17 વર્ષ બાદ બહુચર્ચિત ગોધરાકાંડના તપાસપંચ નાણાવટી પંચનો રિપોર્ટ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં તમામ રાજકિય મહાનુભાવેને ક્લીનચીટ આપી દેવામાં આવી હતી જ્યારે તપાસપંચના તારણોમાં ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક જણાઇ હોવાની ટીપ્પણી કરવામાં આવી હતી. જે મહાનુભાવોની નકારાત્મક ટીપ્પણી કરાઈ છે તે તમામ એક્સ IPS ઓફિસર ગુજરાત સરકારમાં ઉચ્ચ પદે સેવા નિભાવી ચુક્યા છે ત્યારે તેમની તરફનું સત્ય કંઈક ઔર જ છે. આવો જાણીએ કે કોણ છે આ પોલીસ અધિકારીઓ, અને તેમનું શું કહેવું છે?
R.B. શ્રીકુમાર છે એ અરજદાર જેમણે ગોધરાકાંડનો રિપોર્ટ જાહેર કરવા રીટ કરી હતી
રાહુલ શર્માએ ગોધરાકાંડ વખતે બનાવી હતી ફોન કોલ્સ સીડી
સંજીવ ભટ્ટ સીધા તત્કાલિન મુખ્યમંત્રી સામે કર્યો હતો આક્ષેપ
ગોધરા કાંડના જસ્ટીસ નાણાવટી તપાસપંચના રિપોર્ટમાં જે IPS અધિકારીઓ માટે નકારાત્મક ટીપ્પણી કરાઈ છે તે તમામ ક્યાંકને ક્યાંક તપાસમાં મદદરૂપ થયા છે. વળી કેટલાકે તો પુરાવા પણ રજૂ કર્યા છે ત્યારે પોલીસ સામે જ સવાલો ઉઠાવતા રિપોર્ટ અંગે આ IPS અધિકારીઓ પ્રશ્નો ઉઠાવશે.
સંજીવ ભટ્ટ સીધા તત્કાલિન મુખ્યમંત્રી સામે કર્યો હતો આક્ષેપ
IITમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કેડરના IPS હતા. તેઓ એક સમયે નરેન્દ્ર મોદીની 'ગુડબુક્સ'માં આવતા અધિકારી તરીકે પણ ઓળખાતા હતા, પણ 2002 પછી તેમણે અમદાવાદમાં સાબરમતી જેલમાં ફરજ બજાવી હતી.
2011માં સંજીવ ભટ્ટે ઍફિડેવિટમાં કહ્યું હતું કે ગોધરાકાંડ બાદ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની બેઠકમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે 'હિંદુઓને તેમનો આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ.' જોકે, ત્યાર બાદ તેમને જૂનાગઢમાં પોસ્ટિંગ આપવામાં આવી હતી. તેઓ સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યા, જ્યારે તેમણે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા. જોકે, મોદી સરકારે કહ્યું હતું કે સંજીવ ભટ્ટ આ બેઠકમાં હાજર નહોતા અને તેના કોઈ સાક્ષી નથી.
R.B. શ્રીકુમાર છે એ અરજદાર જેમણે ગોધરાકાંડનો રિપોર્ટ જાહેર કરવા રીટ કરી હતી
1971ની બેચના IPS અધિકારી R.B. શ્રીકુમાર રાજ્યના ભૂતપૂર્વ પોલીસ વડા( Director-General of Police) છે એ ગુજરાત રમખાણોના કેસમાં 9 સોગંદનામા દાખલ કર્યા હતા અને 2002માં રાજ્યમાં ગુપ્તચર શાખાના તેઓ વડા હતા જ્યારે રાજ્યમાં ગોધરા કાંડની ઘટનાઓ બની હતી, તેઓએ નરેંદ્ર મોદી પર ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનો ફોન ટેપ કરવાનો આદેશ આપ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. R.B. શ્રીકુમારે 2015માં એક પુસ્તક લખ્યું હતું જેમાં ઉલ્લેખ કર્યો છે, 'ન્યાયતંત્રની ઉદાસીનતા'. જેમાં કુલ 9 એફિડેવિટ રજૂ કર્યા હતા જેમાં સરકારની વિરુદ્ધ તમામ પુરાવા હોવાનું કહેવાય છે.
