ગાંધીનગરઃ ગુજરાતમાં ઓછા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણીની તંગી સર્જાઈ છે. આ ઉપરાંત પુશઓને ઘાસચારો પણ પુરતા પ્રમાણમાં મળતો ન હોવાની રજૂઆતો આવી હતી. તો કેટલાક તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્રો અપાયા હતા. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી.
નીતિન પટેલે જણાવ્યું કે ઓછા વરસાદને કારણે ખેતીવાડી અને પશુપાલનમાં નુકસાન થયું છે. સરકાર પાસે લોકો અને ધારાસભ્યો તરફથી ભલામણ આવી છે. સરકારે અગાઉ 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. પીવાના પાણી સહિતના આયોજનો બાબતે કેન્દ્ર સરકારની મંજૂરી માગી છે. જેનો 1 ડિસેમ્બરથી લાભ અપાશે. 51 તાલુકાઓ સિવાય વધારાના વિસ્તારને આવરી લેવા ભલામણો કરાઇ છે. ગત કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા કરાઇ હતી.
તેમણે કહ્યું કે અછતગ્રસ્ત તાલુકાઓ સિવાય ખેડૂતોને મદદ કરી શકાય તે મુદ્દે ચર્ચા થઇ છે. 250 મિમિથી ઓછા વરસાદવાળા વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. 250mmથી 400mm વરસાદવાળા વિસ્તારોમાં ખાસ પેકેજ આપી મદદ કરાશે. ઉર્જા વિભાગ દ્વારા 10 કલાક વીજળી અપાઇ હતી. 400mm કરતા ઓછા વરસાદવાળા 45 તાલુકાઓને સહાય અપાશે. ભેદભાવ વગર લાભ આપવાનું નક્કી થયું છે.
તેમણે જણાવ્યું કે 250થી 300mm વરસાદવાળા 14 તાલુકાઓને હેક્ટર દીઠ રૂ.6300 સહાય અપાશે. આર્થિક મદદ સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે. જ્યારે 300થી 350mm વરસાદવાળા 12 તાલુકા હેક્ટર દીઠ રૂ.5800 સહાય અપાશે. દરેક તાલુકા દીઠ 28થી 30 કરોડ રૂપિયા સહાય ચૂકવાશે. 45 તાલુકામાં કુલ સહાય રાજ્યના બજેટમાંથી રૂ.1300 કરોડ થાય છે. અછતગ્રસ્ત 51 તાલુકાઓમાં રૂ.5100 કરોડની સહાય અપાશે. જો કે તાલુકાના તમામ ખેડૂતોને સહાય કરાશે. ખેડૂતોને 2 હેક્ટર સુધી જ લાભ અપાશે.
મહત્વનું છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 11 જીલ્લાઓનાં 51 તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કર્યા હતા. અસરગ્રસ્ત જાહેર કરવામાં આવેલાં આ 51 તાલુકાઓના 3291 ગામડાઓના ખેડૂતો-પશુપાલકોને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સહાય ચુકવવાની જાહેરાત કરાઇ હતી.