સમગ્ર દેશમાં કોરોનાની લહેર ચિંતાજનક રીતે આગળ વધી રહી છે તો બીજી તરફ કોરોનાથી થતાં મોતના આંકડા પણ ડરાવનારા છે અને દેશવ્યાપી ફરી લૉકડાઉનની ચિંતા સતાવી રહી છે ત્યારે નાણામંત્રી નિર્મલા સિતારમણે મહત્વનું નિવેદન આપ્યું હતું.
દેશમાં ફરી લૉકડાઉનને લઈને મોટા સમાચાર
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું દેશવ્યાપી લોકડાઉન નહીં થાય
શ્રમિકોને પલાયન ન થવાની કરી અપીલ
નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉદ્યોગ-ધંધાને વિશ્વાસ અપાવ્યો હતો કે, દેશવ્યાપી લૉકડાઉન લગાવવામાં આવશે નહીં.
નાના કન્ટેનમેન્ટ ઝોન બનશે પરંતુ દેશવ્યાપી લૉકડાઉન નહીં થાય
કોરોનાની બીજી લહેરની ગંભીરતાને જોતા દેશભરમાં લૉકડાઉન અંગેની અટકળો આખા દેશમાં તીવ્ર બની હતી. લૉકડાઉન અંગેની અનિશ્ચિતતા સાથે શ્રમિકોના સ્થળાંતરનો ભય પણ વધી રહ્યો છે. કોરોના રોગચાળા વચ્ચે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ (એફઆઇએસએમઇ) ના પ્રમુખ અનિમેષ સક્સેનાએ સરકારની નીતિઓ વિશે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સાથે ફોન કોલ્સ પર ચર્ચા કરી. સક્સેનાએ જણાવ્યું હતું કે, ટેલિફોનિક વાતચીતમાં નાણાં પ્રધાને કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન લાદવાની સરકારની કોઈ યોજના નથી. નાણાં પ્રધાને કહ્યું કે કોરોના સંક્રમણને રોકવા માટે નાના કન્ટેન્ટ ઝોન બનાવવામાં આવશે, પરંતુ દેશવ્યાપી લોકડાઉન થશે નહીં.
પ્રધાનમંત્રી અને ગૃહ પ્રધાન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે
નાણાંમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમામ રાજ્યોની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. રાજ્યોમાં ઓક્સિજન અને દવાઓની અછત રહેશે નહીં. આ ઉપરાંત રસીકરણ કાર્યક્રમ પણ યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે. નાણામંત્રીએ ભારતીય લઘુ મધ્યમ ઉદ્યોગોના ફેડરેશનના પ્રમુખ પાસે પણ નાના અને મધ્યમ ઉદ્યોગો વિશે માહિતી માંગી. એફઆઇસીસીઆઈ સહિત દેશભરના કેટલાક ઉદ્યોગ અને વેપાર સંગઠનોએ સરકારને દેશવ્યાપી લોકડાઉન ન લાદવાની વિનંતી કરી છે.
દેશના અર્થતંત્ર માટે ખરાબ સાબિત થશે લૉકડાઉન
તેમનું કહેવું છે કે સૌથી વધુ કોરોના સંક્રમણથી પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્યમાં લૉકડાઉન જેવી જ સ્થિતિ છે. આ સિવાય દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ આંશિક લોકડાઉનની સ્થિતિ ઉભી થઈ છે. આવા દેશવ્યાપી લોકડાઉન દેશના અર્થતંત્ર માટે ખૂબ ખરાબ સાબિત થશે.