21મી સદીના શિક્ષિત સમયમાં ગાંધીનગરના રૂપાલામાં ઢબુડી માતાના નામે અંધશ્રદ્ધાનું ડીંડક ચલાવતાં ધનજી ઓડનો અસલી ચેહરો લોકો સામે આવ્યો છે. ઢબુડી માતા બનેલા ધનજી ઓડને લઇ વિજ્ઞાનજાથાએ મોટો ખુલાસો કર્યો છે. જ્યારે તેના સેવકો પત્રકારોને ધમકી પણ આપી રહ્યા છે.
અંધશ્રદ્ધાનો મોટો કારોબાર છે ધનજી ઓડ
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કહ્યું કે, આ ધનજી ઓડ અંધશ્રદ્ધાનો મોટો કારોબાર છે. ગરીબ ભક્તોના પૈસાએ લક્ઝુરિયસ લાઇફ જીવી લાઇફ જીવી રહ્યાં છે. ભોગ બનેલા લોકો અમારી પાસે આવ્યા હતા. વિજ્ઞાન જાથા હંમેશા સાચા લોકોની સાથે રહ્યું છે. ત્યારે કંઇક અજુગતુ થાય તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરી દેવી જોઇએ. સાથે જ જયંત પંડ્યાએ કહ્યું કે, ઢબુડી માતાના સેવકો ગુંડા જેવા છે તેઓ અમને ધમકી આપી રહ્યાં છે.
ધનજી ઓડના CCTV સામે આવ્યા, ભક્તોની પત્રકારોને ધમકી
ઢબુડી માતાના નામથી ઓળખાતા ઢોંગી ધનજી ઓડનો અસલી ચેહરો સામે આવ્યો છે. VTV પાસેના CCTVમાં ધનજી ઓડ લક્ઝ્યુરિસ કારમાં ફરતો જોવા મળી રહ્યો છે. ગરીબ ભક્તોના પૈસાથી ધનજી ઓડ તાગડધિન્ના કરી રહ્યા છે. પોતાને માતા કહીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો છે. જેનો પર્દાફાશ કરતા CCTV સામે આવ્યા છે. જ્યારે હવે તેના સેવકો પત્રકારોને ધમકી આપી રહ્યા છે. પત્રકારને ધમકી આપતી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લીપમાં ઢોંગી ધનજી ઓડનો ભક્ત પત્રકારને ધમકી આપી રહ્યો છે.
દર મહિને મકાનનું ચૂકવાય છે 36 હજાર ભાડું
ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ અમદાવાદમાં ચાંદખેડામાં ભાડાનાં મકાનમાં રહે છે. ધનજી ઓડે માર્ચ 2019થી ચાંદખેડામાં મકાન ભાડે રાખ્યું હતું. 11 મહિનાનાં કોન્ટ્રાક્ટથી આ મકાન ભાડે રાખ્યું હતું. આ મકાન ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી છે. મકાન માલિકે VTVનાં અહેવાલ બાદ ધનજી ઓડને નોટિસ આપી છે. આ મકાનનું દર મહિને તે 36 હજાર ભાડુ ચૂકવે છે.
ધનજી ઓડનું નિવેદન
ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ પર લાગેલા આક્ષેપોને લઈને ધનજીએ નિવેદન આપ્યુ હતું. તેણે જણાવ્યું કે, મને ગામમાંથી કોઇએ ભગાડ્યો નથી પરંતુ મે સ્વેચ્છાએ ગામ છોડ્યું છે. તેમજ મે વરદાયિની માતા પર કોઇ ટિપ્પણી કરી નથી. જે આક્ષેપો લગાવે છે તે મારી સામે આવે. તેમજ એક વર્ષમાં મારા 2 લાખ અનુયાયીઓ થયા છે અને લોકો આંધળી શ્રદ્વા રાખે તો જ ભગવાન મળે. આ ઉપરાંત મીડિયા સામે લૂલો બચાવ કરતા તેણે કહ્યું કે,હું લોકોને વડીલોની મર્યાદા રાખવાનું શીખવું છું અને હું મારા નામના દીવો કે અગરબત્તી કરવાનું કહેતો નથી. લોકો પોતાના મનથી મારી પાસે આવે છે.
ઢબુડી માતાનાં ભક્તે આપેલું નિવેદન
VTVની ટીમ જ્યારે અમદાવાદ ખાતે આવેલા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાના વૈભવી નિવાસ સ્થાને પહોંચી હતી ત્યારે આસપાસમાં રહેતા ઢબુડી માતાનાં એક ભક્તે એવું નિવેદન આપ્યું હતું કે, 'માતા પર લાગેલા આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે. માતાનાં પરચા અપરંપાર છે. માતા કહે જ છે કે, 1 હજાર લોકોમાંથી 700 લોકોનાં કામ થાય જ છે. ઢબુડી માતા પર લાગેલા આ આરોપો સદંતર ખોટા છે.'