દિલ્હીમાં કોરોના વાયરસના કહેરને રોકવા માટે કેજરીવાલ સરકારે '5 ટી પ્લાન' બનાવ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે 5 ટીમાંથી પહેલો ટી છે ટેસ્ટિંગ, બીજો છે ટ્રેસિંગ, ત્રીજો છે ટ્રીટમેન્ટ, ચોથો છે ટીમ વર્ક અને પાંચમો છે ટ્રેકિંગ અને મોનિટરિંગ. તેઓએ કહ્યું કે આપણે કોરોનાને હરાવવા માટે આ પ્લાન પર કામ કરવું પડશે.
તમામ સરકારો-વિભાગોએ એકજુટ થઇને એક ટીમની જેમ કામ કરવું પડશે : કેજરીવાલ
1 ટેસ્ટિંગ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે મોટા લેવલ પર ટેસ્ટિંગ કરીશું. સાઉથ કોરિયાની જેમ અમે ખુબ જ મોટા સ્તરે ટેસ્ટિંગ કરવા જઇ રહ્યા છે. પહેલા ટેસ્ટિંગ કિટની સમસ્યા હતી. હવે સુધરી છે. અમે 50,000 લોકોના ટેસ્ટ માટે કિટનો ઓર્ડર આપ્યો છે. 1 લાખ લોકોના રેપિડ ટેસ્ટ માટે કિટનો ઓર્ડર કરી દેવાયો છે. શુક્રવારથી રેપિડ ટેસ્ટ કિટ આવવા લાગશે. કોરોનાના હોટસ્પોટ એરિયામાં રેપિડ ટેસ્ટ કરવામાં આવશે.
2 ટ્રેસિંગ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરી રહ્યા છીએ. તમામ લોકોને સેલ્ફ ક્વૉરન્ટાઇન માટે મોકલાઇ રહ્યા છે. ટ્રેસિંગમાં અમે પોલીસની મદદ લઇ રહ્યા છીએ. પોલીસની મદદથી અમે એવા લોકોને ટ્રેસ કરીશું, જે હોમ ક્વૉરન્ટાઇન છે. પોલીસને અમે અત્યાર સુધીમાં 27202 લોકોના ફોન નંબર આપ્યા છે. તેમનો જીપીએસ લોકેશન ચેક કરવામાં આવે છે. તેની સાથે જ મરકઝમાંથી નીકળનાર 2000 લોકોના ફોન નંબર પણ પોલીસને આપવામાં આવશે. તેમના લોકેશનના આધારે આ વિસ્તારોને સીલ કરવામાં આવશે.
3 ટ્રીટમેન્ટ
સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 525 કેસ સામે આવ્યા છે. અમે અત્યાર સુધીમાં દિલ્હીમાં લગભગ 3,000 બેડ સુધીની તૈયારી કરી લીધી છે. એલએનજેપી, જીબી પંત, રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને કોરોના હોસ્પિટલ જાહેર કરાઇ છે. જ્યારે 400 બેડ પ્રાઇવેટ હોસ્પિટલમાં રિઝર્વ કરાયા છે. કોરોના કેસની સંખ્યા વધવાની સાથે જ અમે સામાન્ય હોસ્પિટલને કોરોના હોસ્પિટલમાં બદલી લઇશું. તેની સાથે જ હોટેલ અને ધર્મશાળા પણ ટેકઓવર કરવામાં આવશે.
4 ટીમ વર્ક
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોના વાયરસને એકલા ઠીક કરી શકાય તેમ નથી. આજે તમામ સરકારો એક ટીમની જેમ કામ કરી રહી છે. તમામ રાજ્ય સરકારોએ મળીને કામ કરવું પડશે. તમામ સરકારો અને વિભાગોએ એકજુટ થઇને એક ટીમની જેમ કામ કરવું પડશે. તમામ રાજ્ય સરકાર એકબીજા પાસેથી શીખે અને આ ટીમનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ડૉક્ટર અને નર્સ છે. સૌ કોઇ લૉકડાઉનનું કડક પાલન કરે.
5 ટ્રેકિંગ અને મોનિટરિંગ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તમામ વસ્તુઓને ટ્રેક કરવી સૌથી વધારે જરૂરી છે. તમામ પ્લાનને ટ્રેક કરવાની જવાબદારી મારી છે. જો આપણે કોરોના વાયરસથી ત્રણ સ્ટેપ આગળ રહીશું, તો આપણે તેને હરાવી શકીશું.