ઈંગ્લેન્ડની સામે ત્રીજી T20 મેચમાં હાર્યા પછી ભારતની ટીમ સિલેક્શનની ઉપર પણ સવાલો ઉઠવા પામી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાના આ નિર્ણયથી નારાજ ગૌતમ ગંભીર
સૂર્યકુમાર યાદવને ન રમાડવાના નિર્ણયની કાઢી ઝાટકણી
ટીમ સિલેક્શનની ફોર્મ્યુલા પર ઉઠી રહ્યા છે પ્રશ્નો
ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની ત્રીજી T20 મેચ અમદાવાદના નવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાર્યા પછી ભારતની ટીમ સિલેક્શન ફોર્મ્યુલા પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. સૂર્યકુમાર યાદવે બીજી T20 મેચમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું, પણ તેને એક પણ બોલ રમવાનો ચાન્સ મળ્યો નહોતો.
રોહિત શર્માને સમાવવામાં આવ્યો હતો
ત્રીજી T20 મેચમાં સૂર્યકુમાર યાદવને તક ન આપવાના નિર્ણય પર ભારતના ટીમ સિલેક્શનને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે, ભારતે સૂર્યકુમાર યાદવની જગ્યાએ રોહિત શર્માને સમાવવામાં આવ્યો હતો, રોહિતે કેએલ રાહુલ સાથે મળીને ઓપનિંગ કરી હતી, અને બીજી મેચના હીરો રહેલા ઇશાન કિશન ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતર્યા હતા. સૂર્યકુમાર યાદવને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કાઢવાના નિર્ણયની પૂર્વ ખેલાડી અને હાલના લોકસભા સાંસદ ગૌતમ ગંભીરે આકરી ટીકા કરી હતી અને આ નિર્ણયને લઈને ટીમ મેનેજમેન્ટને ઘણું સંભળાવી દીધું હતું.
ગંભીરે ESPN Cricinfoની સાથે વાત કરતાં જણાવ્યું હતું કે જો હું સૂર્યકુમાર યાદવની જગ્યાએ હોત તો મને પણ આ નિર્ણયથી દુ:ખ થાત, તે 21 નહીં, પણ 30 વર્ષના છે. મનીષ પાંડેની સાથે શું થયું, આના પર પણ કોઈ વાત નથી કરી રહ્યું, સંજુ સેમસનને જોઈ લો, કોઈ પણ સવાલ નથી પૂછી રહ્યું કે તે ક્યાં છે? જો આપે કોઈને ટીમમાં સમાવ્યો છે તો તેની રમતને જોવી જોઈએ. તમે તેને ત્રણથી ચાર મેચમાં રમવાની તક આપી જુઓ, પછી જ ખબર પડશે કે તે ક્યાં સ્ટેન્ડ કરે છે?
ટીમ મેનેજમેન્ટના સપોર્ટથી જ સફળ થઈ શકાય છે : ગંભીર
ગંભીરે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી તમને ટીમ મેનેજમેન્ટનો સપોર્ટ નથી મળતો, તમે સફળ નથી થઈ શકતા, ઇશાન કિશનને જ જોઈ લો, એક ફિફ્ટી અને હવે ત્રીજા નંબર પર બેટિંગ.
સૂર્યકુમાર યાદવના નામની વકાલત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેને ન રમાંડવાનું નુકસાન ભારતીય ટીમને થઈ શકે છે, ઉદાહરણ કે આ વર્ષે થનારા T20 વર્લ્ડકપની મેચમાં શ્રેયસ અય્યરને ઇજા થાય છે, તો સૂર્યકુમાર યાદવ એક સારા વિકલ્પ બની શકે છે, કેમ કે તેમને ચકાસી જોવામાં આવ્યા છે. મહત્વનું છે કે પાંચ મેચોની T20 શ્રેણીમાં ભારત હાલ 1-2થી પાછળ છે, જ્યારે કે ચોથી મેચ ગુરુવારે રમાવા જઈ રહી છે.