ગુજરાતમાં તાજેતરમાં જ આઠ વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. ત્યારે કોરોનાની મહામારીને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી જેમાં પેટાચૂંટણી યોજાઈ હતી ત્યારે સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટણી કેમ મોકૂફ રખાઈ છે.
કોણે કરી છે અરજી?
સ્નેહ ભાવસાર નામના અરજદારે કરેલી અરજીમાં રજૂઆત કરાઇ છે કે, ચૂંટણીપંચે 3 મહિના માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુલતવી રાખવા નોટિફિકેશન બહાર પાડ્યું છે. ચૂંટણીપંચે તાજેતરમાં જ 8 બેઠક પર પેટાચૂંટણી યોજી છે તો પછી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી શા માટે મોકૂફ રખાઈ છે?.
6 મ્યુનિ.માં ચુંટાયેલા સભ્યોની ટર્મ 15 નવેમ્બરે પૂર્ણ થાય છે. 15 ડિસેમ્બરે 55 નપા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ટર્મ પૂર્ણ થઇ રહી છે. બંધારણ મુજબ કુદરતી આફત કે કોમી રમખાણો થયા હોય ત્યારે જ ચુંટણી મુલતવી રાખી શકાય તે સિવાયના સમયમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી મુલતવી રાખી શકાય નહી.
બંધારણના અનુચ્છેદ 243-Uનો ભંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મોકૂફ રાખવાનું નોટિફિકેશન બહાર પાડીને ચુંટણીપંચ સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે. બંધારણના અનુચ્છેદ 243-Uનો ભંગ કરવામાં આવી રહ્યો છે. વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં પણ સેફટી માપદંડ સાથે ચૂંટણી યોજાઇ છે તો આ ચૂંટણી મોકૂફ રાખી શકાય નહીં.