અમદાવાદમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગત એપ્રિલ મહિનાના પ્રારંભમાં કેન્દ્ર સરકારે દેશનાં જે દસ શહેરોને કોરોનાના હોટસ્પોટ શહેર તરીકે જાહેર કર્યાં હતાં. તેમાં અમદાવાદનો સમાવેશ કરાયો હતો. હવે દિવાળીના તહેવારોમાં અમદાવાદીઓએ ભાન ભૂલીને જે રીતે સાવ છોકરમત દાખવી છે. તો બીજી તરફ સરકારે ટેસ્ટિંગમાં બેદરકારી દાખવી છે. તેને પગલે શહેરમાં કોરોના બ્લાસ્ટ થયો છે. ત્યારે હજુ પિક્ચર હજુ બાકી છે, 23 નવેમ્બરથી કોરોનાના કેસ વધે તેવી શક્યતાઓ છે. તો પેટાચૂંટણી, નવરાત્રી, દિવાળીમાં ઓછા ટેસ્ટ કરાતા કેસ પણ ઓછા નોંધાયા હોવાનું જણાઇ રહ્યું છે. ચૂંટણી અને તહેવારોમાં જ્યારે જરૂર હતી ત્યારે ટેસ્ટ ઓછાં અને આંકડા પણ ઓછાં નોંધાયા છે.
દિવાળીની લાપરવાહીના કોરોના બોમ્બ 23 નવેમ્બરથી ફૂટશે તેવી શક્યતા
ચૂંટણી, દિવાળી, નવરાત્રીમાં ઓછા ટેસ્ટ કરાતા કેસ પણ ઓછા નોંધાયા
અમદાવાદમાં વધુ 1300 પથારીની વ્યવસ્થા ઊભી કરાઇ
ગુજરાતમાં ક્યાંય પણ લોકડાઉન લગાવાશે નહીંઃ વિજય રૂપાણી
અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કરફ્યુ
કોરોના કાળ બનીને સતત છેલ્લા કેટલાય મહિનાથી માથા પર ઝળુંબી રહ્યો છે. કોરોનાએ અનેક સ્વજન, મિત્ર અને પરિચિતનો ભોગ લીધો હોવા છતાં લોકોએ દાખવેલી બેજવાબદારીના ઘેરા પડઘા તો હજુ પડયા નથી. કેમકે જે તે વ્યકિતને કોરોનાનો ચેપ લાગ્યાના સાત દિવસ બાદ તેના લક્ષણ નજરે પડતાં હોવાના અભ્યાસના આધારે સોમવારથી કોરોનાના કેસનો ગ્રાફ દરરોજના 250-300 કેસ પર જઇ પહોંચશે. બીજા અર્થમાં કોરોનાનો કાળો કેર સોમવારથી નજરે પડશે. તો સરકારી આંકડા અને સરકારનો કર્ફ્યૂનો નિર્ણય જલ્દી ગળે ઉતરતા નથી.
ચૂંટણી, નવરાત્રી, દિવાળીમાં ઓછા ટેસ્ટ કરાતા કેસ પણ ઓછા નોંધાયા
ગુજરાતમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટતા કોરોનાના ઓછા કેસ આવતા હોવાનું મનાઇ રહ્યું છે. ચૂંટણી, નવરાત્રી અને દિવાળી દરમિયાન ઓછા ટેસ્ટ થતા કોરોનાના ઓછા કેસ નોંધાયા છે. જો કોરોનાને ગંભીરતાથી લઇને સરકાર અને તંત્ર દ્વારા જો કોરોના ટેસ્ટિંગ વધાર્યું હોત તો કરફ્યુ લગાવવાની નોબત ન આવત. ચૂંટણી અને તહેવારોમાં જ્યારે જરૂર હતી ત્યારે ટેસ્ટ ઓછાં અને આંકડા પણ ઓછાં નોંધાયા.
ગુજરાતમાં પેટાચૂંટણી, નવરાત્રી અને દિવાળીથી લઇને આજ સુધીના કોરોનાના આંકડા અને કોરોનાના ટેસ્ટ અંગે.
