરસાદ હશે ત્યાં ખરીદી બંધ રખાશે. વરસાદની આગાહી આધારે આ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકાર વરસાદને કારણે 5 દિવસ બાદ ખરીદી શરૂ કરશે. મગફળી ખરીદી માટે 4 લાખ 66 હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના મામલે પુરવઠા વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાં 1500થી વધારે ગોડાઉન ભાડે રાખવાની તૈયારીઓ કરાઇ હતી.