SMA-1નામની બીમારીથી પીડિત ધૈર્યરાજના ઈલાજ માટે 16 કરોડ જેટલી મોટી રકમની જરૂર, અત્યાર સુધીમાં 15 કરોડ 48 લાખ જેટલી રકમ એકઠી થઈ ચૂકી છે
ધૈર્યરાજ માટે ગુજરાતે દિલખોલીને કરી મદદ
ધૈર્યરાજની મદદ માટે 15 કરોડ 48 લાખનું દાન આવ્યું
હજુ પણ ધૈર્યરાજના ઈલાજ માટે થોડી રકમની છે જરૂર
ગુજરાતમાં ધૈર્યરાજસિંહનું નામ સૌ કોઈ જાણે છે. SMA-1નામની બીમારીથી પીડિત ધૈર્યરાજના ઈલાજ માટે 16 કરોડ જેટલી મોટી રકમની જરૂર છે. જેના માટે ગુજરાત સહિત દેશભરમાંથી લોકોએ મદદ પહોંચાડી છે. અને ધૈર્યરાજનો પરિવાર મદદની કુલ રકમના આંકડા પાસે પહોંચી ગયો છે. હજુ પણ થોડી રકમ બાકી છે. અત્યાર સુધીમાં 15 કરોડ 48 લાખ જેટલી રકમ એકઠી થઈ ચૂકી છે. દિલદાર ગુજરાતીઓએ પોતાની દિલદારી દેખાડી છે. જો કે, ધૈર્યરાજસિંહની સારવાર માટે હજુ પણ થોડી રકમ જમા કરવાની રહેશે. માત્ર 38 દિવસમાં ગુજરાતીઓએ યથાશક્તિ પ્રમાણે મદદ કરીને 15 કરોડથી વધુનો આંકડો લાવી દીધો છે.
ડોનેશન માટેની બેન્કની માહિતી: A/C NO : 700701717187237
IFSC CODE : YESB0CMSNOC
NAME : DHAIRYARAJSINH RATHOD
મહિસાગર જિલ્લાના લુણાવાડાના ધૈર્યરાજસિંહની ઉંમર તો નાની છે. પરંતુ તેને લાગેલી બીમારી બહુ મોટી છે. અને તેના માટેનો ખર્ચ પણ મોટો છે. સ્પાઈનલ મસ્ક્યુલર ઓટ્રોફી ફેક્ટશીટ નામની બીમારી જેને SMA-1 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીમારી વિશ્વમાં બહુ ઓછા બાળકોમાં જોવા મળે છે.
જ્યારે ધૈર્યરાજના એક સામાન્ય પરિવારને ખ્યાલ પડ્યો કે, 3 મહિનાના પુત્રને આ બીમારી છે. જેનો ખર્ચ 16 કરોડ રૂપિયા છે. તો તેમના માટે ન માનવા જેવી બાબત હતી. પરંતુ આ પરિવારે પોતાના પુત્ર માટે કંઈ પણ કરવાની નેમ રાખી દીધી હતી. પિતા રાજદીપસિંહને તબીબોએ કહ્યું કે, ધૈર્યરાજના ઈલાજ માટે 1 વર્ષનો સમય છે. આ બાદ પિતાએ નક્કી કરી લીધુ અને લોકો સુધી મદદની વાત પહોંચાડી તો સમગ્ર ગુજરાત આજે એક થયું છે.
લુણાવાડાના એક સામાન્ય પરિવારનો સંતાન ધૈર્યરાજ માટે પિતા રાજદીપસિંહે બીમારીની જાણ થતાની સાથે જ, સારવારના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. ધૈર્યરાજસિંહ જાડેજાના નામથી ઈમ્પેક્ટ ગુરૂ નામની એક NGOમાં એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું. જે બાદ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ માટે અપીલ કરી હતી. લોકો સુધી ધૈર્યરાજની બીમારી વિશે માહિતી પહોંચાડવામાં આવી હતી.
તમામ મીડિયાએ પણ ધૈર્યરાજની આ બીમારી અને મદદ માટે સમાચાર લોકો સુધી પહોંચાડ્યા છે. જેની અસરથી આજે ધૈર્યરાજ માટે એક મોટી રકમ એકઠી થઈ ચૂકી છે. માત્ર 38 દિવસમાં 15 કરોડ 48 લાખ 66 હજાર 844 રૂપિયા ધૈર્યરાજના ખાતામાં પડી ગયા છે. જ્યારે જરૂર મુજબની રકમ એકઠી થઈ જશે. તે બાદ આપો આપ એકાઉન્ટ બંધ થઈ જશે. જે બાદ દાન સ્વિકારી શકાશે નહીં.