તારીખ
કોરોનાના કેસ
સાજા થયેલા દર્દી
દર્દીના મોત
કોરોનાના ટેસ્ટ
તહેવારો/ચૂંટણી
2020-10-17
1161
1270
9
52657
નવરાત્રીનું 1નોરતું
2020-10-25
919
963
7
51,370
દશેરા
2020-11-03
954
1197
6
52,739
પેટાચૂંટણી
2020-11-12
1125
1352
6
53,973
-
2020-11-13
1152
1078
6
53,967
-
2020-11-14
1124
995
6
52,973
દિવાળી
2020-11-15
1070
1001
6
49,842
નૂતનવર્ષ
2020-11-16
926
1040
5
39,383
-
2020-11-17
1125
1116
7
47,328
-
2020-11-18
1281
1274
8
54,256
-
2020-11-19
1340
1113
7
54,907
લાભપાંચમ
2020-11-20
1420
1020
7
67,901
-
દિવાળીના તહેવારોમાં લોકોએ સ્વયંભૂ શિસ્ત પાળીને કોરોનાની ગાઇડલાઇનને અનુસરવાની જરૂર હતી. પરંતુ મ્યુનિ. તંત્રની સત્તાવાર યાદીમાં દરરોજ જાહેર કરાતા કોરોનાના કેસના છેતરામણા આંકડા, ડોમમાં થતા એન્ટીજન રેપિડ ટેસ્ટના પોઝિટિવ આંકડાને છુપાવવાના પ્રયાસ વગેરેથી શહેરીજનોનો એક મોટો વર્ગ કોરોના હવે ગયો તેમજ માનીને બેઠા હતા. એટલે પણ મોટા ભાગના લોકો દિવાળીમાં બેજવાબદારીપૂર્ણ રીતે વર્ત્યા હતા જેના પરિણામે શહેરમાં કોરોના વિકરાળ બન્યો છે.
પિક્ચર તો અભી બાકી હૈ, આ તારીખથી કોરોનાના કેસ વધુ આવે તેવી શક્યતા
આંકડાઓનું માનીએ તો દિવાળી-બેસતા વર્ષના તહેવારોમાં શહેરમાંથી કોરોનાએ વિદાય લીધી છે તેમ માનીને બેફામ બનેલા લોકોની બેદરકારીના બોમ્બ તો આગામી તા.23 નવેમ્બરથી ફૂટશે. ગત તા.14ની શનિવારની દિવાળી, રવિવાર તા.15નો પડતર દિવસ અને સોમવાર તા.16ના બેસતું વર્ષ અને ભાઇબીજના તહેવારમાં લોકોએ અણસમજ દાખવતાં કોરોના શહેરમાં ઝડપભેર પ્રસરી ગયો છે. જ્યારે જ્યારે કોરોનાના ટેસ્ટ વધ્યા ત્યારે ત્યારે કોરોનાના કેસ પણ વધ્યા છે.
તારીખ
કોરોનાના ટેસ્ટ
કોરોનાના કેસ
17-9-2020
85,620
1379
18-9-2020
69,077
1410
19-9-2020
61,432
1432
20-9-2020
60,687
1407
-
-
-
14-10-0202
50,993
1158
15-10-2020
51,215
1221
16-10-2020
52,657
1191
-
-
-
4-11-2020
51,572
975
5-11-2020
42,296
990
6-11-2020
60,784
1035
9-11-2020
51,789
971
10-11-2020
52,960
1340
કોરોના વધતા બેડ પણ વધારાયા
આના પગલે મ્યુનિ. સત્તાવાળાઓએ સિવિલ હોસ્પિટલ કેમ્પસની કેન્સર અને કિડની હોસ્પિટલમાં 400થી વધુ પથારી, સોલા સિવિલમાં 400 પથારી, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સાબરમતી, ચાંદખેડા અને મોટેરાના દર્દી માટે 100થી વધુ પથારી મળીને કુલ 900 પથારી અને ખાનગી હોસ્પિટલમાં વધુ 400 મળીને વધુ 1300 પથારીની વ્યવસ્થા કરાઇ છે.
