દેશના આર્મી ચીફ જનરલ બિપિન રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બન્યા છે. કેન્દ્ર સરકારે ઘણા વખતથી જેની ચર્ચા હતી કે સીડીએસની રચના કરીને એક મોટા ફેરફારની શરૂઆત જ નથી કરી, પરંતુ લાંબા સમયથી પેન્ડિંગ હતું તે જરૂરી કામ પણ પૂરું કર્યું છે.
બિપિન રાવત દેશના પ્રથમ CDS બન્યાં
સરકારે લાંબા સમયથી પેન્ડિંગ કામ પૂર્ણ કર્યું
ત્રણેય દળોના હિતમાં હોવાથી દેશ હિતમાં પણ મોટો નિર્ણય
CDS નો નિર્ણય સંરક્ષણના ત્રણેય દળોના હિતમાં હોવાથી દેશ હિતમાં પણ મોટો નિર્ણય છે. CDS એ માત્ર એક હોદ્દો નથી. તે સેનાની ત્રણેય પાંખને વધુ સક્ષમ બનાવવાનો ઉપાય પણ છે. તેનાથી તાલમેલ પણ વધશે અને દેશની રક્ષા માટેની વ્યૂહરચના વધુ સારી રીતે ઘડી શકાશે.
લશ્કરી બાબતોના ચીફ તરીકે સીડીએસની નિમણૂક અનેક રીતે મહત્ત્વની છે. આ પદ પર રહેલા સેનાના અધિકારી ત્રણેય પાંખ માટે સંરક્ષણ પ્રધાનના સલાહકાર તરીકે કામ કરશે. એટલું જ નહીં તેઓ વડા પ્રધાનની આગેવાની હેઠળના ન્યુકલિયર કમાન્ડ ઓથોરિટીના પણ સભ્ય હશે. આ ઓથોરિટી પાસે જરૂર પડે ન્યુક્લિયર શસ્ત્રોનો ઉપયોગ કરવાનું બટન હોય છે.
સીડીએસની નિમણૂકથી ત્રણેય સૈન્યના વડાઓના અધિકારમાં કોઈ ઘટાડો થવાનો નથી. તેઓ પહેલાની જેમ સંરક્ષણ પ્રધાનને અહેવાલ આપવાનું ચાલુ રાખશે. લાંબા સમયથી અને ખાસ કરીને કારગિલ યુદ્ધ પછી સીડીએસ જેવી પોસ્ટની જરૂરિયાત અનુભવાઈ રહી હતી, પરંતુ આટલા વર્ષો પછી હવે તેનો અમલ થઇ રહ્યો છે.
કારગિલ યુદ્ધ પછી જાણવા મળ્યું કે ત્રણેય સૈન્ય વચ્ચે સંકલનના અભાવને કારણે ઘણું વધારે નુકસાન થયું હતું. કારગિલ યુદ્ધ સિવાયના અન્ય પ્રસંગોએ પણ ત્રણેય સૈન્યમાં સંકલનનો અભાવ હોવાનું બહાર આવતું રહ્યું હતું.
સંરક્ષણ મોરચે પડકારો વધી રહ્યા છે ત્યારે સેનાની પાંખોમાં સંકલનનો અભાવ હોય તે કોઇપણ સંજોગોમાં ચાલી શકે નહીં. સીડીએસની જરૂરિયાત માત્ર એટલા માટે નહોતી કે તમામ મોટા દેશોએ આ હોદ્દો જાળવી રાખ્યો છે. પણ એટલા માટે કે ત્રણેય સૈન્યની સમસ્યાનો ઝડપથી નિરાકરણ લાવવાનું કામ આવા લશ્કરી અધિકારી દ્વારા જ થઈ શકે તેમ છે. ડિફેન્સ ક્ષેત્રના નિષ્ણાતોને આશા છે કે સીડીએસની નિમણૂકથી સૈન્યના આધુનિકીકરણની પ્રક્રિયામાં વેગ તો મળશે જ, પરંતુ તેમની જરૂરિયાતો પણ સમયસર પૂર્ણ થશે.
એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે સૈન્યમાં જરૂરી સુધારાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે. તે જરૂરી પણ છે, કારણ કે આજના સમયમાં સૈન્ય મોટું હોય એ જ માત્ર જરૂરી નથી, તે સક્ષમ પણ હોવું જોઇએ. સમયની સાથે સાથે જરૂરી હથિયારો અને ઉપકરણોથી સજજ પણ થતું રહેવું જોઇએ.
આવી બધી અપેક્ષાઓ પૂરી થવાની સંભાવનાને કારણે સીડીએસની રચના મહત્ત્વની માનવામાં આવી રહી છે. ૩૧ ડિસેમ્બરે આર્મીના વડા પદેથી નિવૃત થતાં બિપીન રાવતને દેશના પ્રથમ સીડીએસ બનવાનું બહુમાન મળ્યું છે. કેમ કે સીડીએસની નિવૃત્તિની વય ૬પ વર્ષ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બિપિન રાવતના તાજેતરનાં નિવેદનથી વિવાદ સર્જાયો હતો. સીએએના વિરોધમાં દેશભરમાં થયેલી હિંસા અંગે તેમણે જણાવ્યું હતું કે લોકોને ખોટી દિશા બતાવનારા અને હિંસા માટે ઉશ્કેરતા લોકોને નેતા કહી શકાય નહીં. બિપિન રાવતે જોકે તેમાં કોઇ પણ પક્ષનું નામ લીધુ ન હતું.
તેમ છતાં વિપક્ષોને બિપિન રાવતની ટિપ્પણી ગમી ન હતી. કેટલાક નેતાઓએ તો રાવતને તેમના કામમાં ધ્યાન આપવાની વણમાગી સલાહ પણ આપી દીધી હતી. જોકે બિપિન રાવતના સમર્થનમાં આવેલા લોકોની દલીલ હતી કે તેમણે ખોટું શું કહ્યું હતું? સેના પ્રમુખને પણ રાજકીય વાદવિવાદમાં ઘસેડવામાંથી નેતાઓએ બચવું જોઇએ.