કોરોના સંકટ વચ્ચે ઉભી થયેલ આર્થિક પડકારો વચ્ચે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકોએ સોનાના રોકાણ પર વધુ વિશ્વાસ રાખ્યો.પરિણામે, રોકાણકારો દ્વારા જબરદસ્ત ખરીદીના પગલે ઓગસ્ટ 2020 માં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. સોનાએ 2020 દરમિયાન રોકાણકારોને મોટો નફો આપ્યો.
સોના-ચાંદીના ભાવમાં ફરી થયો ઘટાડો
અત્યાર સુધીમાં 13000 સુધી ઘટ્યા ભાવ
કોરોના વેક્સિનેશન બન્યું કારણ
દિલ્હી સરાફા બજારમાં 7 ઓગસ્ટ 2020 ના રોજ સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 57,008 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા. તો આ તરફ, ચાંદીના ભાવ પણ આ દિવસે ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા. ત્યારબાદ, જેમ જેમ કોરોના રસી વિશે સારા સમાચાર આવ્યા, તેમ જ સોના અને ચાંદીના ભાવ ઘટવા લાગ્યા કારણ કે લોકો આર્થિક પ્રવૃત્તિમાં સુધારણા સાથે રોકાણના અન્ય વિકલ્પો તરફ જવા લાગ્યા.
13000 સુધી ઘટ્યા ભાવ
સોનાની કિંમતમાં 7 ઓગસ્ટ 2020ના ભાવથી 26 માર્ચ 2021 સુધીમાં 12,927 રૂપિયાના ઘટાડા સાથે 44,081 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા હતા, તો ચાંદીમાં 7 ઓગસ્ટ 2020ના દિવસે ભાવ 77,840 થયાં હતા. જેમાં ગત શુક્રવારે 13,564 રૂપિયા ઘટીને 64,276 રૂપિયા પર પહોંચ્યા.
કેમ ઘટ્યા સોના-ચાંદીના ભાવ?
નિષ્ણાંતોના મતે જેમ-જેમ દુનિયાભરમાં કોરોના વેક્સિનેશન અભિયાને ગતિ પકડી છે, એવી જ રીતે લોકો પણ અન્ય સ્થળે રોકાણ કરવાનું વિચારી રહ્યા છે. જેના કારણે સોનાના ભાવમાં આ ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાની સ્થિતિ લાંબા સમય સુધી આ પ્રકારે જ જોવા મળશે.
લાંબા સમયના રોકાણથી થશે ફાયદો
રોકાણકારોનો એક મોટો વર્ગ પણ છે, જેઓ જાણવા માંગે છે કે હાલના ભાવે સોનામાં રોકાણ કરવું સલામત રહેશે કે કેમ. શું તેઓ આ તકનો લાભ લઈ શકે છે અને લાંબા ગાળા માટે રોકાણ કરીને મજબૂત નફો મેળવી શકે છે. આના પર નિષ્ણાતો કહે છે કે, ડોલરના ભાવમાં હાલ સ્થિરતા જોવા મળી રહી છે. ત્યારે ડોલરના ભાવ જ્યારે ઘટશે ત્યારે સોનાના ભાવમાં પણ હજી ઘટાડો નોંધાશે. માટે લાંબા ગાળા સુધી રોકાણ કરનારને ફાયદો થશે.