દેશના ઉત્તર-પૂર્વના રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં હાલમાં બજેટની મોસમ ખીલી ઊઠી છે. તાજેતરમાં કમિશનર વિજય નહેરાએ સૂચવેલા રૂા. 218 કરોડના પ્રોપર્ટી ટેક્સના વેરા ફગાવી ભાજપ શાસકોએ રૂા. 9685 કરોડનું જંબો બજેટ રજૂ કર્યું હતું. હવે મ્યુનિ. કોંગ્રેસના સુધારા બજેટ બાદ બે દિવસીય બજેટસત્ર શરૂ થશે. ત્યારબાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ યાત્રા માટે તંત્ર વ્યસ્ત બનશે. દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય બાદ વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર તોળાઇ રહ્યા હોવાની ચર્ચા ઊઠી છે.
ભાજપ મોવડીમંડળ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી કહ્યાગરા અધિકારીઓની નિમણૂક પર ભાર મૂકે તેવી ચર્ચા
ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ મ્યુનિ. વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર થશે
ટ્રમ્પની અમદાવાદની યાત્રા માટે સમગ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડટુ રહેશે
આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી છે. હાલના ભાજપ શાસકો ફરી કોર્પોરેશનમાં સત્તાનાં સૂત્રો સંભાળવા તલપાપડ બન્યા છે. શાસકોના બજેટમાં ફગાવાયેલા પ્રોપર્ટી ટેક્સના વધારાને પણ લોકોને આકર્ષિત કરવાની દિશામાં ઉઠાવાયેલું પગલું તરીકે ચર્ચા થાય છે.
ટ્રમ્પની અમદાવાદની યાત્રા માટે સમગ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડટુ રહેશે
રાજ્ય સરકાર સમક્ષ તા. 20 ફેબ્રુઆરી સુધીમાં નિયમ અનુસાર જે તે વર્ષનું બજેટ મ્યુનિ. બોર્ડના બજેટસત્રમાં મંજૂર કરાવી મોકલાવવાનું હોય છે, જેના કારણે અત્યારે શાસક પક્ષ બજેટ બેઠકની તૈયારીમાં રચ્યોપચ્યો છે. ત્યારબાદ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની અમદાવાદની યાત્રા માટે સમગ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડટુ રહેશે.
ભાજપના સત્તાધીશો પણ ટ્રમ્પની અમદાવાદ યાત્રાને સફળ બનાવવા માટે અત્યારથી ગંભીર બન્યા છે. દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ યાત્રા સફળ થયા બાદ આગામી ચૂંટણી ધ્યાનમાં રાખી મ્યુનિ. વહીવટીતંત્રમાં ઉચ્ચ સ્તરીય ફેરફાર થવાની શક્યતા પ્રબળ બની છે.
મ્યુનિ. તંત્રમાં કહ્યાગરા અધિકારીઓની નિમણૂક કરવા પર ભાજપ મોવડીમંડળ ભાર મૂકશે
મ્યુનિ. ભાજપનાં વર્તુળો કહે છે, અગાઉ પણ વહીવટીતંત્ર સામે છેક ભાજપ મોવડીમંડળ સુધી ફરિયાદ થઇ હતી, જોકે તે વખતે મોવડીમંડળે થોભો અને રાહ જુઓની ચાણક્યનીતિ અપનાવી હતી. પરિણામે મ્યુનિ. ભાજપમાં વહીવટીતંત્ર સામે ઊઠેલો અસંતોષ કંઇકઅંશે શમ્યો હતો, પરંતુ હજુ પણ અંદરખાને આ રોષ ભભૂકી રહ્યો છે, જેના કારણે મોવડીમંડળ પણ ટ્રમ્પની વિદાય બાદ વહીવટીતંત્રમાં વ્યાપક ફેરફાર કરવા માટે ગંભીરતાથી વિચારણા હાથ ધરી શકે છે. ખાસ કરીને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી મ્યુનિ. તંત્રમાં કહ્યાગરા અધિકારીઓની નિમણૂક કરવા પર ભાજપ મોવડીમંડળ ભાર મૂકશે.