કચ્છ: ચોમાસુ નબળું રહ્યું વરસાદ ન પડતા કચ્છમાં દુષ્કાળની સ્થિતિ ઉભી થઇ. સરકાર દ્વારા અછત જાહેર કરાઈ પરંતુ દોઢ માસ વિત્યા બાદ પણ અછતની કોઈ જ અમલવારી ન થતા માલધારીઓ હિજરત કરવા મજબુર બન્યા છે.
મૂંગા પશુઓની વેદના તેમના માલધારી માલિકોના આંખોમાંથી છલકીને સામે આવી
કચ્છના લોકોની તમામ ખુશીઓ વરસાદ સાથે જોડાયેલી છે. કચ્છની સંસ્કૃતિ ઈતિહાસ લોકભાષા લોક સાહિત્ય અને સ્થાપત્યોમાં દુષ્કાળની દુ:ખદ વેદના અને વરસાદની અપાર ખુશીના દર્શન અચૂક થાય છે. ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સદીઓ જૂનું ચિત્ર અને લોક સાહિત્યમાં અંકિત થયેલી હિજરતની વસમી વેદના તાદ્રશ જોવા મળે છે. મૂંગા પશુઓ અને તેના પર નિર્ભર બન્નીના દધ્ધર ગામના માલધારીઓ કે જેમણે ઘાસ અને પાણી માટે ભુજ નજીક મીરજાપર ગામે પડાવ નાખ્યો છે.
ઘાસ અને પાણી તંગી વચ્ચે પશુધન નિભાવ કરવો મુશ્કેલ બન્યું છે
સતત અછત અને દુષ્કાળ પરિસ્થતિ સામનો કરી રહેલ સરહદી કચ્છ જીલ્લામાં ચાલુ વર્ષે અછત પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કચ્છમાં ૨૨ લાખથી વધુ પશુધન આવેલું છે જે પૈકી સરકારી ચોપડે ૧૭.૫૦ લાખ નોંધાયેલા છે. સરકાર દ્વારા 1 કરોડ કિલો ઘાસ કચ્છ માટે ફળવાયું પરંતુ તે પૈકી માત્ર ઘાસની ત્રણ ટ્રેનની રેક આવી પહોંચી જેમાં 13 કિલો લાખ ઘાસ કચ્છને મળ્યું છે. તો સમગ્ર કચ્છના પશુધનને ઘાસ કેમ પૂરું પડી શકશે તેવો વેધક પ્રશ્ન પણ માલધારીઓ કરી રહ્યા છે. ગતવર્ષે જીલ્લામાં પડેલા અનિયમિત અને ઓછા વરસાદના કારણે આ વર્ષે જીલ્લામાં ધાસચારો તેમજ પીવાના પાણી તંગી ઉભી થઇ છે. ભૌગોલીક વિષમતા ધરાવતા કચ્છ જીલ્લામાં માનવી કરતા દુધાળા પશુઓની સખ્યા વધારે છે. પરિણામે જીલ્લામાં ધાસ અને પાણી માટે વિકટ સમસ્યા સર્જાય છે. જેને લઇને માલધારીઓ પાણી અને ધાસ માટે ભારે સંધર્ષ કરવો પડી રહ્યો છે. સવાર પડતાની સાથે જ પાણી અને ધાસચારો શોધમાં નીકળતા માલધારી અને પશુઓની હાલતા કફોડી બની છે.
પાણી આજે પણ કચ્છના જનજીવન સાથે સંકળાયેલો મુદ્દો
કચ્છીઓ પોતાની જન્મ ભૂમિ પ્રત્યે અપાર પ્રેમ ધરાવે છે. વિકટ સંજોગોમાં પોતાનું ગામ શેરી અંને પરીવારજનો છોડીને અનિશ્ચિત સ્થળ તરફ રવાના થતી વખતે કાળજું ભારે થઈ જાય છે. પોતાની ફરતે કિલ્લોલ કરતા ભૂલકાઓ અને પરીવારને છોડીને મૂંગા પશુઓ બચાવવા ખાતર હિજરત કરવી પડે ત્યારે લાગણીશીલ દ્રશ્યો સર્જાય છે. તે વસાહત તંત્રની નિષ્ફળતાની ચાડી ખાય છે અને પાણી આજે પણ કચ્છના જનજીવન સાથે સંકળાયેલો મુદ્દો છે એ પણ સાબિત થાય છે.
બે દાયકા પૂર્વે કચ્છીઓને રંઝાડનાર કાળમૂખા દુષ્કાળે ફરી કચ્છમાં દસ્તક દીધી છે. આ વિસ્તારમાં ધાસ અને પાણીની તંગી વિકટ બની છે. ધાસડેપોમાં પુરતું ધાસ મળતું નથી. રાજ્ય સરકાર દ્વારા યોગ્ય ધાસ અને પાણી વ્યવસ્થા કરવામાં ન આવતા માલધારીઓ હિજરત કરવી પડે છે. કચ્છના માલધારીઓ માટે એક એક ઘડી કપરી બનતી જાય છે. હવે દુષ્કાળની થપાટ નહીં ઝીલી શકનાર માલધારીઓ પોતાના ગામો છોડીને હિજરત કરી રહ્યા છે. કચ્છના લાખો માલધારીઓ માટે મૂંગા પશુઓની સુવિધા વિના એક એક પળ વસમી બનતી જાય છે.
બીજી તરફ દુષ્કાળોની ટક્કર સદીઓથી ઝીલતા આવતા કચ્છી માડુઓની કફોડી સ્થિતિનો મજાક ઉડાવાઈ રહ્યો હોવાનો રોષ પણ ફેલાયો છે. એક તરફ રાજયના મુખ્યમંત્રી તાત્કાલીક કચ્છ દોડી આવી અછત જાહેર કરી પણ તેની અમલવારી માટે હજુ તંત્ર વિચારી રહ્યું છે તો દોઢ માસ વીત્યા બાદ પણ કોઈ કામગીરી ન થતા સરકારી તંત્રના આશરે પડ્યા રહેવાના બદલે માલધારીઓ ગામેગામથી ઉચાળા ભરી રહ્યા છે.