એમ્બ્યુલન્સ, ડૉક્ટર અને મેડિકલ સ્ટુડન્ટ્સની ફાળવણી કરાઇ
108માં 20 એમ્બ્યુલન્સ ઉપરાંત વધુ 20 એમ્બ્યુલન્સ શહેરીજનો માટે વધુ 300 ડૉક્ટર અને 300 મેડિકલ સ્ટુડન્ટસની ફાળવણી કરાઇ છે. તમામ ઝોનમાં કોરોના ટેસ્ટિંગ માટે વધુ બેથી ત્રણ ડોમ ઊભા કરાયા હોઇ શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને ડોમ મળીને કુલ 180 મફત ટેસ્ટિંગ સેન્ટરની સુવિધા લોકોને ઉપલબ્ધ કરાઇ છે. સમગ્ર શહેરમાં કોરોના ફેલાયો હોઇ હવે અગાઉની જેમ હાઉસ ટુ હાઉસ સર્વે માટે ખાસ ટીમ મૂકવાના બદલે તંત્રે આ નવા ઉપાય પર ભાર મૂકયો છે.
ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળાં!
બીજી તરફ મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળાં મારવાં લેવાયાં છે. આજે સવારે તંત્રે જમાલપુરના ફૂલબજારને ખાલી કરાવ્યું હતું. આ ઉપરાંત માસ્ક પહેર્યા વગર ફરતા નાગરિકનો કોરોના ટેસ્ટ લેવાનું શરૂ કરાયું છે. કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવતા રૂ.1000નો દંડ અને પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરાઇ રહ્યા છે.
હવે સુરત, વડોદરા અને રાજકોટમાં કેસનો વધારો ન હોવા છતા આગોતરા પગલારૂપે કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. કાલથી સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કરફ્યું રહેશે. ચારેય મોટા શહેરમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લાગુ રહેશે. અનિશ્ચિતકાળ સુધી રાત્રિ કરફ્યુ લાગૂ રહશે.
ગુજરાતમાં કયાંય પણ લોકડાઉનની શકયતા નથીઃ CM રૂપાણી
દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે અંબાજી યાત્રાધામ ખાતે જગતજનની અંબેમાનાં દર્શન કર્યા બાદ જણાવ્યું છે કે લોકોએ ભયભીત થવાની જરૂર નથી. ગુજરાતમાં કયાંય પણ લોકડાઉનની શકયતા નથી. અમદાવાદમાં આ ફકત વીક એન્ડ કરફયુ છે.
જશુ પટેલે અમદાવાદને 15 દિવસ માટે સેનાને હવાલે કરી દેવાની માગણી કરી
આ દરમિયાન ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસીએશનના ચેરમેન જશુ પટેલે એક નિવેદનમાં શહેરના કોરોનાના વધુ વકરવાની દહેશત હોઇ 15 દિવસ માટે સેનાને હવાલે કરી દેવાની માગણી કરી હતી. જ્યારે જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ટ્વિટ કરીને તંત્રની ટીકા કરતાં જણાવ્યું હતું કે અમદાવાદ ફરીથી ભગવાન ભરોસે બન્યું છે. અને તઘલખી શાસકોના નિર્ણયનો ભોગ પ્રજા થઇ છે.
અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામુ
જાહેરનામામાં જણાવાયું છે કે, લગ્નપ્રસંગના આયોજનને રાહત આપી છે. લગ્નપ્રસંગોને મંજૂરી મળશે. સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજૂરી અનુસાર લોકો એકઠા થઈ શકશે. તો અંતિમવિધીમાં માત્ર 20 લોકોને મંજૂરી મળશે. રેલવે અને હવાઇ મુસાફરી કરનાર લોકોને છૂટ મળશે. તમામ તબીબી સેવાઓ કર્મચારીઓને છૂટ મળશે. અતિઆવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ચાલુ રહેશે. ATM અને બેંકિગ સેવા ચાલુ રહેશે. તો દૂધ અને દવાની દુકાનો ચાલુ રહેશે. દવાઓની હોમ ડિલીવરી કરતા કર્મચારીઓને છૂટ મળશે. ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના કર્મચારીઓને છૂટ મળશે. ખાનગી સિક્યુરિટી સેવાઓ ચાલું રહેશે.