દિવાળી બાદ શહેરમાં કોરોનાનો પ્રકોપ ફેલાયો હોઈ આ વખતે મ્યુનિ. સત્તાવાળાઓએ પાણી પહેલાં પાળ બાંધવા ગુજરાત બહારથી ફરીને આવનારા લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવાની દિશામાં વિચારણા.
ગુજરાત બહારથી ફરીને આવનારા લોકો માટે ફરી ટેસ્ટિંગ
હાઈવે પર એન્ટ્રી પોઈન્ટ ચેકિંગના ડોમ ઊભા કરાશે
એસટી-રેલવે સ્ટેશન, એરપોર્ટ જેવા પબ્લિક પ્લેસમાં ટેસ્ટ
અમદાવાદીઓમાં દિવાળીને હર્ષભેર ઊજવવાનો ઉત્સાહ છવાયો છે. ઓનલાઇન શોપિંગની સાથે સાથે બજારોમાં લટાર મારીને ખરીદી કરવાનો ક્રેઝ વધ્યો હોઈ તમામ બજારમાં લોકોની હકડેઠઠ ભીડ જામી છે. હવે તો ગુજરાત બહારનાં રાજ્યોમાં પણ કોરોનાનો પ્રકોપ હળવો બન્યો હોઈ શોખીનોએ વિવિધ દર્શનીય સ્થળો અને હિલ સ્ટેશનોએ જવા માટે દોટ મૂકી છે. મોંઘવારીને ભૂલીને પણ અમદાવાદીઓ લક્ઝરી બસ, પ્લેન વગેરેના બમણાથી ત્રણ ગણા ભાવ ચૂકવી રહ્યા છે. જોકે ગત દિવાળી બાદ શહેરમાં કોરોનાનો પ્રકોપ ફેલાયો હોઈ આ વખતે મ્યુનિ. સત્તાવાળાઓએ પાણી પહેલાં પાળ બાંધવા ગુજરાત બહારથી ફરીને આવનારા લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે. એટલે તા. 8 નવેમ્બર પછી શહેરમાં તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ ડોમ ઊભા કરીને દેશનાં વિવિધ શહેરોથી અમદાવાદ પરત ફરનારા લોકો માટે કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરાશે.
પાછા આવતા કરાશે ટેસ્ટીંગ
અમદાવાદીઓમાં ગુજરાત બહારનાં સ્થળોએ ફરવા જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. દેશના જમ્મુ-કાશ્મીર, ગોવા, ઉત્તરાખંડ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનાં વિવિધ દર્શનીય તેમજ પર્યટન સ્થળોએ લોકોએ ફરવા જવાની પસંદગી ઉતારી છે. આ માટે લોકોના ધસારાને જોતાં ખાનગી બસ કહો કે પ્લેન ગણો, પણ તેનાં ભાડાંમાં જબ્બર વધારો થયો છે. બીજી તરફ ગઈ દિવાળી પછી શહેરમાં કોરોનાનો બ્લાસ્ટ થવાથી તંત્રે બહારગામથી શહેરમાં પાછા આવનારા નાગરિકોનાં કોરોનાનું ટેસ્ટિંગ કરવાની બાબતે ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે.
