વડોદરાઃ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે વડોદરા મનપાને નોટિસ ફટકારી છે. વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા કાટમાળના મામલે નોટિસ ફટકારવામાં આવી છે. 15 દિવસમાં જવાબ રજુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે મનપા કમિશ્નરે નોટિસ મળી હોવાનો સ્વીકાર કર્યો. સાથે જ આગામી સમયમાં સીસીટીવી કેમેરા વિશ્વામિત્રી નદી પાસે લગાવી સઘન મોનિટરીંગ કરવાની બાહેધરી આપી. તો મેયરે પણ કાટમાળનો કચરો કોઈ નાખી ન જાય તે માટે એક્શન પ્લાન બનાવાશે તેમ કહ્યું.
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અને તેની આસપાસ કાટમાળના કચરાને લઈ ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડે મનપા સામે લાલ આંખ કરી છે. જીપીસીબીએ મનપાને નોટિસ ફટકારી 15 દિવસમાં જવાબ રજુ કરવાનો આદેશ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વડોદરા મનપા વિશ્વામિત્રી નદીના કિનારે સીસીટીવી કેમેરા લગાવી ગંદકી કરનારા લોકો સામે આગામી સમયમાં કાર્યવાહી કરવાની વાત કરે છે. તે પહેલા જ જીપીસીબીએ વિશ્વામિત્રી નદીમાં અને તેની આસપાસ ઠલવાતા કચરાના ઢગલાને લઈ મનપાને નોટિસ ફટકારી 15 દિવસમાં જવાબ આપવા આદેશ કર્યો છે.
જીપીસીબીના સભ્ય સચિવ કે.સી મિસ્ત્રીના ધ્યાને આવ્યુ હતુ કે વિશ્વામિત્રી નદીમાં 7 સ્થળો એટલે કે સયાજી હોસ્પિટલ ભીમનાથ બ્રીજ રાત્રી બજારની નીચે કાટમાળનો કચરો ઠાલવાય છે. જીપીસીબીએ મનપાને કન્સ્ટ્રકશન એન્ડ ડીમોલીશન વેસ્ટ મેનેજમેન્ટ માટે ઉભી થતી તમામ માળખાકીય સુવિધા ઉભી કરવા પણ આદેશ કર્યો છે. જે મામલે મનપા કમિશ્નરે નોટિસ મળી હોવાનો સ્વીકાર કર્યો. સાથે જ આગામી સમયમાં સીસીટીવી કેમેરા વિશ્વામિત્રી નદી પાસે લગાવી સઘત મોનિટરીંગ કરવાની બાહેધરી આપી. તો મેયરે પણ કાટમાળનો કચરો કોઈ નાખી ન જાય તે માટે એક્શન પ્લાન બનાવાશે તેમ કહ્યું.
વિશ્વામિત્રી નદીમાં કાટમાળનો કચરો ઠાલવવાના મામલે જીપીસીબીએ સરકારને પાલિકા સામે કાર્યવાહી કરવા જાણ કરી છે. ત્યારે પાલિકાના વિપક્ષ નેતાએ સરકાર જ કોર્પોરેશન અને કાટમાળ નાખનારા બિલ્ડરો સાથે મળેલી હોવાનો આક્ષેપ કર્યો. સાથે જ જીપીસીબીએ પાલિકાના અધિકારીઓ અને હોદ્દેદારો સામે કેસ કરવા પડકાર ફેક્યો.
મહત્વની વાત છે કે જીપીસીબીએ પાલિકાને વિશ્વામિત્રી નદીમાં કાટમાળ ઠાલવવા બદલ નોટિસ ફટકારતા પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સ્વચ્છતા મામલે કેટલા ગંભીર છે તે હકીકત સામે આવી છે. ત્યારે આગામી સમયમાં પાલિકા સામે જીપીસીબી કોઈ કાર્યવાહી કરે છે કે સમગ્ર કેસમાં ભીનું સંકેલી દે છે તે જોવું રહ્યું.