વરસાદના રિસામણાની આ સ્થિતિમાં બનાસકાંઠાના ખેડૂતોને 2017માં રિઝાયેલો મેઘો યાદ આવી ગયો છે. હાલ વરસાદ વિના ખેતી નિષ્ફળ જઈ રહી છે તો 2017માં વિનાશક પૂરે ખેતીને ચોપટવાળી દીધી હતી. ત્યારે બનાસકાંઠાના ખેડૂતો એક વાર ફરી પૂરની એ વિનાશલીલાને યાદ કરી રહ્યાં છે.
ચોમાસામાં સૌથી વધારે વરસાદની આશા હોય છે તેવો અષાઢ માસ કોરો વહી રહ્યો છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વગર પરિસ્થિતિ તંગ બનતી જાય છે. વરસાદના રિસામણાની આ સ્થિતિમાં બનાસકાંઠાના ખેડૂતોને 2017માં રિઝાયેલો મેઘો યાદ આવી ગયો છે. હાલ વરસાદ વિના ખેતી નિષ્ફળ જઈ રહી છે તો 2017માં વિનાશક પૂરે ખેતીને ચોપટવાળી દીધી હતી. બનાસકાંઠાના ખેડૂતો કેમ કરી રહ્યાં છે પૂરની એ વિનાશલીલાને યાદ. તે જોઈએ આ અહેવાલમાં.
ખેડૂતોનાં નિસાસાઃ
બનાસકાંઠાના ભરડવા અને કોરેટી ગામની સીમના છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં 5 વર્ષથી ખેતીને જાણે કુદરતનો શાપ લાગી ગયો છે અને ચાલુ વર્ષે પણ વરસાદ ખેંચાઈ જતાં ખેતીની જમીન પર તરણુંય ઊગ્યું નથી અને આ તરફ ખેડૂતો નિસાસા નાખતા પોતાના નસીબને જ દોષ દઈ રહ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષથી બનાસકાંઠાના ખેડૂતો માટે ખેડૂત હોવું તે જ એક કસોટીમાંથી પાર ઉતરવા જેવું બની ગયું છે. વર્ષ-2015 અને વર્ષ-2017માં ખેડૂતોની મહેનત પર ખારા પાણી ફેરવી દેનારી કુદરતે આ વર્ષે ફરી પાછી ખેડૂતોને અછતની થપાટ મારી દીધી છે. એક તરફ ભૂતકાળના પૂરના પાણીએ જમીન પર વ્યાપી દીધેલી ખારાશ અને બીજી બાજુ વરસાદના અભાવથી ખેતીનો વાગી રહેલો મૃત્યુઘંટ સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે.
બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા ભરડવા અને કોરેટી ગામ કે જ્યાં 2015 અને 2017માં ભયંકર પૂર આવ્યું હતું. 2015માં આવેલું પૂર ખેડૂતોની જમીન સાથે તેની ફળદ્રુપતા વહાવી ગઈ હતી. તો 2017ના વર્ષમાં આવેલા પૂરમાં આ વિસ્તારના ખેતરોમાં એક માસ અને 27 દિવસ સુધી પાણી ભરાઈ રહ્યાં હતા. જેના કારણે બાજુમાં રહેલા રણપ્રદેશની ખારાશ આ વિસ્તારની 10 હજાર હેક્ટરથી પણ વધુ જમીનમાં પ્રસરી ગઈ હતી. જમીનમાં ક્ષાર વ્યાપી જવાના કારણે આ બન્ને ગામની ફળદ્રુપ જમીન હાલ બિનઉપજાઉ બની ગઈ છે. જેના કારણે 2015થી આજ દિન સુધી આ ગામના ખેડૂતો પોતાના ખેતરમાં અનાજ પકવી શક્યા નથી.
સરકાર પાસે સહાયની આશાઃ
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં નહીંવત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના કેટલાંય તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતાં. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ભરડવા અને કોરેટી ગામમાં સૌથી વધારે નુકસાન હોવા છતાં કોઈ ખેડૂતોને પાક વીમો કે જમીન ધોવાણની રકમ આપવામાં આવી નથી. ત્યારે આ ગામના ખેડૂતો સરકાર પાસે એવી અપેક્ષા રાખી રહ્યાં છે કે સરકારના કોઈ પ્રતિનિધિ આ વિસ્તારની મુલાકાત લે અને ખેતી અંગેની શક્યતા તપાસી આ વિસ્તારના ખેડૂતોને સહાય માટે સમીક્ષા કરે.
હાલમાં આ બંને ગામની 10 હજારથી વધુ એકર જમીન રણ બની ચૂકી છે. આ વેરાન જમીન પર કોઈ પણ પ્રકારનો પાક લઈ શકાય તેમ નથી. ઉપરથી ખેડૂતોએ લીધેલી કૃષિલોનનું ભારણ તેમની ચિંતામાં વધારો કરી રહી છે. આ સ્થિતિમાં ખેડૂતોએ હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે સરકાર આ દિશામાં શું પગલાં લે છે.