રાજકોટના પરાબજારની આશીર્વાદ પેઢીના લાલ મરચાના સેમ્પલ ગત માર્ચ માસમાં લેવામાં આવ્યા હતા જેમાં રિપોર્ટ આવ્યા બાદ મરચાને લાલ બનાવવા કલરની ભેળસેળ કરાતી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં ખાદ્યચીજોમાં અવારનવાર ભેળસેળની ઘટના સામે આવે છે. ઘી, દુધ, ફરાડી લોટ સહીતની વસ્તુઑમાં ભેળસેળના બનાવો હજરાહજુર છે. તેવામાં હવે લાલ મરચામાં ભેળસેળનો ચોંકાવનારો ખુલાસો થતાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટના પરાબજારની આશીર્વાદ પેઢીના લાલ મરચામાં ભેળસેળ કરાયું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
રાજકોટમાં મરચામાં ભેળસેળનો રિપોર્ટ પાંચ મહિને આવ્યો
રાજકોટમાં મરચામાં ભેળસેળ અંગેની શંકાને લઈને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન શંકાસ્પદ નમૂના લઇને રિપોર્ટ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જેના પાંચ મહિના બાદ રિપોર્ટ આવ્યો છે. જે નમુનામાં લાલ મરચામાં કલર-કેમિકલ ભેળવતા હોવાનું સામે આવ્યું છે. લાલ મરચાંને કલરફૂલ બનાવવા વેપારીઓ હાનિકારક કલર ભેળવતા હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ હાનિકારક કલરથી જન આરોગ્યને મોટાપાયે નુકસાન થાય છે. એટલું જ નહિ હાનિકારક કલરના કારણે કેન્સર સહીતના રોગનોપ પણ ખતરો હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. પાંચ મહિના બાદ રાજકોટનું આરોગ્ય તંત્ર જાગ્યુ છે. જ્યારે રિપોર્ટ મોડો આપીને તંત્ર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતું હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
અગાઉ, ઘી, ફરાળી લોટ અને દુધમાં ભેળસેળ સામે આવી હતી
તાજેતરમાં રાજકોટ કોર્પોરેશનના ફૂડ શાખા દ્વારા કોઠારીયા મેઈન રોડ પર આજી ડેમ પોલીસ સ્ટેશન નજીકથી GJ 10 TX 5961 નંબરના બોલેરોમાંથી 1400 લીટર ભેળસેળ યુક્ત દૂધનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત થોડા સમય અગાઉ જ રાજકોટ ફૂડ વિભાગ દ્વારા કોઠારિયા રોડ પર જય અંબે એન્ટરપ્રાઇઝ પેઢીમાં દરોડા પાડ્યા હતા. જેમાં ભેળસેળ યુક્ત ઘી વેચતા હોવાની બાતમીને આધારે દરોડા પાડતા દિવાબત્તીમાં વપરાશ કરવાના નામે ભેળસેળ યુક્ત ઘીનું વેચાણ થતુ હોવાનું સામે આવ્યું હતું. ફૂડ વિભાગ દ્વારા ઘીનું સેમ્પલ લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ ઉપરાંત કોઠારિયા રોડ પર સંતોષ સ્વીટમાર્ટ તથા બાપુનગર વિસ્તારમાં જય બાલાજી નમકીનમાંથી પણ સેમ્પલ લેવાયા હતા. વધુમાં રાજકોટ શહેરના જલારામ ચોક પાસે આવેલ સમર્પણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મકાઈના લોટની ભેળસેળ કરી ફરાળી પેટીસનું વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું હતું. આથી પૈસા કમાવવાની લ્હાઇમાં લોકોના સ્વાસ્થ્ય માટે ચેડાં કરતાં આવા શખ્સો વિરુદ્ધ આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.