ગુજરાતમાં હાલ આંકડાકીય માહિતી મુજબ કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો. ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રુપાણીના કાર્યાલયમાં વધુ 8 કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇને કોરોના સંક્રમિતનો આંકડો કુલ 19 થયો છે.
CMOમાં વધુ 8 કર્મચારી કોરોના સંક્રમિત
મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 19 થયો
હજુ 10 કર્મચારીઓના રિપોર્ટ આવવાના બાકી
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકૂલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં વધુ 8 કર્મચારી કોરોના સંક્રમિત જોવા મળ્યાં છે. જેના કારણે મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 19 થયો છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે 11 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. આમ આજે વધુ 8 કર્મચારી કોરોના સંક્રમિત થતા કુલ આંક 19 થયો છે. ત્યારે તમામ કર્મચારીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યાં છે.
ગઇકાલે રાજ્યના પાટનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોનાવાયરસનો કહેર જોવા મળ્યો હતો. જેમાં CMOના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત જોવા મળ્યાં હતા. જેમાં ઉપસચિવ, સેકશન, ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જો કે આ પાછળ ISOની ટીમની મુલાકાત બાદ કોરોના ફેલાયો હોવાની શક્યતા છે. હાલ તકેદારીના ભાગરુપે મુખ્યમંત્રી કાર્યાલયમાં મુલાકાતીઓનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.
5 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 655 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ ઉત્તરોત્તર વધી રહ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે, આ સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.
રાજ્યમાં 10 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 868 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,35,426 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 8830 એક્ટિવ કેસ છે. જેમાંથી 59 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં ગઇકાલે 4 દર્દીના મોત
આજે કોવિડ-19થી 4 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4325 થઇ ગઇ છે. આજે અમદાવાદમાં 2 અને સુરતમાં 1, અમરેલી 1 આમ 24 કલાક દરમિયાન કુલ 4 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
મહાનગરોમાં કેસ ઘટ્યા! અમદાવાદ શહેરમાં 137 પોઝિટિવ
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 137 -ગ્રામ્યમાં 4 કેસ, સુરત શહેરમાં 106-ગ્રામ્યમાં 18 કેસ, વડોદરા શહેરમાં 96 ગ્રામ્યમાં 28 કેસ, રાજકોટ શહેરમાં 57-ગ્રામ્યમાં 16 કેસ, નોંધાયા છે.