બનાસકાંઠા પાંજરાપોળ ગૌશાળાના સંચાલકો ફરી એકવાર કરશે આંદોલન, 500 કરોડની સરકારે સહાયની જાહેરાત કરી પણ એક તણખલુંય ન મળ્યું
બનાસકાંઠા ગૌશાળા સંચાલકો કરશે આંદોલન
ગૌશાળાની સહાય આપવાની સંચાલકોની માંગ
પશુઓને નિભાવામાં પડી રહી છે મુશ્કેલી
બનાસકાંઠામાં પાંજરાપોળ ગૌશાળાના સંચાલકો ફરી એક વખત આંદોલન કરશે. ગૌશાળા માટે સરકાર દ્વારા 500 કરોડની સહાયતાની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત બાદ પણ સરકારની સહાયતા ગૌશાળા સુધી ન પહોંચતા સંચાલકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.
સહાય ન મળી તો આંદોલન કરવાની ચિમકી
આ ઉપરાંત 3 માસની સહાય તાત્કાલિક સંસ્થાઓને ચૂકવવાની રજૂઆત કરવામાં આવી હતી. જાહેરાત કરેલી સહાય 7 દિવસમાં આપવામાં નહિ આવે તો ગૌશાળાના પશુઓને સરકારી કચેરી નજીક છોડી દેવાની ચિમકી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 170 જેટલી ગૌશાળામાં 75 હજાર જેટલા પશુઓ છે. કોરોના અને મોંઘવારીમાં ગૌશાળાને દાન આવકમાં ઘટાડો થયો છે. દાનની આવકમા ઘટાડો થતા ગૌશાળાના પશુઓને નિભાવા મુશ્કેલ બન્યા છે.
ગૌ શાળા અને પાંજરાપોળને કાયમી સહાય ક્યારે?
મહત્વનું છે કે દેશના ઘણા રાજ્યોમાં સરકાર ગૌ શાળા અને પાંજરાપોળને કાયમી સહાય આપે છે. જેમાં ગૌ શાળામાં રહેલા પશુધનના આધારે પ્રતિ પશુ દૈનિક સહાય આપવામાં આવે છે. પણ ગુજરાતમાં આવી કોઈ સુવિધા નથી. ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના જાહેર કરી છે. પણ તેની અમલવારી યોગ્ય રીતે થતી ન હોવાના ગૌ શાળા સંચાલકો આરોપો કરી રહ્યા છે. રજિસ્ટર્ડ ગૌ શાળાના પશું દીઠ 30 રૂપિયાની સહાય જાહેર કરી હતી પણ તે આજની તારીખ સુધી ન અપાઈ હોવાનો દાવા સાથે હવે આંદોલનનો રસ્તો ગૌશાળા સંચાલકોએ પકડ્યો છે.