પહેલા ઢોર રાખવાનું આયોજન કરો પછી બિલ અને કાયદાઓ લાવો: ઢોર નિયંત્રણ બિલ સામે માલઘારી સમાજે ચડાવી બાયો
ઢોર નિયંત્રણ બિલનો ઉગ્ર વિરોધ
ગાંધીનગરમાં 5 લાખ માલધારીઓ ભેગા કરવાનું આયોજન
પહેલા વ્યવસ્થા કરો પછી કાયદો લાવો: માલધારી સમાજ
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. મહાનગરોમાં રખડતા ઢોરોને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘણી જગ્યાએ તો રખડતા ઢોરોનો આતંક એવો વધી ગયો છે કે જીવ ગુમાવવાના પણ બનાવો બન્યા છે. અવારનવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવી પરંતુ અત્યાર સુધી કોઇ નક્કર પગલા લેવાતા ન હતા. પરંતુ હવે રાજ્ય સરકાર આ મામલે સજાગ થઇ ગઇ છે. શહેરી વિસ્તારોને રખડતા પશુઓથી મુક્ત કરવાનું બિલ ગઈ કાલે 31 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયું હતું. વિધાનસભા ગૃહમાં અડધી રાત સુધી ચર્ચા થયા બાદ કોંગ્રેસના વિરોધ વચ્ચે બિલ ગૃહમાં પસાર કરવામાં આવ્યું. ત્યારે આ બિલનો માલધારી સમાજ ભારે વિરોધ કરી રહ્યું છે, અને ગાયો માટે યોગ્ય વ્યવસ્થા પહેલા કરવા તીવ્ર માંગ અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આગામી સમયમાં 5 લાખ માલધારી ગાંધીનગરમાં ભેગા થશે
હાલ ગુજરાતમાં ચૂંટણી પહેલા આંદોલનની મોસમ ચાલી રહી છે. એક આંદોલન માંડ થાળે પડે ત્યાં બીજી તૈયાર હોય તેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. હવે રખડતાં ઢોરનું બિલ વિધાનસભામાં પસાર થયું છે જે હવે આગામી સમયમાં અમલમાં પણ આવી જશે. ત્યારે આ બિલના વિરોધમાં માલધારી સમાજના આગેવાનો મેદાને પડ્યા છે અને મોટા પાયે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે કે સાધુ-સંતો સાથે અમે ચર્ચા કરી તેમની જ આગેવાની હેઠળ હવે ગાંધીનગરમાં 5 લાખ જેટલા માલધારીઓ ભેગા કરી સરકારના આ બિલનો પુરજોશથી વિરોધ કરીશું.
સૌથી વધુ ગૌચરની જમીન ભાજપની સરકારમાં વેચાઈ: રઘુ દેસાઈ, ધારાસભ્ય, કોંગ્રેસ
ઢોર નિયંત્રણ બિલ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાતમાં સૌથી વધુ ગૌચરની જમીન ભાજપની સરકારમાં વેચાઈ છે ભાજપ મતલક્ષી રાજકારણ કરે છે
ભાજપ હવે ગાયોને પાંજરાપોળમાં પુરશે. પશુઓ માટે શહેરની બહાર વ્યવસ્થા કરવી જોઈએ
ગૌ હત્યા પર કાયદો ભાજપે બનાવ્યો: પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું છે કે વિપક્ષ ગેલમા આવી ગયુ હોય એમ લાગી રહ્યુ છે. ઉત્તરપ્રદેશમાં 399 બેઠક માંથી 387 પર ડિપોઝીટ ગુમાવી. રફાળેશ્વરમાં ગાયોના ઘાંસનું કૌભાંડ કોંગ્રેસે આચર્યું હતું. ગાયને આજે વિપક્ષે રાજકીય રીતે જોઈ રહ્યુ છે. ગુજરાતની ભાજપ સરકાર ગૌ હત્યા પર દેશમાં પ્રથમવાર કાયદો લાવી હતી.
પશુઓને લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છેઃ મંત્રી વીનુ મોરડીયા
રાજ્ય કક્ષાના શહેરી વિકાસ વિભાગના મંત્રી વીનુ મોરડીયાએ બિલ રજૂ કરતા કહ્યું હતું કે, શહેરી વિસ્તારમાં વધતા જતા પશુઓના ત્રાસ અટકાવવા રજૂ કરું છું. વૃદ્ધ લોકો પર પશુઓએ હુમલા કર્યા છે. મહિલા અને બાળકો પર પશુઓએ હુમલા કર્યા છે. પશુઓને લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. 3 કરોડ વસ્તી શહેરોમાં વસે છે. શહેરમાં આખલા રઝળતા મુકવામાં આવે છે.
ઝૂંપડપટ્ટીમાં રહેતા પાસેથી આટલી મોટી રકમ ન લેવી જોઈએઃ નીતિન પટેલ
રખડતા ઢોર અંગેના રજૂ થયેલા બિલની કેટલીક જોગવાઈ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપત્તિ દર્શાવી છે. બિલનું વાંચન પૂર્ણ થતા જ નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રખડતા ઢોર અંગે સૂચવેલ દંડની રકમ વધારે છે. મારી સરકારને વિનંતી છે કે દંડની રકમ ઓછી કરવામાં આવે. અભણ અને ગરીબ લોકોના ઢોર રાખતા હોય છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા પાસેથી આટલી મોટી રકમ ન લેવી જોઈએ. જે બાદ ગૃહમાં લાંબી ચર્ચા બાદ દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો
ઢોર નિયંત્રણ બિલમાં શું છે જોગાવાઇ
શુક્રવારે વિધાનસભામાં 6થી 7 કલાકની ચર્ચા બાદ બિલ થયું પાસ
લાંબી ચર્ચા બાદ દંડની રકમમાં કરવામાં આવ્યો ઘટાડો
અગાઉ બિલમાં 10 હજારથી 50 હજાર રૂપિયાના દંડની હતી જોગવાઈ
ચર્ચા બાદ દંડની રકમ 5 હજારથી 25 હજાર રૂપિયા કરવામાં આવી
શહેરી વિસ્તારોમાં પશુ રાખવા માટે પશુપાલકે લાઇસન્સ લેવું પડશે