ગુજરાતમાં છેલ્લાં એક સપ્તાહથી કોરોના સંકટથી પણ વધારે કોઈ મુદ્દો ચર્ચામાં હોય તો તે છે ધમણ વેન્ટિલેટરનો. મહત્વનું છે કે આ રાજકોટની કંપનીએ બનાવેલા આ ધમણને ગુજરાતની સિદ્ધિ ગણાવીને લૉન્ચ કરાયું હતું જેથી કેન્દ્ર સરકારે પણ 5000 વૅન્ટિલેટર્સના ઓર્ડર આપ્યાં છે. જો કે આ તમામ વિવાદમાં હવે BJPનું ધમણ બનાવનારી કંપની સાથે મોટું કનેક્શન હોવાનો દાવો થઈ રહ્યો છે.
The Wireમાં પ્રકાશિત થયેલ સમાચારના દાવા મુજબ જ્યોતિ CNC કંપની જેણે ધમણ-1 બનાવ્યું છે તેના હાલના અને પૂર્વ પ્રમોટર્સનું ભાજપના નેતાઓ સાથે નજીકના સંબંધો છે. હકીકતમાં દાવા પ્રમાણે જોઈએ તો આ કંપનીના એક પ્રમોટરના સંબંધોના છેડા PM નરેન્દ્ર મોદીના લાખેણી સૂટના વિવાદ સાથે જોડાયેલાં છે.
ઉલ્લેખનીય છે કે ધમણ-1 વૅન્ટિલેટર પર વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે ખુદ સિવિલના સુપરિટન્ડન્ટે ધમણની કાર્યદક્ષતા પર સવાલ ઉઠાવતો પત્ર લખ્યો હતો. ત્યાર બાદ વિપક્ષે આ મામલે ભારે હોબાળો મચાવતા આ વૅન્ટિલેટરને ફૅક ગણાવ્યું હતું અને જ્યોતિ CNCના માલિકોને CM રૂપાણીના મિત્ર હોવાનું કહીને મોટો ફાયદો કરાવવા માટે સમગ્ર કારસો રચ્યો છે તેવો ગંભીર આરોપ પણ લગાવ્યો છે. બીજી બાજુ CM રૂપાણીના બચાવમાં હંમેશાની જેમ સંકટમોચક બનીને ડે.સીએમ નીતિન પટેલ મેદાનમાં ઉતર્યા હતાં. કોંગ્રેસને વળતો જવાબ આપીને આ તમામ વાતો પાયાવિહોણી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે કંપનીએ ગુજરાત સરકારને મફતમાં આ વૅન્ટિલેટર્સ ભેટમાં આપ્યાં છે ત્યારે તેમાં કોઈ કૌભાંડ થયું હોવાની વાતોને રદિયો આપ્યો છે.
છેલ્લાં કેટલાંક દિવસથી મીડિયામાં રિપોર્ટ્સ આવી રહ્યાં છે કે ધમણ-1 જેને વેન્ટિલેટર ગણાવીને ગુજરાત સરકારે પોતાની સિદ્ધિ ગણાવીને અગ્રેસીવલી માર્કેટિંગ કર્યુ છે. જેમાં વિપક્ષ દ્વારા આ મશીનની કાર્યક્ષમતા પર સવાલ ઊભાં કર્યા હતાં અને આક્ષેપ કર્યા હતા કે તેનું યોગ્ય ટેસ્ટિંગ અને DCGI (Drug Controller General Of India) નું લાયસન્સ વિના હોસ્પિટલમાં લગાવી દર્દીઓના જીવ જોખમમાં મૂક્યાં છે. જો કે આ આરોપો પર સરકારે વળતો જવાબ આપતાં કહ્યું હતું કે ધમણ-1 માટે કોઈ લાયસન્સની જરૂર નથી.
આરોપ એવા પણ લગાવાયા છે કે CM રૂપાણી સંપૂર્ણ લૉકડાઉન અને કોરોના સંકટમાં માત્ર એક જ વખત બહાર આવ્યાં હતા જ્યારે જ્યોતિ CNCનું ધમણ-1 અમદાવાદની સિવિલ હૉસ્પિટલ ખાતે લૉન્ચ કરવાનું હતું.
ખુદ સિવિલ હૉસ્પિટલે ધમણ-1 પર સવાલ ઉઠાવ્યાં
મીડિયામાં આવેલી ખબરો અનુસાર સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયાના હેડ શૈલેષ શાહે જણાવ્યું હતું કે સદનસીબે જ્યોતિ CNCના વૅન્ટિલેટર્સ ઘણી ઓછી જગ્યાઓએ લગાવાયા હતાં કારણે કે હાઈ-એન્ડ વેન્ટિલેટર્સ આપણી પાસે પૂરતા પ્રમાણમાં હતાં. ધમણ-1 એ હાઈ-એન્ડ વૅન્ટિલેટર્સની જગ્યા કોઈ હિસાબે લઈ શકે તેમ નથી પરંતુ ત્યારે કામ લાગી શકે જ્યારે ઈમર્જન્સી કેસમાં તમારી પાસે હાથ પર કંઈ જ નથી. પરંતુ માત્ર ધમણ-1 પર નિર્ભર રહેવું તે ચોક્કસપણે સારો વિચાર નથી.