શહેરમાં પ્રવેશતા વિવિધ હાઈવે પરના 50 વધુ એન્ટ્રી પોઇન્ટ પર સત્તાવાળાઓ ડોમ ઊભા કરીને અગાઉની જેમ ફરી લોકોના સ્ક્રીનિંગ કરી તેમનાં શરીરનું તાપમાન તપાસશે. તેમના એિન્ટજન રેપિડ ટેસ્ટ કરાશે અને તેમાં જરૂર જણાશે તો આરટી-પીસીઆર ટેસ્ટ પણ કરાશે. એટલે જે અમદાવાદી કોરોનાના ટેસ્ટિંગની પ્રક્રિયામાંથી પસાર થઈને કોરોનાનાં સંક્રમણથી મુક્ત જણાશે તેમને શહેરમાં પ્રવેશ અપાશે. કોરોનાની ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ વખતે તંત્રે શહેરમાં દાખલ થતાં જે તે હાઈવેના એન્ટ્રી પોઇન્ટ પર ડોમ મૂકીને બહારગામથી આવનારા લોકોનાં કોરોના ટેસ્ટિંગ કર્યાં હતાં. ગુજરાતનાં વિવિધ શહેરોમાં દિવાળીની રજાનો આનંદ માણીને પરત આવનારા લોકોને પણ કોરોના ટેસ્ટિંગમાંથી સ્વાભાવિકપણે પસાર થવું પડશે.
ST-રેલવે સ્ટેશન-એરપોર્ટ પર બનશે ડોમ
જ્યારે મહારાષ્ટ્ર અને કેરળ જેવા કોરોનાના નવા કેસના મામલે સંવેદનશીલ બનેલાં રાજ્યોમાંથી આવતી ટ્રેનોમાંથી કાલુપુર રેલવે સ્ટેશને ઊતરતા પેસેન્જરોનું કોરોનાની તપાસ અર્થે સ્ક્રીનિંગ વગેરે થતું હોવાનો તંત્રનો દાવો છે. જોકે દિવાળીના તહેવારો બાદ આ વ્યવસ્થાને વધુ સઘન બનાવાશે.
કાલુપુર રેલવે સ્ટેશન, મણિનગર રેલવે સ્ટેશન, સાબરમતી રેલવે સ્ટેશન જેવાં રેલવે સ્ટેશનો, ગીતા મંદિર, કૃષ્ણનગર જેવા એસટીના મુખ્ય મથક તેમજ એરપોર્ટ ખાતેનાં બિલ્ડિંગમાં મ્યુનિ. સત્તાધીશો કોરોનાના ટેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરશે. આવા પબ્લિક ગેધરિંગ પ્લેસના એન્ટ્રી ગેટ પાસે હેલ્થ વિભાગ દ્વારા તમામ પેસેન્જરનું સ્ક્રીનિંગ, રેપિડ એિન્ટજન ટેસ્ટિંગ અને જરૂર જણાશે તો તેમના આરટી-પીસીઆર ટેસ્ટ કરાશે. કોરોનાગ્રસ્ત પેસેન્જરને અગાઉની જેમ 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન થવું પડશે. તંત્ર દ્વારા 25થી વધુ પબ્લિક પ્લેસ ખાતે કોરોનાનું ટેસ્ટિંગ કરાશે.
હેલ્થ વર્કરની એન્ટી બોડી પણ ચકાસાય છે
બીજી તરફ હેલ્થ વર્કર્સની એન્ટીબોડી ચકાસવા તંત્ર દ્વારા અગાઉ ખાસ સરવે કરાયો હતો, જેમાં હેલ્થ વર્કર્સમાં કોરોના સામે એન્ટીબોડી કેટલો સમય ટકે છે તે જાણવાનો તંત્રનો આશય હતો. આ માટે છેલ્લા ચાર મહિનાથી દર 15 દિવસે 800 હેલ્થ વર્કર્સના બ્લડ સેમ્પલ લેવાઈ રહ્યાં હતાં. જે તે અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત ડોક્ટર સહિતના પેરામેડિકલ સ્ટાફ પૈકી મોટા ભાગનાએ વેક્સિનના બે ડોઝ મેળવ્યા છે તેમજ કોરોનાના દર્દીના સંપર્કમાં આવી ચૂક્યા છે એટલે તેમના એન્ટીબોડીના પ્રમાણમાં થતી વધ-ઘટ પર આ ખાસ સરવે દ્વારા જાણી શકાશે. જોકે સરવે પૂરો થયો છે, અત્યારે તંત્ર તેનું તારણ કાઢી રહ્યું છે.