કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને લઇને ગુજરાતમાં બંધને નહીવત સમર્થન મળ્યું હતું. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાબેતા મુજબ બજારો ખુલ્યા હતા. ત્યારે હવે અમદાવાદના સાણંદમાં ખેડૂતો દ્વારા ક્યાંક શાંતિપૂર્ણ તો ક્યાંક ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં બંધને નહીવત સમર્થન મળ્યું
સાણંદમાં ખેડૂતોએ અનોખી રીતે કર્યો વિરોધ
તો કેટલીક જગ્યાએ પથ્થરમારો અને ચક્કાજામ કરાવવાની ઘટના બની
ભારત બંધના સમર્થનમાં અમદાવાદના સાણંદમાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. તો કોંગ્રેસે પણ દેખાવો કર્યા હતા. સાણંદ હાઇવે પર કોંગ્રેસના કાર્યકરોએ રોડ પર ટાયર સળગાવી વાહનો અટકાવ્યા હતા. જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને હટાવ્યા હતા. રસ્તો ખોલી પોલીસે વાહનવ્યવહાર શરૂ કરાવ્યો હતો.
સાણંદમાં ખેડૂતોએ 7 કિમી નર્મદાની માઇનોર કેનાલ કરી સાફ
સાણંદના ખેડૂતોનો કૃષિ કાયદા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સાણંદના ખેડૂતોએ નર્મદાની માઇનોર કેનાલ સાફ કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ 7 કિમી કેનાલમાં ઉગી નીકળેલા બાવળિયા, ઘાસ સળગાવીને સફાઇ કરી હતી. આ દરમિયાન ખેડૂતો જણાવ્યું હતું કે, અમે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવ્યો છે. સરકાર આવક બમણી કરવાનું કહે છે પણ કાયદામાં ખામી છે. બંધમાં અમે કેનાલ સાફ કરીને યોગદાન આપ્યું છે.
અણદેજ ગામના ખેડુતો દ્વારા MSPનો વિરોધ, ખેડુતોના ઘરે ડાંગરના ઢગલા
સાણંદ તાલુકાના અણદેજ ગામના ખેડુતો દ્વારા MSPનો વિરોધ કરવામાં આવ્યો હતો. નવા કૃષિ કાયદામાં MSPની વાત કરાઇ છે. બે મહિનાથી રજિસ્ટ્રેશન કરાવ્યું છતા ખરીદી નથી થઇ. હાલ ખેડૂતોના ઘરે ડાંગરના ઢગલા પડ્યા છે. MSP નામે ખરીદી માટે સરકાર નાટક કરવાનો ખેડૂતો દાવો કરે છે.
અણિયારી ગામ પાસે બસને ઉભી રાખીને કર્યો પથ્થરમારો
ભારત બંધના એલાનને પગલે સાણંદના અણિયારી ગામમાં ST બસમાં તોડફોડ કરવામાં આવી હતી. અણિયારી ગામ પાસે ટોળાએ અમદાવાદ-નળ સરોવરની બસના ઉભી રાખીને પથ્થરમારો કર્યો હતો અને કાચ તોડ્યા હતા.
નાની દેવતી ગામે પશુપાલકોએ દૂધ ન ભરીને નોંધાવ્યો વિરોધ
નવા કૃષિ કાયદાનો ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધમાં સાણંદના નાની દેવતી ગામે ઢોલ વગાડીને ગ્રામજનોએ બંધને સમર્થન આપ્યું હતું. પશુપાલકોએ દૂધ ન ભરીને વિરોધ નોંધાવ્યો હતો.
મહાદેવપુરા ગામના ખેડૂતોએ શાકભાજી પશુઓને ખવડાવી નોંધાવ્યો વિરોધ
ત્યારે અમદાવાદના સાણંદના મહાદેવપુરા ગામના ખેડૂતો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. મહાદેવપુરા ગામના ખેડૂતો દ્વારા શાકભાજી વેચવાને બદલે પશુઓને ખવડાવી વિરોધ નોંધાવ્યો હતો. શાકભાજી ખેડૂતોને ખવડાવી વિરોધ કરતા ખેડૂતોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવ્યો છે, જેનાથી ખેડૂતોને નુકસાન થશે. તેમાં વેપારીઓનું હિત જોવામાં આવ્યું છે. સરકારની આવી નીતિના કારણે કાયદાનો અનોખી રીતે વિરોધ કરી રહ્યાં છે.