સરકારે કોઇ પગલાં ન લેતાં ડેવલપરોએ શુક્રવારે એક દિવસની પ્રતિક હડતાળનું એલાન આપ્યું છે.
મકાન બનાવવાની સામગ્રીમાં વધતો ભાવ
મકાનની કિમંતમાં થઈ શકે છે 15-20 ટકાનો વધારો
સિમેન્ટ-સ્ટીલ કંપનીઓએ કાર્ટેલ કરીને ભાવ વધાર્યો કર્યાની ફરિયાદ
સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં સતત વધારાના કારણે તમારું ઘરના ઘરનું સ્વપ્ન રોળાઈ શકે છે. રિયલ એસ્ટેટ ડેવલપરોએ જણાવ્યું છે કે, લોકડાઉન બાદ જે પ્રકારે સતત સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં વધારો થયો છે. તે હવે નહીં અટકે તો મકાનો, દુકાનો અને ઓફિસના ભાવમાં 15-20 ટકાનો વધારો થશે એ નક્કી છે. સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓએ કાર્ટેલ કરીને ભાવમાં વધારો કર્યો હોવાની ફરિયાદ કેન્દ્ર સરકારને કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેના અંગે સરકારે કોઇ પગલાં ના લેતાં ડેવલપરોએ શુક્રવારે એક દિવસની પ્રતિક હડતાળનું એલાન આપ્યું છે.
છેલ્લાં વર્ષોમાં મકાનોના ભાવ ધીમી ગતિએ સતત વધતાં રહ્યા છે. જોકે, હાલમાં ભારતમાં વ્યાજદર ઐતિહાસિક નીચી સપાટીએ છે તેથી હોમ લોન સસ્તી છે અને અનેક લોકો પોતાનું ઘરનું ઘર ખરીદવા માટે આયોજન કરી રહ્યા છે. ભારત સરકારે પણ હાઉસિંગ ફોર ઓલનું ધ્યેય નક્કી કર્યું છે. એફોર્ડેબલ મકાનો માટે ખાસ પ્રોત્સાહક યોજનાઓ પણ જાહેર કરી છે. પરંતુ બાંધકામ ખર્ચમાં છેલ્લાં કેટલાક મહિનાઓમાં જે વધારો થયો છે. તે હવે કદાચ આ તમામ લાભ કરતાં વધારે નુકસાન કરશે. મકાનોના ભાવમાં વધારો થશે તો સામાન્ય વર્ગ માટે પોતાનું ઘર બનાવવું દોહ્યલું બનશે.
સિમેન્ટ અને સ્ટીલની કંપનીઓએ કાર્ટેલ કરીને ભાવ વધારો કર્યો હોવાનો ડેવલપરોનો આરોપ છે. સરકાર દ્વારા આ ભાવ પર અંકુશ મૂકતાં પગલાં લેવામાં આવે એવી માંગ હવે રિયલ એસ્ટેટ સેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે. કૃષિ બાદ સૌથી મોટા પ્રમાણમાં રોજગારી આપતાં બાંધકામ ઉદ્યોગ પર સિમેન્ટ અને સ્ટીલના ભાવ વધારાની નકારાત્મક અસર થઇ છે. સાથોસાથ ડિઝલના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે તેના કારણે પણ મટિરિયલ કોસ્ટ વધી રહી છે. ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરનું વાર્ષિક ટર્નઓવર લગભગ રૂ. 80,000 કરોડ છે અને રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અંદાજે 40 લાખ કામદારોને રોજગારી આપે છે.
ડેવલપરો જણાવે છે કે અત્યાર સુધી સિમેન્ટ અને સ્ટીલના ભાવ વધારાની અસર ગ્રાહકો પર નાંખવામાં આવી નથી પરંતુ જો આ જ સ્થિતિ રહેશે તો નવું બાંધકામ કરવું શક્ય નહીં બને. કોરોના બાદ મકાનોની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ સિમેન્ટ-સ્ટીલનો ભાવ વધારો માત્ર સામાન્ય લોકો જ નહીં, બિલ્ડરોના સમિકરણો પણ ફેરવી દેશે તેવો ભયંકર છે.