ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ મુદ્દે વિદેશમંત્રાલયે જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આ ભારતનો પ્રથમ પ્રવાસ છે. તેઓ ભારતમાં અમદાવાદ, આગ્રા અને દિલ્લીની મુલાકાત લેશે. અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં હાજરી આપશે.
ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ મુદ્દે વિદેશમંત્રાલયે જાણકારી આપી
ટ્રમ્પ ભારતમાં અમદાવાદ, આગ્રા અને દિલ્લીની મુલાકાત લેશે
ગત 8 મહીનામાં પીએમ મોદી અને ટ્રમ્પ ચાર વાર મળી ચૂક્યા છે : MEA
અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરશે. આ ઉપરાંત ટ્રમ્પ આગ્રામાં તાજ મહેલની પણ મુલાકાત લેવાના છે. વિદેશ મંત્રાલયની તરફથી ટ્રમ્પની આ યાત્રાને લઇને નિવેદન જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યુ કે આતંકવાદનો ખાતમાને લઇને ભારત અને અમેરિકાની વચ્ચે તાલમેલ વધુ મજબૂત બનશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે મીડિયાને બ્રીફ કરતા કહ્યું કે આ પહેલી વાર છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે છે. આ પહેલા ગત 8 મહીનામાં પીએમ મોદી અને ટ્રમ્પ ચાર વાર મળી ચૂક્યા છે. આ બંને નેતાઓ વચ્ચેની પાંચમી મુલાકાત હશે.
તેઓએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરશે. જ્યાંથી તેઓ મોટેરા સ્ટેડિયમ માટે રવાના થશે. જ્યાં નમસ્તે ટ્ર્મ્પ કાર્યક્રમમાં ભાગ લેશે. અમે આશા રાખી રહ્યા છીએ કે એરપોર્ટથી લઇને સ્ટેડિયમ સુધી ઘણી સંખ્યામાં લોકો હાજર રહેશે.
આતંકવાદને લઇને મજબૂત તાલમેલ
ડોનાલ્ડ ટ્રમ્પની સાથે વાતચીતને લઇને વિદેશ મંત્રાલયે કહ્યું કે આતંકવાદ મુદ્દે બંને દેશોની વચ્ચે ઘણો મજબૂત તાલમેલ રહ્યો છે. અમને આશા છે કે આ તાલમેલ આ મુલાકાત બાદ વધુ મજબૂત બનશે. આ મુલાકાતમાં ક્ષેત્રીય મુદ્દાઓ પર પણ વાતચીત થશે. ટ્રમ્પના કાર્યક્રમને લઇને વિદેશ મંત્રાલયે જણાવ્યું, દિલ્હીમાં બંને નેતાઓ રાજઘાટ પહોંચશે અને મહાત્મા ગાંધીની સમાધિ પર જઇને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ હૈદરાબાદ હાઉસમાં ટ્રમ્પ અને પીએમ મોદીની વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે.
જ્યારે રવીશ કુમારને ટ્રમ્પના પ્રવાસ દરમિયાન થનારી સમજુતીને લઇને સવાલ પૂછવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે લગભગ 5 સમજુતીઓ પર હસ્તાક્ષર થઇ શકે છે. ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને લઇને પ્રવક્તાએ કહ્યું કે અમે કોઇ પણ ખોટી ડેડલાઇન આપવા માંગતા નથી. જ્યારે તેના પર વાતચીત થશે તો જણાવવામાં આવશે. સાથે જ તેઓએ ટ્રમ્પના એ નિવેદન પર જવાબ આવ્યો, જેમા તેઓએ કહ્યું હતું કે ભારતે અમેરિકા સાથે સારો વ્યવહાર નથી કર્યો. તેઓએ કહ્યું કે એ જાણવું જરુરી છે કે ટ્રમ્પે આ કયા આધાર પર કહ્યું છે.