લોકસભાની ચૂંટણીની તારીખો જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ દેશના રાજકીય તાપમાનમાં ગરમાવો વધી રહ્યો છે. દેશની તમામ રાજકીય પાર્ટી દેશના મતદાતાઓને રીઝવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરે છે. આ સાથે સૌથી વધૂ મત મેળવી શકતા ઉમેદવારની પસંદગી કરીને તેને ચૂંટણીના રણમેદાનમાં ઉતારે છે. જો કે, આ તમામ બાબતો વચ્ચે તમામ પાર્ટીઓ એક-બીજા પર દોષના ટોપલા પણ ઢોળી રહી છે તો પોતાની જીતને લઇને ઉમેદવાર વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના કરવા પણ પહોંચે છે.
એક તરફ ટૂંકસમયમાં ચૂંટણીનો રણસંગ્રામ યોજાવાનો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માટે આસ્થાના પ્રતિક સમાન એવા અનેક દેવસ્થાનો છે જેને લઇને બંન્ને રાજકીય પક્ષો ચર્ચામાં રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વારાણસીના જાણીતા કાશી વિશ્વનાથ મંદિરમાં બાબા વિશ્વનાથની વિધિવત રીતે પૂજા-અર્ચના કરીને જીત માટેના આશિર્વાદ માંગ્યા છે.
તો આ તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી પણ પ્રયાગરાજ, મિર્જાપુર થઇને વારાણસી પહોંચ્યા હતા જ્યાં તેમણે વારાણસીના ખૂબ જ જાણીતા મંદિરોમાં દર્શન કર્યા હતા અને બાબા વિશ્નનાથ પાસે કોંગ્રેસ પક્ષની જીત માટે પ્રાર્થના કરી હતી.
દેશની રાજનીતિમાં બાબા વિશ્વનાથની કાશીનગરીનું વિશેષ મહત્વ રહ્યું છે. અહીં દરરોજ તમામ લોકો બાબા વિશ્વનાથના દર્શન કરીને સુખ તથા સમૃદ્ધિના આર્શિવાદ મેળવીને ધન્યતા અનુભવે છે. એક માન્યતા મુજબ, આ મંદિરમાં માત્ર મોક્ષની જ નહીં પરંતુ રાજનીતિક જીત માટે પણ આશિર્વાદ મેળવવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં કાશી વિશ્વનાથ મંદિરનું એક ખાસ સ્થાન છે. અહીં 12 જ્યોતિર્લિંગમાંથી એક શ્રી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ છે. માન્યતા છે કે, એકવાર આ મંદિરના દર્શન કરવાથી અને પવિત્ર નદી ગંગામાં સ્નાન કરવાથી મુક્તિ મળે છે. માનવામાં આવે છે કે, કાશી ત્રણેય લોકમાં સૌથી અનોખી નગરી છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર કાશી નગરી ભગવાન શિવના ત્રિશૂળ પર બિરાજમાન છે. કાશી નગરીની ઉત્પત્તિ અને ભગવાન શિવની પ્રિય નગરી બનવાની કથા સ્કંદ પુરાણના કાશી ખંડમાં વર્ણવવામાં આવી છે.
માન્યતા અનુસાર, પૃથ્વીના નિર્માણ સમયે સૂર્યનું પહેલું કિરણ કાશી પર પડ્યું હતું. આના આધારે જ કાશીને જ્ઞાન અને આધ્યાત્મનું કેન્દ્ર માનવામાં આવે છે. દેશનિકાલ વખતે શિવજી ઘણા વર્ષો બાદ આ સ્થાને આવ્યા બતા અને થોડા સમય માટે ત્યાં રોકાયા હતા. બ્રહ્માજીએ તેમનું સ્વાગત દસ ઘોડાના રથને દશાશ્વમેઘ ઘાટ પર મોકલીને કર્યું હતું.
કાશીમાં શિવ વિશ્વેશ્વર નામના જ્યોતિર્લિંગમાં નિવાસ કરે છે. કહેવામાં આવે છે કે, શિવજીની ઈચ્છા હતી કે, તે એકમાંથી બે બની જાય. આ જ કારણે તેમને પોતાને બે ભાગમાં વહેંચી લીધા જેમાંનો એક ભાગ શિવ કહેવાયો અને બીજો શક્તિ. તે સમયે આકાશવાણી થઈ અને તેમને તપસ્યા કરવાની સલાહ આપવામાં આવી. તપસ્યા માટે શિવજીએ પોતાના હાથ વડે પાંચ કોસ લાંબા ભૂભાગ પર કાશીનું નિર્માણ કર્યું અને ત્યાં વિશ્વશ્વર રૂપે બિરાજમાન થયા.
- આપને જણાવી દઇએ કે, આ મંદિરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમરસિંહ, લાલૂ યાદવ, અમિતાભ બચ્ચન જેવા અનેક મોટા લોકો દર્શન કરવા આવી ચૂક્યા છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બાબા વિશ્વનાથની ખાસ પૂજા અર્ચના પણ કરી છે.
- બાબા વિશ્વનાથ મંદિરનું નિર્માણકાર્ય મહારાણી અહલ્યાબાઇ હોલ્કરે 1780માં કરાવેલ. ત્યારબાદ મહારાણા રણજીત સિંહ દ્વારા 1853માં 1000 કિલોગ્રામ સોનાનું મંદિરના નિર્માણ માટે દાન કરવામાં આવ્યું હતું.