નવું નાણાંકિય વર્ષ, નવા બદલાવ... એક એપ્રિલથી એવા બદલાવ આવ્યા જે જાણવા તમારા માટે ખુબ જ જરૂરી છે. કારણ કે આ બદલાવ તમને સીધી રીતે અસર કરી શકે છે. આ બદલાવ બેંકિંગ સેક્ટરમાં આવ્યા છે. દેશની છ મોટી રાષ્ટ્રીયકૃત બેંકોનો વિલય થઈ ગયો છે. વિલય થયેલી બેંકોમાં ઓરિએન્ટલ બેંક ઓફ કૉમર્સ, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, આંધ્ર બેંક, કોર્પોરેશન બેંક, ઈલ્હાબાદ બેંક અને સિન્ડિકેટ બેંકનો સમાવેશ થાય છે. હવે સવાલ થાય છે કે આ બેંકોનું શું થશે? આ બેંકોના ગ્રાહકો પર શું અસર પડશે? તેને વિસ્તારથી સમજો...
દેશમાં સરકારી ક્ષેત્રની 7 મોટી, 5 નાની બેંકો જ રહેશે
SBIમાં તેની સહયોગી બેંકો, ભારતીય મહિલા બેંકનો કરાયો હતો વિલય
ગત વર્ષે દેના બેંક, વિજયા બેંકનો BOBમાં થયો હતો વિલય
આજે એક એપ્રિલ છે એટલે કે નવા નાણાંકિય વર્ષની શરૂઆત. આ નવા નાણાંકિય વર્ષમાં એવી ઘણી બધુ વસ્તુ છે જે બદલાઈ ગઈ છે. નવા વર્ષે સૌથી મોટો બદલાવ બેન્કિંગ સેક્ટરમાં થયો છે. આજથી 10 બેંકોનો વિલય થયો છે. જેના કારણે દેશની છ સરકારી બેંકોના નામ અને તેમની ઓળખ ખતમ થઈ ગઈ છે.
કઈ બેંકોનું વિલિનિકરણ?
આ છ બેંકોનો દેશની અન્ય ચાર બેંકોમાં વિલય થયો છે. જેને ગ્રાફિક્સ દ્વારા સમજીએ તો ઓરિએન્ટલ બેંક ઓફ કૉમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનો પંજાબ નેશનલ બેંકમાં વિલય થયો. તો સિન્ડીકેટ બેંકનો કેનેરા બેંકમાં, આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનો યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં વિલય થયો. આવી જ રીતે ઈલ્હાબાદ બેંકનો ઈન્ડિયન બેંકમાં વિલય થયો.
ગ્રાહકો પર શું પડશે અસર?
બેંકોના વિલિકરણને કારણે ગ્રાહકો પર શું અસર પડશે? તેની વાત કરીએ તો જે બેંકોનું વિલિકરણ થયું તે બેંકોના તમે ગ્રાહક છો તો તમને નવો ખાતા નંબર અને કસ્ટમર આઈ.ડી મળી શકે છે. નવી ચેક બુક સહિતની વસ્તુઓ મળી શકે છે. જોકે આ બધુ આજથી જ લાગુ નહીં થાય. આ બધી વસ્તુઓ બેંક ધીરે ધીરે લાગુ કરશે. પરંતુ તમારા માટે એ ખાસ જરૂરી છે કે તમે તમારુ ઈમેલ આઈ.ડી. સરનામુ અને મોબાઈલ નંબર બેંકમાં અપડેટ રાખજો. કારણ કે જો કોઈપણ બદલાવ આવે તો તેની સુચના તમને તરત મળી શકે. તો લોન, SIP, શેર અને EMI પહેલાની માફક જ ચાલતા રહેશે. વિલય પછી આ બધુ લીડર બેંકની આગેવાનીમાં થશે. આ સિવાય ATM અને બ્રાંચો પણ લીડર બેંકની હશે.
2017માં SBIમાં મોટું વિલિનિકરણ
વિલયનું તમામ કામ પૂર્ણ થયા બાદ દેશમાં સરકારી ક્ષેત્રની સાત મોટી અને પાંચ નાની બેંકો જ રહેશે. વર્ષ 2017 સુધી દેશમાં સાર્વજનિક ક્ષેત્રની કુલ 27 બેંકો હતી. જે હવે ઘટીને 12 થઈ ગઈ છે. તો આપને એ પણ જણાવી દઈએ કે ગત વર્ષે દેના બેંક અને વિજયા બેંકનો બેંક ઓફ બરોડામાં વિલય કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતીય સ્ટેટ બેંકમાં તેની સહયોગી બેંકો અને ભારતીય મહિલા બેંકનો વિલય કરાયો હતો. સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ મૈસુર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદને દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં એક એપ્રિલ 2017ના દિવસે વિલય કરાઈ હતી.
બેંકોના વિલિનિકરણ કરવું સરકારનું એક પ્રભાવી પગલું છે. આવુ કરવાથી બેંકોનો બોજ ઘટશે અને ફાયદો લોકોને થશે. શેરબજારમાં આ બેંકોના શેરના ભાવ વધી શકે છે.