બનાસકાંઠા જિલ્લામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જેમાં એક જ કોમના બે જૂથ વચ્ચે હિંસક મારામારી થતાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 10 કરતા વધારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કાંકરેજના શિહોરી-અરડુવાડામાં જૂથ અથડામણ
એક જ કોમના બે જૂથ વચ્ચે હિંસક મારામારી
2ના મોત, 10થી વધારે લોકોને સારવાર માટે ખસેડાયા
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી-અરડુવાડા ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે હિંસક મારામારી થતાં 2 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 10 કરતા વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો
આ બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો શિહોરી-અરડુવાડા ગામે દોડી આવ્યો છે. હાલ શિહોરી પોલીસ દ્વારા આખા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મારામારીમાં 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત
આ જૂથ અથડામણમાં 10 કરતા વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે શિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં છે. તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને પાટણ ખસેડવામાં આવ્યા છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં જૂથ અથડામણ
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના દેવચરાડી ગામે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણીની અંગત અદાવતમાં બે જૂથો આમને સામને આવી ગયા હતા અને એક જૂથે હથિયારો ધારણ કરી અને દેવચરાડીના પૂર્વ સરપંચ વાલજીભાઈના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. લાકડી, તલવાર, લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે એક ટોળું વાલજીભાઈના ઘેર ઘસી ગયું અને બેરહેમી પૂર્વક હુમલો કર્યો હતો.
પરિવારજનોએ કર્યા હતા આક્ષેપો
જેમાં વાલજીભાઈ, તેમના પત્ની અને ભત્રીજા જગદીશને ગંભીર ઇજાઓ થઈ હતી. આ કેસમાં વાલજીભાઈના ભત્રીજા જગદીશનું સારવાર દરમિયાન મોત નિપજતા મામલો હત્યામાં પલટાયો હતો. દલિત સમાજના વાલજીભાઈના પરિવાર ઉપર થયેલા હુમલાને લઈ અને લોકોના ટોળાઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જગદીશના મોતને લઈને ધ્રાંગધ્રા તાલુકામાં પડઘા પડ્યા હતા અને ગઈકાલે ધ્રાંગધ્રા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મોડી રાત્રે પોલીસે ધ્રાંગધ્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પરિવારજનોએ એક પોલીસ કોન્સ્ટેબલ અને પી.આઈ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા, જે બાદ મહિલા PIની બદલી કરવામાં આવી છે.