હાથી અને પૃથ્વીને સીધો સંબંધ છે. દર વર્ષે હજારો હાથી શિકારીઓની લાલચનો ભોગ બને છે. હવે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, જો પૃથ્વીને બચાવવી હોય તો સૌથી પહેલા આપણે હાથીઓને બચાવવા પડશે. જો ધરતી પરથી હાથી વિલુપ્ત થઇ ગયા તો આપણું વાતાવરણ એકદમ ઝેરી બની જશે.
નેચર જિયોસાયન્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે, જો આફ્રિકાના જંગલોમાંથી હાથી વિલુપ્ત થઈ જશે તો આપણા વાતાવરણમાં હાનિકારક ગ્રીનહાઉસ ગેસોની માત્રા 7 ટકા જેટલી વધી જશે. તેનાથી ઓઝોનના આવરણને પણ ગંભીર નુકસાન થશે.
વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં જણાવ્યું છે કે, હાથીઓની હાજરીથી મોટા વૃક્ષોની સંખ્યામાં વધારો થાય છે, જે ગ્રીનહાઉસ ગેસને શોષી લેવા સક્ષમ છે. હાથી નહીં હોય તો નાના ઝાડી-ઝાંખરા અને એવા વૃક્ષોની સંખ્યા વધશે, જે કાર્બન ડાયોક્સાઈડ ઓછી માત્રામાં શોષી શકે છે. અભ્યાસના મુખ્ય સંશોધક ફેબિયો બર્ઝાગીએ કહ્યું કે, હાથી વિલુપ્ત થવાથી 3 અબજ ટન હાનિકાર કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણમાં પ્રવેશ કરશે. હાથીઓને મોટા વૃક્ષોના બીજ ફેલાવવામાં મદદગાર માનવામાં આવે છે, જેનાથી વિશાળ વૃક્ષોની સંખ્યા વધે છે.
કોંગો અને અન્ય ભૂભાગ પર આવેલા જંગલોમાં હાથી નાની વનસ્પતિ ખાય છે. વનમાં હાથી હોવાથી નાના વૃક્ષો કે ઝાડી-ઝાંખરાં મોટા થતાં નથી. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે, જો પશ્ચિમી આફ્રિકી જંગલોમાં હાથી લુપ્ત થઈ જશે તો વન બાયોમાસમાં 7 ટકાનો ઘટાડો થશે, જેનાથી ગ્રીનહાઉસ ગેસમાં ઘણો વધારો થશે.
આફ્રિકા સહિત દુનિયાભરના જંગલોમાં હાથીની સંખ્યા બહુ ઝડપથી ઘટી રહી છે. એક સમયે આ જંગલોમાં લાખો હાથી હતા, પણ હવે ફક્ત 10 ટકા જ બચ્યા છે. 2002થી 2011ના સમયગાળામાં 62 ટકા જંગલી હાથી શિકારીઓનો ભોગ બન્યા હતા. બજારમાં હાથીદાંતનો ઊંચો ભાવ આવતો હોવાથી શિકારીઓ હાથીને શિકાર બનાવે છે.