અત્યાર સુધી આશરે 900 વૅન્ટિલેટર્સ ગુજરાતમાં લગાવાયા
ઉલ્લેખનીય છે કે 900 જેટલાં ધમણ-1ને રાજ્યમાં અલગ અલગ હોસ્પિટલમાં લગાવાયા છે જેમાં એકલા અમદાવાદની સિવિલમાં 230 લગાવાયા હોવાની માહિતી મળી રહી છે. કોંગ્રેસે આ મુદ્દાને ઉછાળતા ગુજરાત સરકાર માત્ર ઓક્સિજન આપવાના આ એક મશીનના નામે દર્દીઓના જીવ જોખમમાં મૂકે છે ત્યારે તેની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે. સિવિલમાં કોરોનાને કારણે થયેલા 300 મોત પર સવાલ ઉઠાવતા જવાબ માંગ્યો હતો કે તેમાંથી કેટલાં દર્દીઓને આ ધમણ વેન્ટિલેટર્સ પર મૂકાયા હતાં.
આ જ મુદ્દે BBCના એક પત્રકારે સિવિલમાં પોતાના જીજાજીનું કોરોનાથી મોત થયું હતું તેના પર સવાલ ઉઠાવ્યાં હતાં. તેણે લખ્યું હતું કે મારે જાણવું છે કે શું તેમને ધમણ-1 વેન્ટિલેટર રાખવામાં આવ્યાં હતા?
ગુજરાત સરકારે કહ્યું અમે ક્યારેય કહ્યું જ નથી કે ધમણ-1 વેન્ટિલેટર છે
ધમણ મુદ્દે વિવાદ વધતાં બચાવમાં ઉતરેલી ગુજરાત સરકારે દાવો કર્યો કે અમે ક્યારેય એવું કહ્યું નથી કે જ્યોતિ CNCની આ પ્રોડક્ટ વેન્ટિલેટર છે. પરંતુ ખુદ સરકારની પ્રેસ રિલીઝમાં 9 વખત તેને વૅન્ટિલેટર તરીકે દર્શાવવામાં આવ્યું છે. જેમાં PM મોદીના મેડ ઈન ઈન્ડિયાના કેમ્પેઈન હેઠળ ગુજરાત સરકારની મોટી ઉપલબ્ધિ અને સિદ્ધિ તરીકે પણ ધમણ-1ના ગુણગાન ગાવામાં સરકારે કંઈ બાકી રાખ્યું ન હતું.
પુડ્ડુચેરીએ ધમણનો ઓર્ડર કેન્સલ કર્યો
જ્યારે ગુજરાતમાં ધમણ-1નો વિવાદ વકર્યો તો સૌપ્રથમ પુડ્ડચેરી જેણે ધમણ-1ના 25 નંગનો ઓર્ડર આપ્યો હતો તેને કેન્સલ કર્યો હતો. ખુદ CM વી.નારાયણસામીએ આ મામલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
Lot of controversy has arisen about the functioning of #Dhaman1 . By-pat mechine from #Gujarat Rajkot.
I discussed with Hon’ble Health Minister, Govt of #Puducherry . We will cancel the order Letter has been sent to them to that effect.
ડોકટરોએ નકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવા છતાં ગુજરાત સરકારે શા માટે જ્યોતિના 'ધમણ' વેન્ટિલેટરને સમર્થન આપ્યું એ એક મોટો સવાલ છે. અહીં નોંધનીય છે કે જ્યોતિ CNC કંપનીમાં આર્થિક હિસ્સો ધરાવતા અગત્યના બિઝનેસમેન ચહેરાઓના રાજકીય કનેક્શન બહાર આવ્યા છે. આ કનેક્શન CM વિજય રૂપાણી અને PM મોદી સુધી પહોંચે છે.
વિજય રૂપાણીએ ફાઇનાન્શ્યલ એક્સપ્રેસને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓને કહેતા ગર્વ થાય છે કે રાજકોટની એક મિકેનિકલ કંપનીએ ફક્ત 10 દિવસમાં વેન્ટિલેટરની ડિઝાઇન, પ્રોટોટાઇપ અને તેના સાધનો બનાવીને તેનું ઉપ્તાદન શરુ કર્યું છે. તેનું ટેસ્ટિંગ થઇ ચૂક્યું છે અને તેને શનિવારથી દર્દીઓ ઉપર વાપરવામાં આવશે. અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે પરાક્રમસિંહ જાડેજા કહ્યું હતું કે વિજય રૂપાણી તેમને દરરોજ ફોન કરીને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. આ ઉપરાંત પરાક્રમસિંહ જાડેજાએ PM મોદીનો આર્થિક પેકેજમાં MSMEsને લાભ આપવાના નિર્ણય વખાણ્યો હતો જે વીડિયો વિજય રૂપાણીએ પોતાના ટ્વીટર ઉપર મુક્યો હતો. આ બાબત તેમના નિકટ સંબંધોની ટાપશી પુરાવે છે.
