ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે કવાયત હાથ ધરી દીધી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના સંગઠનના નવા માળખાની જાહેરાત જુલાઈના અંતમાં થશે. કારણકે પ્રદેશ કોંગ્રેસનું નવુ માળખું તૈયાર કરવા પ્રદેશ અધ્યક્ષના દિલ્હીમાં ધામા છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણી દિલ્હી પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે સંગઠનના નવા માળખાની જાહેરાતની પહેલા હાઈકમાન્ડ સાથે ચર્ચા કરશે. પ્રદેશ સંગઠનનું નવું માળખું નાનુ બનાવવા કવાયત હાથ ધરવામાં આવશે. માત્ર હોદ્દો ભોગવતા નેતાઓના પત્તા કાપવામાં આવશે. સાથે અડધા હોદ્દેદારોના પત્તા કપાવાની પણ શકયતાઓ દેખાઈ રહી છે.
જિલ્લા અને શહેરો પ્રમુખોના નામોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે હાલના પ્રદેશ માળખામાં 19 ઉપપ્રમુખો અને 12 પ્રવક્તા છે. 23 જનરલ સેક્રેટરી 100થી વધુ સેક્રેટરી 6 પ્રોટોકલ સેક્રેટરી છે.
આપને જણાવી દઇએ કે દિલ્હીમાં આજે CWCની બેઠક મળી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણી દિલ્હીમાં છે. આ બન્ને નેતા CWCની બેઠકમાં હાજરી આપવાના છે. આ બેઠક લોકસભાની ચૂંટણીને પગલે બોલાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ સાથે જ ગુજરાત કોંગ્રેસના માળખામાં પણ ફેરફાર થવાના એંધાણ થઇ રહ્યા છે. એક તરફ લોકસભાની ચૂંટણી આવી રહી છે.
ત્યારે ગુજરાત કોંગ્રેસ પોતાના પ્રદેશ માળખામાં ફેરફાર કરવા જઇ રહી છે. નવા માળખાની જાહેરાત જુલાઇ માસના અંતમાં કરવામાં આવશે તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે. ત્યારે હવે જોવું જ રહ્યું કે ગુજરાત કોંગ્રેસના નવા માળખામાંથી કોને બાકાત રાખવામાં આવે છે.