યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે યૂક્રેનમાંથી ભારતીયોને ખસેડી લેવાનું કામ ભારતે શરુ કરી દીધું છે. ભારત સરકારે યૂક્રેનમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓને તેમના પરિવાર સાથે ભારત આવતા રહેવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી એડવાઈઝરીમાં યૂક્રેનમાં કાર્યરત ભારતીય દૂતાવાસના અધિકારીઓ અને તેમના પરિવારને વહેલી તકે ભારત આવતા રહેવાનું જણાવી દેવાયું છે જેથી કરીને યુદ્ધની સ્થિતિમાં કોઈ ભારતીયની ખુવારી ન થાય.
Families of Indian Embassy officials in Ukraine have been asked to move back to India: Sources pic.twitter.com/lM91EhGlKS
ભારતીય વિદ્યાર્થીઓ માટે જારી કરી એડવાઈઝરી
યૂક્રેન-રશિયાના સંભવિત યુદ્ધને ધ્યાનમાં રાખતા ભારતે યૂક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરીને તેમને વહેલી તકે દેશ છોડવાની ચેતવણી આપી છે. યૂક્રેનમાં રહીને ભણતા લગભગ 18,000 વિદ્યાર્થીઓને ભારતે તાત્કાલિક દેશ છોડીને સ્વદેશ આવતા રહેવાનો આદેશ આપી દીધો છે. યુક્રેનની રાજધાની કિવ સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી ત્યાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એડવાઈઝરીમાં કહેવાયું છે કે યુક્રેનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને હાલ પૂરતું યુક્રેન છોડવાની સલાહ છે.
વિદ્યાર્થીઓને હેમખેમ ભારત લવાશે-ભારતીય દૂતાવાસ
ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે કમર્શિયલ ફ્લાઇટ્સ અને ચાર્ટર ફ્લાઇટ્સ ઉપલબ્ધ હોઈ શકે છે.એડવાઈઝરીમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે ભારતીય વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ચાર્ટર્ડ ફ્લાઇટ્સના તેમના ઠેકેદારો સાથે સતત સંપર્કમાં રહે. તેમજ એમ્બેસીના ફેસબુક, વેબસાઈટ અને ટ્વિટર પર સતત અપડેટ લેતા રહે.
યુક્રેનમાં 18,000 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા
યુક્રેનમાં આશરે 18,000 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ત્યાં મેડિકલનો સ્ટડી કરવા ગયા હતા આ લોકોએ સરકાર પાસે મદદ માંગી છે. આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ભારત અને યુક્રેન વચ્ચેની ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.