સરકાર હવે દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવશે. જેનાથી દરિયા કિનારાના વિસ્તારોને ફાયદો થશે. દરિયાના ખારા પાણીને મીઠું અને પીવાલાયક બનાવવા માટે રાજ્યનો સૌ પ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ ગુજરાતના જામનગર જિલ્લાના જોડીયા ખાતે સ્થાપવામાં આવશે. જોડિયા ખાતે બનાવવામાં આવનાર આ પ્લાન્ટની ક્ષમતા 100 MLDની હશે.
ઉલ્લેખનીય છે કે, આ પ્લાન્ટમાં દરરોજ દરિયાના ખારા પાણીમાંથી 10 કરોડ લિટર મીઠું પાણી બનશે. ત્યારે સરકાર મીઠા પાણી માટે 5 રૂપિયાને 70 પૈસા પ્રતિ લિટર ચૂકવશે. ભવિષ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 27 કરોડ લિટરની ક્ષમતાના આવા 7 થી 8 પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્લાન્ટ બનાવવાના પ્રોજેક્ટમાં અંદાજે 750 કરોડનો કેપીટલ ખર્ચ થશે.
આપને જણાવી દઇએ કે, ગુજરાત રાજ્યને હાલ મીઠા પાણી માટે નર્મદા ડેમ પર આધાર રાખવો પડે છે. ત્યારે પાણીના વિકલ્પ તરીકે ડી-સેલિનેશન પ્લાન્ટથી ગુજરાતને ફાયદો થશે. ગુજરાત રાજ્ય પહેલા કર્ણાટકમાં ડી-સેલીનેશન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે અને આ પ્લાન્ટ કર્ણાટકમાં સફળ રહ્યો છે. આથી મંત્રી કુંવરજી બાવળીયાએ કર્ણાટકમાં ડી-સેલીનેશન પ્લાન્ટની મુલાકાત લીધી હતી.