બનાસકાંઠા જિલ્લાના કરમાવાદ તળાવ તેમજ મુકેશ્વર ડેમ પાણીથી ભરવાની માંગ સાથે ખેડૂતો દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
બનાસકાંઠામાં જળ આંદોલનના એંધાણ
મુક્તેશ્વર ડેમ, કરમાવાદ તળાવ ભરવાની માંગ
26મેના રોજ 25 હજાર ખેડૂતો યોજાશે રેલી
બનાસકાંઠામાં પાણીની અછતને લઈને ડેમ અને તળાવ પાણીથી ભરવાની માંગ ઉગ્ર બની છે. આ જળ આંદોલનને ટેકો જાહેર કરી પાલનપુર માર્કેટયાર્ડ પણ મેદાનમાં ઉતર્યું છે. ત્યારે પાણી આપોની માંગ સાથે આગામી તા. 26 મેના રોજ યોજાનારી ખેડૂતોની મહારેલીના દિવસે માર્કેટ યાર્ડના તમામ વેપારીઓએ બંધ પાળી આ આંદોલનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે પાણી અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રશ્નનો નિવેડો ન આવતા ખેડૂતો આકરા પાણીએ થયા છે અને જળ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે.
'પાણી આપો'ની માંગ સાથે 25 હજાર ખેડૂતો યોજાશે રેલી
ઉનાળાની વિકટ સ્થિતિ વચ્ચે પાલનપુર તેમજ વડગામ તાલુકાના 125 ગામોંમાં પાણીનું સંકટ ઘેરું બન્યું છે. પાણીની માંગ અંગે અનેક વખત રજૂઆત કરાયા બાદ હવે ખેડૂતો આંદોલનના માર્ગે વળ્યા છે. છેલ્લા ૨૫ વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ઠલવાય તે અંગે ખેડૂતો રજુઆતો કરી-કરીને થાકયા છે. પરંતુ પરિણામમાં 'અંતમાં શૂન્ય તણો સરવાળો' ની માફક માંગ સંતોષાય નથી. જેને લઈને પોતાની માંગને બુલંદ કરવા ખેડૂતો દ્વારા આગામી તા. 26ના રોજ જળ આંદોલનને લઈને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેલીની ખેડૂતો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. પાણીની માંગને સરકારના કાન સુધી પહોંચાડવા આશરે ૨૫ હજારથી વધુ ખેડૂતો આ મહારેલીમાં જોડાશે.
ટેકામાં માર્કેટ યાર્ડના વેપારીઓ પાળશે બંધ
કરમાવાદ તળાવ તેમજ મુકેશ્વર ડેમ તળિયાઝાટક છે. આ ડેમમાં પાણી ભરવામાં આવે તો 125 ગામડાંના ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે. માર્કેટયાર્ડના વેપારીઓનું કહેવું છે કે ખેડૂતોને પાણી નહીં હોય તો કેવી રીતે ખેતી કરી ઉપજ મેળવશે અને કેવી રીતે ગંજ બજાર સુધી આવશે? તો અમારો આ ખેડૂતોને ટેકો છે. ખેડૂતો થકી આ માર્કેટ યાર્ડ ટકેલા છે. ત્યારે સરકાર ખેડૂતોની માંગ પૂરી કરી પાણી આપે જેથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થાય અને ખેડૂતો ખેતી કરી સમૃદ્ધ બને. તેમ યાર્ડના વેપારીઓએ સૂર પુરાવ્યો હતો. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે ખેડૂતોએ પાણીની માંગ સાથે સરકાર સામે શિંગળા ભરાવતા સરકાર ભીંસમાં મુકાય છે.