ગુજરાત પર 'મહા' વાવાઝોડાંનુ સંકટ ટળ્યા બાદ અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. જો કે કમોસમી વરસાદ બાદ રાજ્યમાં રોગચાળો ફરી માથુ ઉંચકી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. જેમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ડેંગી(Dengue)ના કેસોમાં ભયજનક વધારો જોવા મળ્યો છે. જેને લઇને રાજ્યના રાજકોટ, મહેસાણા, વડોદરા, સુરતમાં હાલ ડેંગીના કેસોમાં વધારો થયો છે. જ્યારે રાજકોટમાં આરોગ્ય અધિકારીની પુત્રીનું ડેંગીથી મોત થયું છે.
રાજ્યમાં ડેંગીના હાહાકાર વચ્ચે રાજકોટમાં જસદણના આટકોટમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં ડો. સુનિલ ચૌધરીની પુત્રીનું ડેંગીના કારણે મોત થયું છે. આરોગ્ય વિભાગના અધિકારીની પુત્રીની સારવાર દરમિયા મોત નિપજ્યું છે. જો કે ત્યારબાદ રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ડોકટરના ઘરની આસપાસના ઘરોમાં સર્વે કરાયા બાદ 45 ઘરમાં ફોંગિગની કામગીરી હાથ ધરવામાં આવી.
મહેસાણામાં ડેંગીનો કહેર યથાવત્
રાજ્યભરમાં જ્યાં ડેંગીને લઇને કેસો સામે આવી રહ્યાં છે ત્યારે મહેસાણાના નાગલપુરમાં ડેંગીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. નાગલપુર વિસ્તારની 20 સોસાયટીમાં ડેંગીએ કહેર મચાવ્યો છે. જેમાં 20 સોસાયટીમાં ડેંગીના 200 કેસ નોંધાય છે. પ્રત્યેક સોસાયટીમાં ડેંગીના 8થી 10 કેસ નોંધાય છે. નાગલપુરમાં અત્યારસુધીમાં 400થી વધારે ડેંગીના કેસ નોંધાય છે. નગરજનો દ્વારા નગરપાલિકાને જરૂરી કામગીરી કરવા રજૂઆત કરાઇ છે.
સુરતમાં મચ્છરજન્ય રોગોમાં વધારો
સુરતમાં કમોસમી વરસાદના કારણે લોકોના આરોગ્ય પર સીધી અસર જોવા મળી છે. જેમાં વરસાદના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. જેમાં ઓક્ટોબરમાં જ ડેંગીના શંકાસ્પદ 778 કેસો નોંધાયા છે. જ્યારે મલેરિયાના 501 અને સાદા તાવના 350 કેસો નોંધાય છે. જો કે આ બધા વચ્ચે વધતા રોગચાળાને નાથવામાં તંત્ર નિષ્ફળ ગયું છે.