દિલ્હી વિધાનસભાની શાંતિ સમિતિના સમનની સામે ફેસબુક ઈન્ડીયાના ઉપાધ્યક્ષ અજિત મોહનની અરજીને અધૂરી હોવાનું ગણીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
દિલ્હી તોફાન અંગે જારી થયેલા સમનની કેસની સુનવાણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની કમિટી પર પણ નિશાન સાધ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી વિધાનસભાની શાંતિ સમિતિને કાયદા વ્યવસ્થાના ઘણા કેસોમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી.
દિલ્હી કોમી તોફાન કેસમાં સુપ્રીમનો ચુકાદો
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મોની પાસે શક્તિ અને તાકાત છે કે તેઓ દુનિયાભરના લોકોને પ્રભાવિત કરી શકે છે. ઘણા બધા સોશિયલ મીડિયા યૂઝર્સની પાસે કન્ટેનન્ટની સચ્ચાઈની જાણકારી મેળવવાનું કોઈ માધ્યમ ઉપલબ્ધ હોતું નથી. તેથી ફેસબુક પર થતી પોસ્ટ અને ત્યાં થનારી ડિબેટ્સ સમાજના ભાગલા પાડવાનું કામ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે પ્રક્રિયાની પારદર્શિતા પર પણ ભાર મૂક્યો છે.
દિલ્હી સરકારની સમિતીએ ફેસબુક ઈન્ડીયાના ઉપાધ્યક્ષને પૂછપરછ માટે બોલાવ્યા હતા
ફેબ્રુઆરી 2020 માં દિલ્હીમાં થયેલા કોમી તોફાનો સાથે જોડાયેલી ફેસબુક પોસ્ટ અંગે પૂછપરછ કરવા માટે કમિટીએ તેમને બોલાવ્યાં હતા. અજિત મોહને દિલ્હી સરકારની સમિતીના નિર્ણયની વિરૃદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી નાખી હતી. આ કેસની આજે સુનાવણી ચાલી હતી. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી વિધાનસભાની પીસ એન્ડ હાર્મની કમિટીને કોઈની પણ પૂછપરછ કરવા માટે રુબરુ બોલાવવાનો અધિકાર છે તેથી તેમણે પણ પૂછપરછ માટે હાજર થવું પડશે.
2020 ના દિલ્હી તોફાનો સંબંધિત ફેસબુક પોસ્ટનો મામલો
દિલ્હી વિધાનસભાની પીસ એન્ડ હાર્મની કમિટીએ 2020 ના દિલ્હી તોફાનો સંબંધિત ફેસબુક પોસ્ટના મામલે પૂછપરછ કરવા માટે ફેસબુક ઈન્ડીયાના ઉપાધ્યક્ષ અજિત મોહનને બોલાવ્યા હતા. પરંતુ અજિત મોહને રુબરૃ બોલાવવાની સમિતીના નિર્ણયની વિરૃદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દીધી હતી પરંતુ હવે સુપ્રીમ કોર્ટે પણ આ અરજીને ફગાવીને તેમને સમિતી સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે.