સુરતના કુંભારિયાની ચૌદ માળની રઘુવીર સિલિયમ ટેક્સટાઇલ માર્કેટમાં ગયા સોમવારની મોડી રાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગને બુઝાવવા સુરત સહિત દક્ષિણ ગુજરાતથી 90 ફાયર ફાઇટર અને 500થી વધુ ફાયરમેનને કામે લગાડાયા હતા. આ આગને 'બ્રિગેડ કોલ' જાહેર કરાયો હતો.
2019 દરમિયાન અમદાવાદમાં એકપણ વખત નથી જાહેર કરાયો બ્રિગેડ કોલ
1 એપ્રિલ,2019થી તા. 21 જાન્યુઆરી,2020માં 55 આગની બની ઘટના
દેવ ઓરમ મોલ ખાતેની આગમાં 150 લોકોને બચાવાયા હતા
દરમિયાન સુરતની આ આગની દુર્ઘટના બાદ અમદાવાદની આગની દુર્ઘટના ચર્ચાસ્પદ બની છે, જોકે ગત વર્ષ 2019 દરમિયાન શહેરમાં આગની દુર્ઘટનામાં એક પણ 'બ્રિગેડ કોલ' જાહેર કરાયો નથી.
1 એપ્રિલ,2019થી તા. 21 જાન્યુઆરી,2020માં 55 આગની બની ઘટના
અમદાવાદ શહેર 65 લાખની વસ્તી ધરાવે છે તેમજ 466 ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું છે. એટલે ઘરમાં ગેસનું સિલિન્ડર ફાટવાથી કે એસી મશીનમાં શોર્ટ સર્કિટ થવાથી કે ટાયરની દુકાનમાં ટાયર બળવાથી કે કેમિકલની ફેક્ટરીમાં બોઇલર ફાટવાથી આગની નાની-મોટી ઘટના છાશવારે થતી રહે છે, પરંતુ મોટી આગની ઘટના સંદર્ભે મ્યુનિ. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા મુજબ ગત તા. 1 એપ્રિલ,2019થી તા. 21 જાન્યુઆરી,2020 સુધીના સમયગાળામાં શહેરમાં કુલ 55 મોટી આગ લાગી હતી.
આગની દુર્ઘટનાના પણ ત્રણ પ્રકાર
આગની દુર્ઘટનાના પણ ત્રણ પ્રકાર છે, જેમાં નાની આગ, મધ્યમ આગ અને મોટી આગની દુર્ઘટનાનો સમાવેશ થાય છે. જે આગમાં નાની રકમની માલમતા બળી હોય તેને નાની આગ, વધારે માલમતા બળીને ખાખ થઇ હોય તે મધ્યમ આગ અને જેમાં લાખોનું આર્થિક નુકસાન તેમજ જાનહાનિ થાય તેને મોટી આગ તરીકે ઓળખાય છે.
ઘણી ઘટનાઓ બની 2019 દરમિયાન
પ્રહ્લાદનગર ખાતેના દેવઓરમ મોલના દશમા માળે ગત તા. 8 એપ્રિલ, 2019ની લાગેલી આગમાં 150 વ્યક્તિના જીવ જોખમમાં મુકાઇને તે લોકોને બચાવાયા હતા. ગત તા. 13 મે, 2019એ પરિમલ ચાર રસ્તા પાસેની એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાટી નીકળેલી આગથી પણ શહેરભરમાં ચકચાર મચી ગઇ હતી, પરંતુ તેમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. નારોલની હરે ક્રિશ્ના એસ્ટેટ કે માનસી ચાર રસ્તા પરના સેટેલાઇટ કોમ્પલેક્સમાં છઠ્ઠા માળે લાગેલી આગમાં પણ કોઇ જાનહાનિ થઇ ન હતી.