Gir Somnath News: પૈસાની જરૂરીયાતવાળા લોકોને રૂપિયાનો ઢગલો કરવાની લાલચ આપી લાખોની રકમ પડાવી છેતરપિંડી આચરતી ટોળકીને LCBએ ઝડપી પાડી છે.
ગીર સોમનાથમાંથી મહાઠગ ટોળકી ઝડપાઈ
પોલીસે 10 લોકોની ધરપકડ કરી
રૂપિયાનો ઢગલો કરી દેવાની લાલચ આપી છેતરપિંડી
તપાસમાં તાંત્રિક ટોળકીની કરતૂતોનો પર્દાફાશ
ગીર સોમનાથમાંથી મહાઠગ ટોળકી ઝડપાઈ છે. આ ટોળકી દ્વારા રૂપિયાની જરૂરિયાતવાળા લોકો સાથે તાંત્રિક વિધિના નામે લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. પોલીસે 19 લાખના મુદામાલ સાથે 10 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
500 કરોડનો ઢગલો કરી દેવાની લાલચ આપી
ગીર સોમનાથ જિલ્લામાં તાંત્રિકોની ટોળકી પૈસાની જરૂરીયાતવાળા લોકોને પૈસાનો ઢગલો કરાવી દેવાની માયાજાળમાં ફસાવીને લાખોની રકમ પડાવી છેતરપિંડી આચરતી હોવાનો LCBએ પર્દાફાશ કરી 10 આરોપીઓની ધરપકડ કરી છે. LCBએ આ આરોપીઓ પાસેથી તાંત્રિક વિધિમાં ઉપયોગ લેવાતી નકલી ખોપડી, સાપ, જેવી વસ્તુઓ તથા રોકડા રૂ. 6.46 લાખ, 21 તોલા સોનું સહિત 19 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. આ તાંત્રિક ટોળકીએ અત્યારસુધીમાં અનેક લોકોને બાટલીમાં ઉતારી 93 લાખ રોકડા અને 66 તોલા સોનાની છેતરપિંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઠગ ટોળકીએ રાજકોટના પૂજારીની સમક્ષ 500 કરોડનો ઢગલો કરી દેવાની લાલચ આપીને 15 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ તાલાલા પોલીસમાં નોંધાઈ છે.
ગોળ કુંડાળામાં બેસાડીને કરી વિધિ
આ તાંત્રિક ટોળકીના પર્દાફાશ મામલે એસ.પી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, બે વર્ષ પહેલા રાજકોટ ખાતે રહેતા પૂજારી હરકીશનભાઈ ગૌસ્વામીએ આશ્રમ બનાવવા માટે પૈસાની જરૂરીયાત હોવાની વાત અલ્તાફ સમાએ જણાવી હતી. જે બાદ અલ્તાફે કહ્યું હતું કે તાલાલાના પાણીકોઠા ગામે રહેતા મુસાબાપુને સાક્ષાત માતાજી આવે છે, તેઓ 500 કરોડ રૂપિયાનો ઢગલો કરી દેશે, જેના માટે વિધિ કરવી પડશે. જેના માટે હરકીશનભાઈ ગૌસ્વામી પાણીકોઠા ગામે મુસાબાપુની વાડીએ ગયા હતા. જ્યાં રાતના સમયે ગોળ કુંડાળામાં બેસાડીને મુસાબાપુએ વિધિ ચાલુ કરી હતી.
કટકે-કટકે રૂ.15 લાખ તાંત્રિક વિધિ કરવા આપ્યા
ત્યારે અચાનક એક લાંબી કાળા વસ્ત્રો ધારણ કરેલ વ્યક્તિ પ્રગટ થયેલ જેમણે માતાજી હોવાનું જણાવ્યું હતું. આ વ્યક્તિ મુસાબાપુએ કહેલ કે, માતાજી આ ભેખધારી માણસને પૈસાની જરૂરીયાત છે તમે કૃપા કરો, એટલું કહેતા જ અંધારામાં માતાજી આલોપ થઈ ગયા હતા. જેથી મુસાબાપુએ કહ્યું હતું કે, માતાજીને પ્રસન્ન કરવા માટે સાડા પાંચ લાખ રૂપિયાનું કામરૂપ અથવા પુસ્કર દેશનું તેલ મંગાવું પડશે જેના માટે તમે થોડા દિવસો માટે પૈસા વ્યાજે લઈ લો પછી હું તમને પૈસાનો ઢગલો કરી દઈશ, તેમાંથી તમે પરત આપી દેજો. જેથી હરકીશનભાઈએ તેમના બહેન અને સેવકો પાસેથી રકમ એકત્ર કરીને કટકે કટકે રૂ.15 લાખ જેવી રકમ તાંત્રિક વિધિ કરવા અને તેની સામગ્રી લેવા માટે મુસાબાપુને આપેલ હતી.
બે નકલી પોલીસ કર્મચારીઓએ કરી મારકુટ
આ તાંત્રિક વિધિ દરમિયાન પ્રગટ થયેલ માતાજીએ એક વખત ધર્માદાના રૂપિયા આપું છું, આશ્રમના પૈસા પછી આપીશ તેમ કહી અદ્રશ્ય થઈ ગયા હતા. બાદમાં મુસાબાપુએ પૂજારીને વાડીના એક રૂમમાં ભોંયરામાં રાખેલ લાખોની રકમ બતાવી હતી. સાથે આવી જ રીતે રાજકોટ તમારા ઘરે વિધિ કરવાથી પૈસાનો ઢગલો થશે તેમ કહી વિશ્વાસમાં લઇ લીધા હતા. બાદમાં કારમાં મુસાબાપુ, અલ્તાફ સહિત પૂજારી હરકીશનભાઈ રાજકોટ તેમના ઘરે વિધિ કરવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સાદા કપડામાં આવેલા બે નકલી પોલીસ કર્મચારીઓએ કારને વાહન ચેકીંગ કરવા માટે રોકાવી તલાસી લીધી હતા. આ સમયે કારમાંથી 3 લાખ રોકડા અને ખોપળી મળી આવી હતી. જેથી નકલી પોલીસે મારકુટ કરીને મુસાબાપુને ઝડપી લીધા હતા, જ્યારે પૂજારી હરકીશનને ભગાડી દીધેલ હતા.
છેતરપિંડી થઈ હવાનો અહેસાસ થતાં પહોંચ્યા પોલીસ સ્ટેશન
જેના થોડા દિવસો પછી મુસાબાપુએ પૂજારીને ફોન કરીને પોતે પોલીસના ચંગુલમાંથી માંડ નીકળેલ હોય અને હવે માતાજી નારાજ થઈ ગયા હોવાથી વિધિ થશે નહીં તેવું જણાવ્યું હતું. વધુમાં એસપી જાડેજાએ જણાવેલ કે, પૂજારી હરકીશનભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસને લેખિતમાં અરજી કરી હતી. જેની તપાસમાં તાંત્રિક ટોળકીની કરતૂતોનો પર્દાફાશ થયો છે. અત્યાર સુધીમાં આ ટોળકીએ અનેક પૈસાની જરૂરીયાત વાળા લોકોને માયાજાળમાં ફસાવીને 93 લાખ રોકડા અને 66 તોલા સોનાની છેતરપિંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે તાંત્રિક ટોળકીના 10 આરોપીઓને ઝડપી પાડયા છે અને ચારને પકડવા તજવીજ હાથ ધરી છે.