દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો અને ઓક્સિજન અને કોવિડ બેડની તંગીને લઈને ઘમાસાણ મચ્યું છે. કોવિડ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે દિલ્હી સરકારે વધુ ઓક્સિજનનની માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં દિલ્હી સરકારે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન મોકલવાની માગ કરી હતી. જો કે, ત્યારબાદ રેલવે બોર્ડના ચેરમેને દિલ્હી સરકારની માગને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.
રેલવે બોર્ડના ચેરમેને કહ્યું- ઓક્સિજન માટે ટ્રક રાખો તૈયાર
રેલવે બોર્ડના ચેરમેને જણાવ્યું હતું કે, અમને તેમની માગ મળી છે અને અમે તેમને કહ્યું છે કે, ઓક્સિજન લઇ જતા ટ્રક તૈયાર રાખવામાં આવે, નજીકના સમયમાં તેમના સુધી ઓક્સિજન પહોંચાડીશું.
રેલવે બોર્ડના ચેરમેને જાણકારી આપી હતી કે, દિલ્હીની ઓક્સિજન પુરવઠો રાઉરકેલા, આંધ્રપ્રદેશના અંગુલ અને ઓડિશાથી પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે જણાવ્યું કે, ઓક્સિજન એક્સપ્રેસમાં 16 ટન ઓક્સિજન આવી શકે છે.
સાહેબ પરિસ્થિતિ ગંભીર છે, હાથ જોડીને કહું છું : કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે સાહેબ, ખૂબ ખૂબ આભાર કે આજે તમે બેઠક બોલાવી છે. હું જાણવા માંગુ છું કે જૉ હોસ્પિટલોમાં ઑક્સીજન ખૂટી જાય તો કેન્દ્ર સરકારમાં કોની સાથે વાત કરું? સાહેબ હું જાણવા માંગુ છું કે દિલ્હીના ઑક્સીજન કોઈ રોકી લે તો હું ફોન ઉપાડીને કોની સાથે વાત કરું? સાહેબ પરિસ્થિતિ ગંભીર છે. હું દિલ્હીના લોકો વતી હાથ જોડીને અપીલ કરૂ છું કે કોઈ કઠોર અને સાર્થક નિર્ણય નહીં લો તો ખૂબ મોટી તારાજી થશે. સાહેબ મને માર્ગદર્શન આપો.
સાહેબ હાથ જોડીને કહું છું, એક ફોન કરી દો : કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે અમારી ઑક્સીજન રોકવામાં આવી છે. સાહેબ મહેરબાની કરીને તે રાજ્યોના સીએમને ફોન કરી દો કે અમારા ટ્રક ના રોકે. તમારો એક ફોન જ ખૂબ છે સાહેબ. દિલ્હીના લોકો તરફથી હાથ જોડીને કહી રહ્યો છું કે અમારી મદદ કરો.
સર, ડર લાગે છે કે કઈં થશે તો...? : કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે દિલ્હીની હોસ્પિટલોમાં જે હાલત છે, તે જોઈ શકાય તેમ નથી. આખી રાત ઊંઘી નથી શકતા અમે. હું મુખ્યમંત્રી હોવા છતાં કઈં નથી કરી શકતો. ડર લાગે છે કે ઑક્સીજનના કારણે કોઈ મોટી દુર્ઘટના ન થઈ જાય. ન કરે નારાયણ અને ઑક્સીજન ન હોવાના કારણે કઈં થઈ જશે તો આપણે પોતાની જાતને માફ નહીં કરી શકીએ.