દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા દિવસેને દિવસે વિરોધ મોટું સ્વરૂપ લઈ રહ્યું છે. આજે ગાંઘીનગર ખાતે અંદાજીત 50થી વધુ બસો અને નાના મોટા વાહનોમાં આદિવાસીઓ સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતાં. જ્યાં બપોર બાદ ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવો કરવા જતાં પહેલા પોલીસે કોંગ્રેસના રઘુ શર્મા, હાર્દિક પટેલ, જગદીશ ઠાકોર, અમિત ચાવડા અને અનંત પટેલ સહિત નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
સભા કે રેલીની પરમિશન ન હતી : રેન્જ આઈજી અભય ચુડાસમા
કોંગી નેતાઓની અટકાયત મામલે ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ કહ્યું હતું કે અહીં સભા કે રેલીની કોઈ પરમિશન આપવામાં આવી ન હતી. જેના પગલે અટકાયત કરવામાં આવી હતી. રેલીની મંજૂરી લીધા વગર આયોજન કર્યુ હતું
તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આજે યોજાયેલા આદિવાસીના પડતર પ્રશ્નો સંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો જોડાયા હતાં. આ સંમેલનમાં 50થી વધુ બસ અને નાના-મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર પહોંચ્યા હતાં. કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ કર્યો હતો કે, વિવિધ પ્રોજેક્ટ હેઠળ સરકારે આદિવાસીની જમીન લઈ લીધી છે. અને આદિવાસીને જંગલ વિસ્તારથી દૂર કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે.
તાપી-ધરમપુરથી અમારો અવાજ નહોતો પહોંચતો- અનંત પટેલ
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસી સંમેલનની લડત શરૂ કરનાર અનંત પટેલે કેન્દ્ર સરકાર સરકાર સમક્ષ શ્વેતપત્ર બહાર પાડે એવી માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તાપી-ધરમપુરથી અમારો અવાજ ગાંધીનગર ન હતો પહોંચતો. જેથી આજે ગાંધીનગર આવીને આમારો અવાજ મજબૂત કરવો છે .સરકાર કહે છે કે કોઈની જમીન નથી લેવાના તો પછી સરકારે 500 કરોડ શું કરવા બજેટમાં આપ્યા છે. જમીન નહીં લે તો ડેમ ક્યાં હવામાં બાંધશે
ગાંધીનગરમાં આદિવાસી સંમેલન BTPના મહેશ વસાવા જોડાયા
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસી સંમેલનમાં BTPના MLA મહેશ વસાવા જોડાયા હતાં. જેમાં મહેશ વસાવાએ કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. આદિવાસી કાર્યક્રમનું કોંગ્રેસીકરણ થયું છે. હું આદિવાસી અધિકારની લડત લડવા માટે આવ્યો છું. લડત ચલાવતા સંગઠને મને સંમેલનમાં આમંત્રિત કર્યો છે. મહત્વનું છે. આ સંમેલનમાં મહેશ વસાવા સ્ટેજ પર બેસવાને બદલે લોકોની સાથે નીચે બેઠા હતાં.