આ વર્ષના અંત પહેલા કેન્દ્ર સરકાર વધુ એક આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.
એવું માનવામાં આવે છે કે ફૂડ, ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટર માટે મોટા રાહત પેકેજની જાહેરાત કરી શકાય છે. મહામારીમાં આ ક્ષેત્રોને સૌથી વધુ ફટકો પડ્યો છે. લોકડાઉન પછી એક બાજુ અન્ય ક્ષેત્રોમાં રિકવરી જોવા મળી છે પરંતુ લોકો બહારનું ખાવામાં અને મુસાફરી કરવામાં હજુ પણ અચકાય છે.
અપેક્ષા છે કે નવા પેકેજ પર રોજગારની નવી તકો ઉભી કરવા પર ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત સરકાર માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
ફેસ્ટીવ સીઝનના સેલ્સને લઇને આશાઓ રાખવામાં આવી રહી છે
નીતિ આયોગના CEO અમિતાભ કાંતના જણાવ્યા અનુસાર ફેસ્ટીવ સીઝનના સેલ્સને લઇને આશાઓ રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે "જો તમે પરચેઝિંગ મેનેજર ઇન્ડેક્સ પર નજર નાખો તો તમને જોવા મળશે કે તે 56.8 છે. સપ્ટેમ્બરમાં તે 8 વર્ષના ઉચ્ચતમ સ્તરે છે. આ આશાવાદનું પરિણામ છે. ઓટોમોબાઇલ્સ સૌથી મહત્વપૂર્ણ છે અને આ મહિનામાં તે વધુ સારું રહ્યું છે."
તેમણે વધુમાં કહ્યું કે,"અમે મોનિટાઇઝેશનમાં રેલ્વે, ઉડ્ડયન, નવા રેલ્વે સ્ટેશનો, એરપોર્ટ શામેલ કર્યા છે. આ સાથે, નાણાંમંત્રી દ્વારા 78,000 કરોડની LTCની જાહેરાતનો પણ લાભ થશે. આ ઘોષણાથી અપેક્ષા વધી છે કે હવે કેન્દ્રીય કર્મચારીઓ થોડો ખર્ચ કરશે.
આ અઠવાડિયે સરકારે કરેલા 4 મોટા એલાનો
1. કન્ઝ્યુમર ડિમાન્ડ વધારવા માટે 68,000 કરોડનું પેકેજ
2. વન ટાઈમ સ્પેશ્યલ ફેસ્ટિવલ લોન
3. રાજ્ય સરકારોને મળશે 50 વર્ષ માટે વ્યાજ લોન
4. કેન્દ્ર સરકારના કેપેક્સ બજેટમાં 25,000 કરોડનો વધારો