Shri Parakramsinh Jadeja, Chairman & MD of Jyoti CNC Automation Ltd., thanks PM Shri @narendramodi ji for the financial support package that would greatly benefit MSMEs, the backbone of the economy.#AatmaNirbharBharatpic.twitter.com/Mvy4v8pZ2b
જ્યોતિ CNC કંપનીમાં પ્રમોટર તરીકે મોટા પ્રમાણમાં શેર હોલ્ડિંગ ધરાવતો એક પરિવાર સુરતનો વિરાણી પરિવાર છે. આ KARP impex નામની સુરતની એક હીરાની કંપનીનો માલિક પરિવાર છે. KARP Diamondsના ડાયરેક્ટર રમેશકુમાર ભીખાભાઈ વિરાણી એક જાણીતા બિઝનેસમેન છે. તેમનો પરિવાર જ્યોતિ CNCમાં મોટો નાણાકીય હિસ્સો ધરાવે છે. કંપનીના 2003-04ના ફાઈલિંગ પ્રમાણે ભીખાભાઇના બે પુત્રો કિશોર અને અનિલ વિરાણી કંપનીના સૌથી મોટા શેરહોલ્ડર હતા.
નોંધનીય છે કે વિરાણી પરિવારે PM નરેન્દ્ર મોદીએ એક સૂટ ભેટ આપ્યો હતો જેમાં ઝીણી લાઈનમાં Narendra Modi એવા અક્ષરો ગૂંથેલા હતા. આ સૂટની કિંમત વિપક્ષે 10 લાખ રૂપિયા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને રાહુલ ગાંધીએ આ મુદ્દે મોદી સરકાર માટે સૂટ બુટ કી સરકાર એવો શબ્દપ્રયોગ કર્યો હતો. આ સૂટ PM મોદીએ 2015માં 26 જાન્યુઆરીએ જયારે બરાક ઓબામા ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે પહેર્યો હતો. રમેશ વિરાણી ત્યાર બાદ ઘણા ન્યુઝપેપરમાં ઇન્ટરવ્યુ આપીને એવો દાવો કર્યો હતો કે તેમણે આ સૂટ મોદીને એક નાના ભાઈને જેમ આપ્યો હતો અને તેમની ઈચ્છા આ સૂટ આપીને PM મોદીને તેમના દીકરા સ્મિતના લગ્નમાં હાજરી આપવા માટે નિમંત્રણ પાઠવવાની હતી. નોંધનીય છે કે PM મોદી 2012માં જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ વિરાણી પરિવારના એક લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા.
વિરાણી પરિવારનો જ્યોતિ CNCમાં લગભગ અડધો હિસ્સો
31 માર્ચ 2019ના આંકડા પ્રમાણે જ્યોતિ CNCના કુલ શેરમાં રમેશ વિરાણી અને તેમની જ પરિવારની કંપની એકનાથ ઇન્ફ્રાકોન LLP આ બે શેરહોલ્ડર્સનો 45%થી વધુ હિસ્સો છે. આ મુદ્દે જ્યોતિ CNCના CMD પરાક્રમસિંહ જાડેજાએ મીડિયા એજન્સી The Wire સાથે વાત કરતી વખતે જણાવ્યું હતું કે વિરાણી પરિવાર જ્યોતિ CNCમાં 46.76% હિસ્સો ધરાવતા હતા પરંતુ હવે વિરાણી પરિવારના શેરહોલ્ડિંગને ઓફલોડ કરી દેવાયા છે અને આ આંકડા નાણાંકીય વર્ષ 2019ના છે. તેની લેટેસ્ટ ફાઇલિંગ તેઓ શેર કરશે તેવું પણ તેમણે કહ્યું હતું. આ શેર ક્યારે અને કોને ઓફલોડ કરાયા છે એ પ્રશ્નનો જવાબ આપવો પરાક્રમસિંહે ટાળ્યો હતો અને કહ્યું હતું કે તેઓ પારદર્શક કંપની છે અને ફાઇલિંગ તૈયાર થતા જ આંકડાઓ શેર કરવામાં આવશે. ત્યાર બાદ પરાક્રમસિંહે કોઈ ફાઇલિંગ શેર કર્યા નહોતા અને તેઓ મિટિંગ વ્યસ્ત છે અને રાજકોટની તમામ ઓફિસની જેમ તેમની ઓફિસ પણ બંધ છે તેમ જાણવા મળ્યું હતું. આ ઉપરાંત The Wireના જણાવ્યા પ્રમાણે KARP ગ્રુપના કિશોર વિરાણી અને સ્મિત વિરાણી બંનેએ આ મુદ્દે કોઈ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.