ગુજરાત સરકારને બનાવ્યા હતા પ્રતિવાદી
રાજયના પૂર્વ પોલીસ વડા આર.બી. શ્રીકુમારે રાજ્યમાં થયેલા ગોધરાકાંડ અને તેની પછીની ઘટનાઑ સંદર્ભે નીમવામાં આવેલા નાણાવટી કમિશનના તપાસ અહેવાલના ભાગ-2ને સરકાર જાહેર કરે એ માટે ગુજરાત હાઇકોર્ટમાં સરકારને પ્રતિવાદી બનાવી રિટ પિટિશન દાખલ કરી હતી.
રાહુલ શર્માએ ગોધરાકાંડ વખતે બનાવી હતી ફોન કોલ્સ સીડી
રાહુલ શર્મા 1992માં ગુજરાત કેડરના એક્સ IPS ઓફિસર છે. 1987માં IIT કાનપુરથી ઈલેક્ટ્રીક એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. હાલ તે ગુજરાત હાઈકોર્ટમાં વકિલ તરીકે સેવા આપે છે.
ગુજરાતમાં થઈ રહેલા તોફાનો રોકવા અને ભડકાવવામાં અલગ અલગ લોકોને રસ હતો, પણ ભાવનગરના ડીએસપી રાહુલ શર્માએ તોફાનીઓ દેખાય તેને ઠાર કરોનો આદેશ આપ્યો હતો. જોકે આઈપીએસ અધિકારી રાહુલ શર્માનો આ આદેશ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયાને પસંદ પડયો નહીં, તેમણે તેમની બદલી અમદાવાદ કરી દીધી.
રાહુલ શર્માને નિષ્ક્રિય કરવા કરાઈ હતી બદલી
રાહુલ શર્મા તોફાનમાં માલ-મિલ્કત અથવા માણસ ગુમાવ્યો હોય અને તેની ફરિયાદ ન નોંધાઈ હોય તેવા લોકોને બોલાવી બોલાવીને તેમની ફરિયાદ નોંધવા લાગ્યા. એટલે અમદાવાદ પોલીસ કમિશનર પ્રશાંતચંદ્ર પાંડેએ તેમને કંટ્રોલરૂમમાંથી ખસેડી ક્રાઈમ બ્રાન્ચની મદદમાં મૂકી દીધા હતા. ત્યાં રાહુલ શર્માને કંઈ જ કરવાનું નહોતું, પણ તેમણે કામ શોધી કાઢ્યું.
રાહુલ શર્માએ ફોનકોલ્સ સીડી બનાવી હતી
2002માં ગુજરાતમાં મોબાઇલ ટેલિફોનની સુવિધા આપતી બે જ કંપનીઓ હતી, તેમણે આ બે મોબાઇલ કંપનીઓને કહ્યું તે 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના તમામ મોબાઈલ ધારકોની કોલ્સ ડિટેઇલ આપો. રાહુલ શર્માને મોબાઇલ કંપની દ્વારા જે કોલ ડિટેઇલ્સ આપવામાં આવી તે એક મોટો પુરાવો સાબિત થવાનો હતો.
SITની તપાસમાં આ સીડી પુરાવા રૂપે ગણાઈ હતી
ગોધરાકાંડની તપાસ કરી રહેલા જસ્ટિસ નાણાવટી સામેની જુબાનીમાં રાહુલ શર્માએ એ દિવસની ફોન કોલ્સની સીડી રજૂ કરી હતી. નાણાવટી પંચમાં ગુજરાત સરકાર રાહુલ શર્માની સીડીનો વિરોધ કરી રહી હતી, ત્યારે તોફાનની તપાસમાં માટે નિયુકત સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે (SIT) રાહુલ શર્માની સીડીને પુરાવા રૂપે ગણી હતી.